… ગતાંકથી ચાલુ
લેખક: કલ્પેશ દેસાઈ
અંતિમ સત્ય
Charles Ponziના શરૂઆતના ગ્રાહકો તો મધ્યમ વર્ગના વ્યક્તિઓ જ હતા, પરંતુ ધીરે ધીરે મધ્યમ વર્ગમાંથી, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો પણ તે યોજનામાં પ્રવેશ કરવા લાગ્યા અને પરાકાષ્ટા તો ત્યારે થઈ જ્યારે Bostonના પોલીસ દળમાંથી 75% ઓફિસરોએ Charles Ponziની યોજનામાં રોકાણ કર્યું હતું!!. Charles Ponziના રોકાણકારોમાં ‘શોફર’ જોન કોલિન્સ અને તેમના પોતાના સાળા જેવા તેમના નજીકના લોકોનો પણ સમાવેશ થતો હતો, તો બીજી તરફ લોરેન્સ, કેન્સાસના બેંકર, જેમણે 10,000 ડોલરનું રોકાણ કર્યું હતુ.
પરંતુ લોકો એક વાતથી સાવ અજાણ અથવા અજ્ઞાની હતા કે, હવે જેટલા પૈસા Charles Ponziની યોજનામાં રોકાયા હતા તેટલા પૈસાથી જો ખરેખર Charles Ponzi, Postal Reply Coupon ખરીદવા જાય તો ‘Titanicના ચાર જહાજ આખા ભરાઈ જાય એટલા Postal Reply Coupon એણે ખરીદવા પડે’!!!, અને વાસ્તવમાં આટલા Postal Reply Coupon એક પણ દેશે છાપ્યા જ ન હતા!!!. પરંતુ, હાયરે!, ઝડપથી પૈસાદાર બની જવાની લાય કહો કે સરળતાથી, સહેલી રીતે અને ટૂંકા રસ્તે, વગર મહેનતે પૈસો બનાવવાની જીજી વિશા કહો, લોકો કંઈ સમજ્યા વગર અજ્ઞાન અને લાલચના હલેસા મારતા મારતા પોતાની નાવને છેતરપિંડીના દરિયામાં હંકારતા રહ્યા.
વધુમાં વધુ લોકોને પોતાની યોજનામાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવા Charles Ponziએ એક યોજના બનાવી, જે પણ અખબારમાં બેંકો 5% વ્યાજ આપશે એવી જાહેરાત છપાતી ઠીક એ જાહેરાતની નીચે Charles Ponziએ પોતે 45 દિવસમાં 50% વળતર આપશે એવી જાહેરાત છપાવતો રહ્યો, લોકો પાંચ ટકા વાર્ષિક કે 50%, 45 દિવસમાં તે પ્રશ્ન પોતાની જાતને પૂછતા થઈ ગયા.
લોકોને પ્રભાવિત કરવા અને સતત પોતાના પ્રભાવમાં રાખવા Charles Ponzi અવનવી રીતો અજમાવતો ગયો. જેમ કે, તેનું અતિ વૈભવશાળી જીવન, લેક્સિંગ્ટન, મેસેચ્યુસેટ્સમાં આલીશાન હવેલી, હેનોવર ટ્રસ્ટ ઉપરાંત ન્યૂ ઈંગ્લેન્ડની અનેક બેંકોમાં ખાતાઓ, તેની પાસે તે સમયની શ્રેષ્ઠ કારનો કાફલો હતો. તે સતત મોંઘામાં મોંઘા વિદેશ પ્રવાસો પણ કરતો રહ્યો જેથી લોકોના ધ્યાનમાં રહી શકાય.
Charles Ponziએ જમૈકામાં ઈટાલિયન ચિલ્ડ્રન હોમમાં તેની માતાના સન્માનમાં 1,00,000 ડોલરનું દાન પણ કર્યું અને ખરેખર તે લોક હૃદયમાં છવાઈ ગયો. Charles Ponziએ તેની IRC સ્કીમના રોકાણકારોને પરત ચૂકવવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા નફો મેળવવાના પ્રયાસમાં મેકારોની કંપની અને વાઈન કંપનીનો ભાગ પણ ખરીદ્યો હતો.
