Jamnagar,તા.7
જામનગરમાં આજે ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂ.430 કરોડથી વધુના પ્રોજેક્ટોના ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્તો કરશે. લોકાર્પણ થનારા પ્રોજેક્ટસમાં શહેરના બે મીની હોસ્પિટલ જેવા સામુહિક આરોગ્ય કેન્દ્રો, કોર્પોરેશનના જનરલ બોર્ડના બિલ્ડીંગ સહિત જામનગર મહાનગરપાલિકાના કુલ રૂા.254.55 કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગર એરપોર્ટ ઉપર સવારે 10:15 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈનું આગમન થયા બાદ તેઓને અધિકારીઓ અને રાજકીય પાંખ દ્વારા વેલકમ કરાયા બાદ તેઓ સીધા કાર્યક્રમ સ્થળ ટાઉનહોલ ખાતે પહોંચ્યા હતા.
જામનગર શહેરમાં લાલપુર રોડ ઉપર પટેલ પાર્ક પાસે રૂ.13.29 કરોડના ખર્ચે મ્યુ. કોર્પો. દ્વારા તૈયાર કરાયેલા સરદાર -વલ્ભભાઈ પટેલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, હાપા માર્કેટીંગ યાર્ડ સામે રૂ.10.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કોર્પોરેશન વહિવટી ભવન પાછળ રૂ.8.14 કરોડના ખર્ચે બનેલા જનરલ બોર્ડના સભાગૃહનું, જી.જી. હોસ્પિટલમાં રૂ.35 લાખના ખર્ચે બનેલા બે પે એન્ડ યુઝ – ટોયલેટ બ્લોક્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વહિવટી તંત્ર હસ્તક કનસુમરા ગામે શાળામાં રૂ. 1 કરોડના ખર્ચે બનેલા વધારાના પાંચ ક્લાસરૂમ, રાફુદડ સ્કુલમાં રૂ.60 લાખના ખર્ચે બનેલા 3 ક્લાસરૂમ, ધ્રોલ વાડી શાળા-4માં 40 લાખના ખર્ચે બનેલા વધારાના બે ક્લાસરૂમ, હમાપર ગામે રૂ.20 લાખના ખર્ચે 1 ક્લાસરૂમ, નિકાવા ગામે રૂ. 10 લાખના ખર્ચે બનેલી આંગણવાડીનું મુખ્યમંત્રી ઈ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઠેબા બાયપાસ ચોકડી ઉપર રૂા.84.88 કરોડના ખર્ચે બનનાર ફલાય ઓવરબ્રીજ, સમર્પણ સર્કલ ઉપર 50.07 કરોડના ખર્ચે બનનાર ફલાય ઓવરબ્રીજ, રાજકોટ રોડ ઉપર 35.21 કરોડના ખર્ચે બનનાર ઓડિટોરીયમ, 22.76 કરોડના ખર્ચે બનનાર 10 એમએલડી ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાલપુર બાયપાસ રોડ ઉપર 6.55 કરોડના ખર્ચે બનનાર ફાયર સ્ટેશન, 5.18 કરોડના ખર્ચે બનનાર પાણીની ડીઆઇ પાઇપલાઇનનું કામ, પટેલ કોલોની શેરી નં.12થી માજોડીનગર સુધી માર્ગ ઉપર રૂા.4.52 કરોડના ખર્ચે થનાર સ્ટ્રોમ વોટર ડ્રેનેઝનું કામ, શહેરના વિવિધ વિસ્તારમાં રૂા.12.94 કરોડના ખર્ચે બનનાર સી.સી.રોડના કામનું ખાતમુર્હુત કરાયું હતું.
આ ઉપરાંત મેડીકલ કોલેજમાં 115.39 કરોડના ખર્ચે બનનાર પીજી-યુજી બે બોયઝ હોસ્ટેલ તથા 58.26 કરોડના ખર્ચે ડેન્ટલ હોસ્પિટલના અપગ્રેડેશનના કામનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
એમ.પી.શાહ મ્યુ.ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મુળુભાઇ બેરા, જામનગર લોકસભા મતવિસ્તારના સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસુર્યા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મૈયબેન ગરચર, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેઘજી ચાવડા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનુભાઇ ભંડેરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેષભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોષી, દંડક કેતન નાખવા સહિતના ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના ભાજપના સભ્યો, સંગઠ્ઠનના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા કલેકટર કેતન ઠક્કર, અધિક કલેકટર બી.એન.ખેર, મ્યુ.કમિશ્ર્નર ડી.એન.મોદી, એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગ્ટય વિધિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે સાંસદ, ધારાસભ્યો, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ જોડાયા હતા. સ્વાગત પ્રવચન મેયર વિનોદ ખીમસુર્યાએ કર્યુ હતું. તેઓએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના 20 વર્ષથી અવિરત ચાલી રહી છે. આ 20 વર્ષના ગાળામાં જામનગર મહાનગરપાલિકાને અબજો રૂપિયાની ગ્રાન્ટ મળી છે જેને કારણે શહેરનો સતત વિકાસ થઇ રહ્યો છે. આ માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો આભાર અને અભિનંદનને પાત્ર છે.
