Bhuj, તા.3
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામીઓ દ્વારા એક પછી એક વિવાદાસ્પદ વિધાનોના હવે ઘેરા પ્રત્યાઘો પડવા શરૂ થયા હોય તેમ કચ્છમાં ઉપવાસ આંદોલન શરૂ થયુ છે. વિવાદાસ્પદ લખાણો ધરાવતાં પુસ્તકોનાં નાશ કરવા, વિવાદ સર્જતા, સ્વામીઓને જેલમાં નાખવા અથવા લેખીત માફી મંગાવવા માંગ કરવામાં આવી છે.
દેશભરનાં સાધુ સંતોએ એકત્રીત થવાનું આહવાન કરીને બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે. અન્યથા ભૂજ સ્વામીનારાયણ ગુરૂકુળમાં હલ્લાબોલની ચિમકી ઉચ્ચારમાં આવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામિઓના વારંવારના ખોટા અને વિવાદિત નિવેદનો પર હવે એક પછી એક સનાતની સંતો વિરોધ પ્રગટ કરી રહ્યાં છે. હાલમાં જ દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ વિશે કરવામાં આવેલા બફાટ પર હવે કબરાઉધામના ચારણ ઋષિ બાપુએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
કબરાઉધામ બાપુએ સ્વામિનારાયણ સંતો મુદ્દે વિરોધ સાથે ઉપવાસ પર ઉતર્યા છે. તેમની માંગ છે કે, આવા બફાટ કરનારા સંતોને જેલ ભેગા કરો અને સનાતન વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરો. છેલ્લા બે દિવસથી ચારણ બાપુ ઉપવાસ પર બેઠા છે.
તેમને આહવાન કર્યુ છે કે, આ મુદ્દે દેશભરના સાધુ-સંતોએ ભેગા થવું જોઇએ, અને સનાતન ધર્મ વિરૂદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ કરવામાં આવે, એટલું જ નહીં આવો બફાટ કરનારા સાધુઓને જેલ ભેગા કરવામાં આવે.
કબરાઉ ધામ બાપુએ બે દિવસ બાદ ભુજ સ્વામિનારાયણના ગુરુકુળમાં હલ્લાબોલની ચિમકી પણ ઉચ્ચારી છે. અનશનમાં સાધુ-સંતો સાથે અનેક લોકો જોડાઇ રહ્યા છે. મણીધરબાપુએ લેખિત માફી માંગવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડાઓ આ બંધ કરાવે અને લેખિતમાં માફી માંગે બાકી ઉપવાસ યથાવત રહેશે.હકીકતમાં શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
પુસ્તકમાં લખ્યું છે કે, ત્યાં (દ્વારકામાં) ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોઈ તો વડતાલ જાઓ. ત્યાં સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’ આ પ્રકારનો ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સનાતનધર્મીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સ્વામિનારાયણ સંતોનો પુરજોશમાં ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે.હાલમાં જ રાજકોટ નજીક આવેલ સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામી દ્વારા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઇને હવે કથાકાર મોરારી બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. મોરારી બાપુએ આર્જેન્ટિનામાં એક કથા દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોના બફાટ પર કટાક્ષ કર્યો છે.
તમે સનાતન વિરોધીઓના ધર્મસ્થાનોમાં ક્યારે ના જતાં. સનાતન વિરોધી ધર્મસ્થાન પર જવા કરતા હાથી નીચે ચગદાઈ જજો. હવે બધાએ સમજી જવાનો સમય આવી ગયો છે. સત્ય હંમેશા સત્યા જ રહેશે. પાખંડ બહુ ચાલી રહ્યું છે.આર્જેન્ટિનામાં કથા દરમિયાન મોરારી બાપુએ વધુમાં કહ્યું કે, જો થઈ શકે તો દિલ્લીમાં માનસ સનાતન ધર્મની કથા કરવી છે. સનાતન ધર્મ પર અત્યારે હુમલાઓ થઈ રહ્યા છે.સનાતન ધર્મના લોકોએ પાંચ દેવોની પૂજા કરવી જોઇએ. પાંચ દેવોની નિંદા કરનારઓને સનાતનના વિરોધી ગણવા. નિંદા કરનારને સાથ આપનારા પણ સનાતન વિરોધી કહેવાય છે.