પરંતુ જેમ હંમેશથી બનતું આવ્યું છે કે, જેનો ઉદય તેનો અંત, ઉક્તિ મુજબ એ સમયમાં પણ કેટલાક એવા લોકો હતા જે પોતાની ફરજ સચોટ પણે બજાવી રહ્યા હતા, જેમણે પોતાના આંખ, કાન અને મગજને સતત ખુલ્લા અને દોડતા રાખ્યા હતા અને તેમાં મુખ્યત્વે હતા, ‘ચોથી જાગીર એવા પત્રકારો’. (ઇતિહાસ રહ્યો છે કે આર્થિક કૌભાંડો લગભગ દરેક વખતે બહાર પાડનાર કોઈને કોઈ પત્રકાર જ હોય છે. આપણે ભારતમાં હર્ષદ મહેતાના કિસ્સામાં પણ એ જોયું છે).
બોસ્ટનના એક નાણાકીય લેખકે છાપ્યુ, કે Charles Ponzi કાયદેસર રીતે ટૂંકા ગાળામાં આટલું ઊંચું વળતર આપી શકે તેવી કોઈ રીત નથી, જોકે આ પ્રથમ પ્રયાસ હતો અને ત્યારે Charles Ponziએ લેખક પર 5,00,000 ડોલરનો બદનક્ષીનો દાવો કર્યો અને જીતી પણ ગયો. પરંતુ, આ પ્રક્રિયા દરમિયાન બીજા ઘણા બધા લોકો, ખાસ કરીને એવા લોકો કે, જે Charles Ponziને કોઈને કોઈ રીતે પોતાનો માલ સામાન વેચી રહ્યા હતા, તેમના મગજમાં વિચારોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
જોસેફ ડેનિયલ્સ, બોસ્ટન ફર્નિચરના વેપારી કે જેમણે Charles Ponziને ફર્નિચર આપ્યું હતું અને જેની કિંમત લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી Charles Ponziએ ચૂકવી ન હતી, તેણે Charles Ponzi પર દાવો કર્યો. જોકે, મુકદ્દમો અસફળ રહ્યો, પરંતુ જોસેફ ડેનિયલ્સએ લોકોને પૂછવાનું શરૂ કર્યું કે, Charles Ponzi ટૂંકા ગાળામાં કેવી રીતે પાયમાલથી કરોડપતિ બની શક્યો?? તેણે લોકોને પૂછ્યું કે, “તમે Charles Ponziને નાણાં ચૂકવ્યા છે, પણ ક્યારેય તમે વ્યાજ સાથેના સંપૂર્ણ રોકેલ નાણા પરત માગ્યા છે? અને જો માગ્યા છે તો તમને મળ્યા છે?
આખરે 26 જુલાઈએ એ દિવસ આવી પહોંચ્યો જ્યારે કેટલાક અગ્રણીય અખબારોએ Charles Ponzi વિરુદ્ધ, પ્રશ્નના સ્વરૂપે, ‘શંકાસ્પદ બાબતોના લેખ’ એવા મથાળા હેઠળ લખવાનું શરૂ કર્યું. જેમ જેમ આવા પ્રશ્નરૂપી શ્રેણી આગળ ચાલતી ગઈ તેમ રોકાણકારોના મનમાં પણ સળવળાટ થવા લાગ્યો, અધૂરામાં પૂરું એક ન્યૂઝ પેપરે Charles Ponziની યોજનાની તપાસ કરવા માટે ડાઉ જોન્સ એન્ડ કંપનીના વડા એવા નાણાકીય પત્રકાર ક્લેરેન્સ બેરોનનો સંપર્ક કર્યો. બેરોને અવલોકન કર્યું કે Charles Ponzi રોકાણ પર અદ્ભુત વળતર આપતો હોવા છતાં, Charles Ponzi પોતે પોતાની કંપનીમાં રોકાણ કરી રહ્યો ન હતો!!. આ સત્ય બહાર આવતા જ રોકાણકારોમાં ફફડાટ અને ભય વ્યાપી ગયા. પરંતુ, આ તો પાશેરામાં પહેલી પુણી હતી, હવે વારો હતો રોકાણકારો માથે આભ ફાટવાનો અને પગ નીચેથી જમીન સરકી જવાનો!!
