Bhavnagar,તા.25
સિહોર તાલુકાના વરલ ગામના વતની અને હાલ ભાવનગર સ્થિત માતૃશ્રી કમળાબહેન હિંમતલાલ ફતેચંદ શાહ પરિવાર દ્વારા શત્રુંજય તીર્થની ધન્યધરા પર આદિ આનંદ ઉપધાન તપનગરમાં ભાગવતી પ્રવજયા નિમીત્તે જૈનાચાર્યોની પાવનકારી નિશ્રામાં આગામી તા.૨૭ થી તા.૨૮ નવેમ્બર દરમિયાન દિક્ષા મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સોમવારે મુમુક્ષુ ગૃહત્યાગ કરશે. આ સાથે વર્ષીદાનનો વરઘોડો નિકળશે.
જૈન સમાજમાં દિક્ષા એક એવુ વિશિષ્ઠ તપ છે કે જે વ્યકિતને સંયમ શીખવાડે છે. ગમે તેવી સુખસાહ્યબી હોય પણ એક દિવસ તો તમામ છોડીને સૌ કોઈને જવાનુ જ છે તો પછી આજે કેમ નહિ.ભાવનગરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારની બી.સી.એ.નો અભ્યાસક્રમ પુર્ણ કરનારી દિકરી મોહમાયાભર્યો સંસાર છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છે. આચાર્ય ભગવંત વિજય રત્નચંદ્રસુરીશ્વરજી મ.સા.(ડહેલાવાળા)આદિ વિશાળ શ્રમણ શ્રમણીવૃંદની નિશ્રામાં વરલ નિવાસી હાલ ભાવનગર નિલમબહેન અને રાજેશકુમારની શાહની પુત્રી મુમુક્ષુ કુ.રિધ્ધિ શાહની પાવન ભાગવતી પ્રવજયા પૂ.ગુરૂદેવોએ આપેલા મુર્હૂત અનુસાર સિધ્ધગિરિની છત્રછાયામાં પાલિતાણામાં કસ્તુરધામ, હાડેચા ભવનમાં આદિ આનંદનગરીમાં ઉજવાશે. આ દિક્ષાની સાથે કુ.રિધ્ધિની સહાધ્યાયી-સહવર્તી મુમુક્ષુ કુ.કાવ્યા વિજયકુમાર દોશી (થરાદ)ની દિક્ષા પણ આ અવસરે યોજાશે. ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી ફતેચંદ મોતીચંદ શાહ પરિવાર દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય ભાગવતી પ્રવજયા મહોત્સવ અંતગર્ત આગામી તા. ૨૭,૧૧ ને બુધવારે સવારે ૯-૩૦ કલાકે ઉ૫કરણ વંદનાવલિ તથા છાબ ભરવાનો પુણ્ય પ્રસંગ ઉજવાશે. બપોરે ૨-૩૦ કલાકે શક્રસ્તવ અભિષેક કરાશે.રાત્રે ૮ કલાકે સ્વજન વધામણા કરવામાં આવશે. તા.૨૮ નવેમ્બરને ગુરૂવારે સવારે ૯-૩૦ કલાકે બંને મુમુક્ષુઓની વર્ષીદાન યાત્રા તથા ત્યારબાદ બેઠુ વર્ષીદાન, બપોરે ૪ કલાકે મુમુક્ષુઓનું સંસારી ભાણે અંતિમ વાયણુ થશે.રાત્રે ૮ કલાકે વિદાય સમારોહ યોજાશે.જયારે મહોત્સવના અંતિમ દિવસ તા.૨૯ ને શુક્રવારે સવારે શુભ મુર્હૂતે ભવજલતારણિી, પાવન પ્રવજયા વિધિનો શુભારંભ થશે. આ સાથે રજોહરણ પ્રદાન, લોચવિધાન તથા નામકરણ ત્યારબાદ મુમુક્ષુઓનો સંયમની દુનિયામાં મંગલ પ્રારંભ થશે. આ સાથે ત્રણેય દિવસ ત્રણેય ટંક સાધર્મિક ભકિત થશે.પ્રવજયા મહોત્સવ અંતગર્ત ગત શુક્રવારે દીક્ષાર્થી રિધ્ધિબહેન શાહના નિવાસસ્થાને હલદી રસમની વિધિ થઈ હતી. તેમજ તૃપ્તિ દેરાસરમાં શક્રસ્તવ અભિષેક કરાયો હતો.મુમુક્ષુ રિધ્ધિબેન આવતીકાલ તા.૨૫-૧૧ ને સોમવારે બપોરે ૨-૪૫ કલાકે ગૃહત્યાગ કરશે. આ સાથે રાજેશભાઈ હિંમતલાલ શાહ (વરલવાળા)ના નિવાસસ્થાન (કાળુભા રોડ, તૃપ્તિ જિનાલય અને ભાવસાર બોર્ડિંગની સામે)ખાતેથી તેમના વર્ષીદાનનો વરઘોડો નિકળશે.
દિક્ષાર્થીને જીવાપરમાં ઉપધાન તપ દરમિયાન દિક્ષાનો ભાવ થયો હતો
શહેરના દાદાસાહેબ વિભાગના ઉપપ્રમુખ અને તૃપ્તિ વિભાગના પ્રમુખ એવા પ્લાસ્ટીકની ફેકટરી ધરાવતા રાજેશભાઈ શાહના ત્રણ પૈકી બે પુત્રીઓ મૈત્રીબહેન તીર્થેશકુમાર, પૂજાબહેન પૂજનકુમાર પરિણીત છે જયારે તેમના ત્રીજા ક્રમના પુત્રી રિધ્ધિબહેન નાની વયથી જ ધર્મપરાયણ છે.જ્ઞાનસાધના, દર્શનસાધના, ચારિત્રસાધના અને તપસાધનાની સાથોસાથ શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ તેજસ્વી રિધ્ધિબહેનએ શહેરની સ્વામિનારાયણ ગુરૂકુળમાં બી.સી.એ.નો અભ્યાસક્રમ પુર્ણ કર્યો હતો. પાલિતાણાના જીવાપર ખાતે અગાઉ યોજાયેલ ઉપધાન તપમાં તેણીને પ્રવજયાનો ભાવ થયો હતો તેમ તેણીના પિતા ઉદ્યોગપતિ રાજેશભાઈએ જણાવ્યુ હતુ.