Rajkot તા.5
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.6ને શુક્રવારે સાંજના 5 કલાકે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ શહેરના રૈયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે રૂા.557 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરનાર છે. આ કાર્યક્રમ બાદ તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો સાથે ‘ચાય પે ચર્ચા’ કરનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ મ્યુનિ. કોર્પો. રૂડા, જેટકો, પાણીપુરવઠા, આરોગ્ય, સ્પોર્ટસ સંકુલ સહિતના વિકાસ પ્રોજેકટોની લોકોને ભેટ આપનાર છે. આ કાર્યક્રમ સ્થળે લાભાર્થી અને લોકોને લાવવા લઈ જવા માટે એસટીની 14 જેટલી બસ સર્વીસો પણ દોડાવવામાં આવનાર છે.
મુખ્યમંત્રીના આ કાર્યક્રમ સંદર્ભે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.6ને શુક્રવારના રોજ સાંજના પાંચ કલાકે અમદાવાદ એરપોર્ટથી સ્પેશ્યલ એરક્રાફટ મારફત હિરાસર એરપોર્ટમાં ઉતરાણ કર્યા બાદ બાય રોડ સીધા રૈયા રોડ પરના પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે પહોંચનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓના આ કાર્યક્રમ માટે રાજકોટમાં માત્ર એક કલાકનું જ રોકાણ કરનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કાર્યક્રમ માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા 100 જેટલા કર્મચારીઓના સ્ટે.ડયુટી માટે ઓર્ડર ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં ડેપ્યુટી કલેકટરો, મામલતદારો અને ના. મામલતદારોને વ્યવસ્થા માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.