બેરોને જ્યારે આંકડાકીય સંશોધન પુરાવાઓ સાથે જાહેર કર્યું ત્યારે.
બેરોને જણાવ્યું કે “સિક્યુરિટી એક્સચેન્જ કંપનીમાં આવેલ તમામ રોકાણ સામે, જો તમે, Postal Reply Couponની ખરીદી કરવા જાવ તો, કંપનીએ 160 મિલિયન Postal Reply Couponની ખરીદી કરવી પડે, પરંતુ ચલણમાં હતા માત્ર 27,000 પોસ્ટલ રીપ્લાય કુપન.!!! આનાથી વધુ કુપન તે સમયે છપાયા જ ન હતા. બીજા દિવસે United States Post Officeના ઓફિસરનો એક ઇન્ટરવ્યૂ છપાયો અને તેમણે જાહેર કર્યું કે, અમારી પાસેથી કોઈપણ વ્યક્તિએ જથ્થામાં Postal Reply Couponની ખરીદી ક્યારેય કરી જ નથી. Postal Reply Couponની ખરીદી એકલદોકલ વ્યક્તિઓ દ્વારા પાંચ, પંદર નંગમાં જ થઈ રહી છે!!.
‘પતન’
Charles Ponzi વિરુદ્ધ છપાતાં લેખો અને Postal Deparmentના ઓફિસરના જાહેર નિવેદન બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા ખરા રોકાણકારોએ Charles Ponziની ઓફિસ બહાર પોતાની રકમ પરત મેળવવા માટે લાઈન લગાવી દીધી હતી. પણ એમ ગાંજ્યા જાય એ Charles Ponzi નહીં, Charles Ponziએ પોતાની ઓફિસે રોકાણ પરત મેળવવા આવેલા રોકાણકારોને પ્રેમથી આવકાર્યા, દરેકને કોફી અને નાસ્તો કરાવ્યો સાથે સાથે તેમને એવી ખાતરી પણ આપતો ગયો કે બધું જ સુરક્ષિત છે, આ તેમની વિરુદ્ધ કાવતરું ઘડાઈ રહ્યું છે, તેઓ નિશ્ચિત રહે અને તેમ છતાં જેને પૈસા જોતા હોય તેને તે છૂટા હાથે પૈસા આપતો ગયો, લગભગ ત્રણ દિવસમાં તેણે બે મિલિયન ડોલર જેવું જંગી ચૂકવણું કર્યું. ત્યાર પૂરતું તેની ઉપરથી આફત ટળી ગઈ અને રોકાણકારોને વિશ્વાસ આવી ગયો કે, ના ભાઈ, આ તો ખરેખર ચુકવણું થઈ રહ્યું છે, તેથી ઘણા ખરા રોકાણકારોએ પાછળથી પોતાનું રોકાણ પરત મેળવવાનો નિર્ણય ફેરવી કાઢ્યો.
જો કે, આનાથી મેસેચ્યુસેટ્સ ડિસ્ટ્રિક્ટના યુ.એસ. એટર્ની ડેનિયલ ગેલાઘરનું ધ્યાન આકર્ષિત થયું. ગેલાઘરે એડવિન પ્રાઇડને સિક્યોરિટીઝ એક્સચેન્જ કંપનીના પુસ્તકોનું ઓડિટ કરવાનું કામ સોંપ્યું. ઓડિટ દરમિયાન Charles Ponziના પર્સનલ પબ્લિસિસ્ટ વિલિયમ મેકમાસ્ટર્સે વટાણા વેરી નાખ્યા, તેણે કબૂલ્યું કે Charles Ponzi “પોલને ચૂકવવા માટે પીટરને લૂંટી રહ્યો હતો”.
