Nepal,તા.૧૪
હનુમાન જયંતિ નિમિત્તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળમાં પણ ભારે અંધાધૂંધી જોવા મળી હતી. પરિસ્થિતિ એવી બની કે વહીવટીતંત્રને નેપાળના બિરગંજ બજારમાં કર્ફ્યુ લાદવો પડ્યો. નેપાળના પારસા જિલ્લાના બિરગંજ નગરપાલિકામાં હનુમાન જયંતિ નિમિત્તે આયોજિત શોભા યાત્રા દરમિયાન હિંસક અથડામણ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આના કારણે વહીવટીતંત્ર ચિંતિત બન્યું. આ પછી, શનિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કાઠમંડુ પોસ્ટ અનુસાર, આમાં ઓછામાં ઓછા ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધાર્મિક કાર્યક્રમ માટે ભેગા થયેલા ટોળા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, જેના કારણે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ અને સ્થાનિક રહેવાસીઓ ઘાયલ થયા હતા. જિલ્લા વહીવટી કચેરીએ ભારતીય સરહદી શહેર રક્સૌલ (બિહાર) નજીક સ્થિત બિરગંજના મધ્ય ભાગમાં શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યાથી રવિવાર બપોર સુધી કર્ફ્યુ લાદ્યો છે. જિલ્લા વહીવટી કાર્યાલયે એક નોટિસ જારી કરીને કહ્યું કે, “હનુમાન જયંતિની ઉજવણી દરમિયાન વધતા તણાવને કારણે, ’બિરગંજ મેટ્રોપોલિટન સિટી’ના વોર્ડ નંબર ૧૪, ૧૫, ૧૬ અને ૨૫માં શનિવારે સાંજે ૬ઃ૩૦ વાગ્યાથી રવિવારે બપોરે ૧૨ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.”
પોલીસે જણાવ્યું હતું કે, “ઘંટાઘર વિસ્તારથી શરૂ થયેલી અને શહેરના અન્ય મુખ્ય ભાગો તરફ આગળ વધી રહેલી શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં કેટલાક પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો ઘાયલ થયા હતા.” પોલીસે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. તણાવ વધ્યા બાદ બિરગંજમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કર્ફ્યુ લાદવાના આદેશ હેઠળ, મધ્ય બીરગંજમાં લોકોની અવરજવર, રેલીઓ, સભાઓ, વિરોધ પ્રદર્શનો અને મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.