Morbi, Rajkot, તા. 26
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. મોરબીમાં રોડ-રસ્તા સહિતના 1000 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા બાદ સાંજે રાજકોટમાં પણ 565 કરોડના કામોના ઉદઘાટન અને ખાતમુહૂર્ત થવાના છે. જે બંને કાર્યક્રમો માટે તડામાર તૈયારી થઇ રહી છે.
મોરબી જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધારવા તમામ મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી મોરબી ખાતે પધારનાર છે, ત્યારે તેમના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમના સ્થળ પર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી તથા કાર્યક્રમ સ્થળ પર કરવામાં આવેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.
ઉપરાંત હેલીપેડની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા. મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો થકી વિકાસની ગતિ ઝડપી બની છે. હાલ અનેક નવા પ્રકલ્પો મોરબીમાં આકાર પામી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરોડોની રકમના મહત્વના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. મોરબીને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે ત્યારે આ ઘડીના સાક્ષી બનવા માટે તમામ જિલ્લાવાસીઓને આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત માટેનો કાર્યક્રમ આજે બપોરના 2 વાગ્યે યોજાશે જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી લોકોની મોટી જનમેદની હાજર રહે તેના માટે થઈને ભાજપની જુદી જુદી ટીમો તથા તંત્ર કામે લાગી ગયું છે.
મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ મળીને અંદાજે 1000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવનાર છે. ભાજપના સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા પણ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં આવેલ છે.
મોરબીના કાર્યક્રમ બાદ રાજકોટમાં સાંજે મહાપાલિકા અને રૂડાના 565.63 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, 183 આવાસની ફાળવણીનો ડ્રો મુખ્યમંત્રી કરવાના છે. કટારીયા ચોક ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કટારીયા ચોકડીએ ફલાય ઓવર, અંડરબ્રીજના ભૂમિપૂજન, માઇનોર બ્રીજ, ડ્રેનેજ-વોટર વર્કસના કામના ખાતમુહૂર્ત, 25 નવી બસના લોકાર્પણ સહિત મનપાના 390.80 કરોડના કુલ 39 કામો છે. તો રૂડાના 174.83 કરોડના છ કામો છે. નવા રીંગ રોડ ડેવલપમેન્ટ, નજીકના ગામોમાં ડ્રેનેજ સુવિધાનો તેમાં સમાવેશ થાય છે. રાજકોટમાં સનદ વિતરણ અને ધાર્મિક સંસ્થાના કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેવાના છે.