પોસ્ટ નામના અખબાર ને પણ આ વાતની માહિતી મળી ગઈ અને તેણે સત્તાવાર રીતે વિલિયમ મેકમાસ્ટર્સ પાસેથી 5000 ડોલરનું ચુકવણું કરી કબુલાત નામુ લખાવી અને સાથે પુરાવાઓ પણ એકત્રિત કરી, 2 ઓગસ્ટ 1920ના રોજ પોતાના અખબારમાં આ વસ્તુ છાપી નાખી. મેકમાસ્ટરના લેખે Charles Ponziને નાદાર જાહેર કર્યા હતા અને અહેવાલ આપ્યો હતો કે જ્યારે તેણે લિક્વિડ ફંડમાં 7 મિલિયન ડોલર હોવાનો દાવો કર્યો હતો, ત્યારે તેના ઉપર વાસ્તવમાં ઓછામાં ઓછા 2 મિલિયન ડોલરનું દેવું હતું.
અખબારમાં છપાયેલા અહેવાલે જોરદાર દોડ લગાવી, રોકાણકારો ઉપરાંત, મેસેચ્યુસેટ્સ બેન્ક કમિશનર જોસેફ એલન પણ ચિંતિત બન્યા કે જો, Charles Ponzi લોકોને ચૂકવણી કરવા બેંકોમાંથી મોટી ડિપોઝિટ ઉપાડશે તો તેના ઉપાડથી Charles Ponziની અનામત ખતમ થઈ જશે, અને તે બોસ્ટનની બેન્કિંગ સિસ્ટમને ઘૂંટણિયે લઈ જશે. તેમની શંકા સાચી ઠરી. તેમને માહિતી મળી કે, મોટી સંખ્યામાં Charles Ponzi નિયંત્રિત ખાતાઓએ હેનોવર ટ્રસ્ટ પાસેથી 2,50,000 ડોલરથી વધુની લોન તાત્કાલિક ધોરણે ટૂંકા સમયમાં ઉઠાવી છે.
તે જ દિવસે બપોરે, બેંક કમિશનર એલને અસંખ્ય અનિયમિતતાઓને કારણે Charles Ponzi નિયંત્રિત હેનોવર ટ્રસ્ટને જપ્ત કર્યું. ચાર્લ્સની મુશ્કેલીઓમાં વધારો થયો, પરંતુ આ ઘટનાઓ હવે અહીં અટકવાની ન હતી.
11 ઓગસ્ટના રોજ, પોસ્ટ અખબારે 13 વર્ષ અગાઉ મોન્ટ્રીયલમાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે ફ્રન્ટ પેજની વાર્તા પ્રકાશિત કરી, જેમાં તેને બનાવટી અને દોષિત ઠરાવેલ અને ઝારોસીની કૌભાંડગ્રસ્ત બેંકમાં તેની ભૂમિકાનો સમાવેશ થયા ની વિગતો છપાઈ હતી.