જામનગરના આંગણે મહેમાન બનેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જામનગરે આજે ખરેખર વટ પાડી દીધો છે તેવા નિવેદન સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ અવસરે તેઓએ દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણને યાદ કરી કહ્યું હતું કે 1992 માં સરકારે કાશ્મીરમાં શાનભેર દેશનો ત્રિરંગો લહેરાવ્યા બાદ ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. જે દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ ઉપરાંત તેમણે ઓપરેશન સિંદુર અને જામનગર સાથેના નાતાની વાત કરતાં કહ્યું હતું કે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતા બાદ જામનગરના પૂર્વરાજવી જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ સૌ પ્રથમ પત્ર પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતાં.
વિકાસના માર્ગે આગળ વધતાં રાજ્યની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી તેમણે સામાન્ય માણસથી માંડી સેનાની જરૂરિયાતોને પ્રાથમિકતા ગણી છે. અગાઉના સમયમાં બે-પાંચ લાખના કામ મંજૂર થતાં હતાં તેના સ્થાને હવે કરોડોના કામની માંગ સાથે પણ સામાન્ય માણસ કોર્પોરેટર સુધી પહોંચી શકે છે જે વિકાસની ગતિ વર્ણવી રહી છે.
અગાઉ માત્ર નળ, ગટરના કામને જ વિકાસ કહેવાતો હતો તેના સ્થાને નરેન્દ્રભાઇએ બાગ-બગીચાથી માંડી શહેરોને સાફસુથરા અને રળિયામણા બનાવવાના ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રાધાન્ય આપ્યું અને સુવિધાયુક્ત બને તે પ્રકારનું આયોજન કર્યું છે. બજેટમાં ઉત્તરોતર રકમનો વધારો થયો છે. માત્ર શહેરીજનો જ નહીં પરંતુ છેવાળાના માનવી સુધી વિકાસના લાભો કઇ રીતે પહોંચે તે માટે હું અને મારી ટીમ સતત જહેમતશીલ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં ભૂપેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે અગાઉ દ્રષ્યો અને વાસ્તવિકતામાં ખૂબ તફાવત હતો તેના સ્થાને નરેન્દ્ર મોદીએ જે કહ્યું એ કરી બતાવ્યું છે. જેના ફળ સ્વરૂપે નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યું છે ત્યારે ભારતનું અર્થતંત્ર 11 માં સ્થાને હતું જે હવે કૂદકો લગાવી ચોથા સ્થાને આવી ગયું છે અને ત્રીજા સ્થાન માટે આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીએ જામ્યુકોને ટકોર કરતાં કહ્યું કે અમદાવાદમાં એવી વ્યવસ્થા છે જો કોઇ વિસ્તાર વૃક્ષારોપણની દિશામાં આગળ વધવા માંગે તો કોર્પોરેશન સાથે રહી વૃક્ષારોપણ સહિતની વ્યવસ્થા કરે છે. જામનગરમાં જો આવી સ્થિતિ ન હોય તો હવે આ દિશામાં જામ્યુકો આગળ વધે તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે આપણો આગ્રહ એવો છે કે, ક્વોલિટી વર્ક થવું જોઇએ. જો ક્વોલિટી વર્ક થશે તો આગામી સમયમાં જામનગરમાં બધા સાથે મળી એવું કહેશે કે કંઇક કામ લાવો.. કામ શોધવું પડશે…
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિકાસના ₹430 કરોડના લોકાર્પણ કામના પ્રસંગે સાંસદ પૂનમબેન માડમએ જણાવ્યું હતું કે જામનગર શહેર અને જિલ્લામાં 2005 થી 2025 દરમિયાન વિવિધ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે 2005 માં શહેરી વિકાસના કામોને પાયો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામો ને યાદ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે 2014માં રાષ્ટ્રની ધૂરા નરેન્દ્રભાઈ મોદીએ સંભાળી અને ડબલ એન્જિન વાળી ગુજરાત સરકાર દ્રારા જામનગર શહેર અને જિલ્લાના વિકાસ ક્ષેત્ર હરણફાળ ભરી છે.
આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ વાળી સરકારમાં તેઓના હસ્તે રૂ 430 કરોડના જે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે તે માટે જામનગર જનતાને ખૂબ લાભકારક બનશે. 2014 પછી વિવિધ યોજનાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સિદ્ધિ યોજનાઓની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે જેને કારણે જામનગર મહાનગરપાલિકા નો વધુમાં વધુ વિકાસના કામો સેવાના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્ય છે. આજે જ્યારે પીવાના પાણીનો પ્રશ્ન હોય રોડ, ગટર કે આરોગ્ય ક્ષેત્રેની બાબતમાં પણ મહત્વનું યોગદાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ત થયું છે