Ahmedabad,તા.18
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ અને તેના પરિસરનો રૂ. પાંચ કરોડના ખર્ચે સુયોગ્ય રીતે ભવ્ય સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. રેસ્ટ-હાઉસના ચાર ખંડમાં સિંધુડો – ધોલેરા સત્યાગ્રહ, ધંધુકા અદાલત અને સાબરમતી જેલના ગૌરવવંતા ઈતિહાસને નિરૂપતી કલાત્મક પ્રતિમાઓ અને દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન તેમજ ગાંધી-દર્શન કોર્નર, મેઘાણી-સાહિત્ય કોર્નર ધરાવતાં સમૃધ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે.
પરિસરમાં મેઘાણી સ્મૃતિ નામે નવીન સાંસ્કૃતિક ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. લોકલાગણીને માન આપીને, વિશેષ આકર્ષણરૂપે, અહીં ઝવેરચંદ મેઘાણી દ્વારા 1928માં રચિત અમર કાવ્ય ચારણ-ક્ધયા પર આધારિત ગુજરાતના સહુપ્રથમ થીમ-પાર્કનું નિર્માણ કરવામાં આવશે.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ગુજરાત સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર લોકસભા સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, મેઘાણી-ગીતોના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજિંગ ડીરેકટર અરૂણ મહેશ બાબુ (આઈએએસ), અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે. (આઈએએસ), ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના મેનેજિંગ ડીરેકટર એસ. છાકછુઆક (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે (આઈએએસ), પોલીસ મહાનિરીક્ષક (અમદાવાદ રેન્જ) જે. આર. મોથાલિયા (આઈપીએસ), જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ (આઈપીએસ), ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, ધંધુકા એપીએમસીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ, સ્વાતંત્ર્ય-સેનાની મણિલાલ કોઠારીના દોહિત્રી અનારબેન શાહ (અમેરિકા) અને આશિતાબેન શાહ (વડોદરા), લોકગાયિકા રાધાબેન વ્યાસ, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ પદ્મશ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવ, નિવાસી અધિક કલેકટર સુધીરભાઈ પટેલ, ધંધુકા મદદનીશ કલેકટર વિદ્યાસગર (આઈએએસ), ધોળકા નાયબ કલેકટર હિતેષભાઈ જોષી, ધંધુકા મામલતદાર વિજયભાઈ ડાભી અને તાલુકા વિકાસ અધિકારી હિંમતભાઈ બુવાત્રા, ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના ચીફ ઈજનેર જી. એચ. એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડીંગ ઈજનેર સી. જે. રાજપાલ, કાર્યપાલક ઈજનેર સુનિતાબેન છાબરીયા અને નાયબ કાર્યપાલક ઈજનેર એ. ડી. ચારોલીયા, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના જનરલ મેનેજર અજિતભાઈ જોષી, ઝોનલ ઈજનેર અનિલભાઈ પટેલ અને મદદનીશ ઈજનેર આકાશભાઈ તન્ના, માર્ગ અને મકાન વિભાગ – પંચાયતના કાર્યપાલક ઈજનેર પરેશભાઈ સોમપુરા, નાયબ કાર્યપાલક ઈજનેર એચ. કે. પટેલ, સેકશન ઑફિસર આકાશભાઈ પ્રજાપતિ અને સોહેલભાઈ સૈયદ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક્ષાબેન ચૌધરી, સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મેઘાણી-પ્રતિમાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેમ લાગણીભેર અંજલિ અર્પી હતી. મ્યુઝિયમને રસપૂર્વક નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. ઐતિહાસિક સ્મૃતિ-સ્થળને જીવંત રાખવા બદલ પિનાકી મેઘાણીને અભિનંદન આપ્યા હતા.
લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનાં આસ્વાદ થકી ઉપસ્થિત સહુને ડોલાવી દીધા હતા. આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ત્યારે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા હતા. પોતાનો બચાવ ન કરતા, ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમનાં 15 શૌર્યગીતોનાં પોતાનાં સંગ્રહ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને ત્યારે ત્યાં ઉપસ્થિત હજારોની માનવમેદની અને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. સમસ્ત ભારતમાં એક માત્ર આ અનન્ય અને ઐતિહાસિક પ્રસંગનો સ્વતંત્ર્ય-સંગ્રામમાં ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.