ચાલાક Charles Ponzi પાસે હવે બચવાનો કોઈ રસ્તો ન રહેતા, છેવટે તેણે પોતાના જીવનનો છેલ્લો દાવ અજમાવી લેવાનું વિચાર્યું. કોઈપણ દિવસે તેની ધરપકડ કરવામાં આવશે તેવા અહેવાલો વચ્ચે, Charles Ponziએ ફેડરલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને ઠગાઈના આંકડા સ્વીકાર્યા. તે સાથે તેણે એવું પણ જાહેર કર્યું કે, જો તેને તેની પાસે રહેલી બેંક સંપત્તિ કે થાપણ કે મિલકતો જપ્ત કરીને, તેને છોડી મૂકવામાં આવશે તો લગભગ દરેક રોકાણકારને એક ડોલર સામે 30 સેન્ટ જેવી રકમ પાછી મળી શકશે. પરંતુ હવે નસીબ તેનાથી રુઠી ગયું હતું અને તેના દરેક પાસા અવળા પડતા હતા!! Charles Ponziની આ યોજના પણ નિષ્ફળ ગઈ, કેમ કે, તેના આત્મસમર્પણ પછી હેનોવર ટ્રસ્ટ સિવાયની બીજી પાંચ બેંકોએ પણ Charles Ponziના થાપણોના ઉપાડ અને તે ઉપરાંત તેના જંગી લોનના ઉપાડથી નાદારી જાહેર કરી અને તે માટે સીધી રીતે Charles Ponziને જ જવાબદાર ઠેરવવામાં આવ્યો. આખરે Charles Ponziની નુકસાનીનો આંકડો બહાર આવ્યો અને તે હતો, અધધધ…20 મિલિયન ડોલર!!!
1 નવેમ્બર 1920 ના રોજ Charles Ponziને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી દીધી. 7 ઓક્ટોબર 1934ના દિવસે તેને જેલમાંથી સજા પુરી થઇ અને આજીવન દેશ નિકાલની સજા ફરમાવવામાં આવી, પરંતુ 14 વર્ષના જેલવાસ દરમિયાન પણ જામીન અને પેરોલ મેળવી તેને ભાગી જવાનો પ્રયત્ન પણ કરેલો, પરંતુ દરેક પ્રયત્ન માટે નિષ્ફળ રહેતા તેને વારંવાર પાછુ જેલમાં જવું પડ્યું હતું.
યુ.એસ.એ. માંથી દેશ નિકાલ થઈ ઇટાલી પરત ફરેલા Charles Ponziએ તેના જીવનના છેલ્લા વર્ષો ગરીબીમાં વિતાવ્યા, 1941માં હૃદયરોગના હુમલાથી તે ખૂબ જ નબળો પડી ગયો. તેની આંખોની રોશની ઓછી થવા લાગી અને 1948 સુધીમાં તે લગભગ સંપૂર્ણપણે અંધ થઈ ગયો. બ્રેઈન હેમરેજને કારણે તેના ડાબા પગ અને હાથને લકવો થઈ ગયો.
18 જાન્યુઆરી, 1949ના રોજ રિયો ડી જાનેરોની ફેડરલ યુનિવર્સિટી ચેરિટી હોસ્પિટલમાં Charles Ponziનું અવસાન થયું. ત્યારે ચાર્લ્સ પોન્ઝીના છેલ્લા શબ્દો કંઇક આવા હતા. “ભલે છેવટે તેમના હાથમાં કશું ન આવ્યું તે અલગ વાત છે, પરંતુ જે ભવ્ય દીવા સ્વપ્નો, મેં, એક વિદેશીએ, તેમને તેમની જ ધરતી ઉપર બતાવ્યા અને તે પણ માત્ર 20 મિલિયન ડોલરની કિંમતે, મારી દ્રષ્ટિએ તો અમેરિકનો માટે આ ખૂબ સસ્તો ‘શો’ હતો”.
Charles Ponziની વાર્તા સમાપ્ત..
ત્યાર પછી ભારત સહિતના દુનિયાના ઘણા ખરા દેશોએ, પોતાના દેશમાં થતી છેતરપિંડીને એક ઓળખ આપી અને તે ઓળખ આપી ‘Ponzi Scheme’. Charles Ponziના મૃત્યુના 60 થી 70 વર્ષ પછી આજે પણ આપણા ભારતમાં અદલો અદલ મોડસ ઓપરેન્ડીને લઈ ઘણા ખરા છેતરપિંડીના બનાવો બની ગયા છે, તેમાંથી અમુક સત્ય ઘટનાઓની ચર્ચા આપણે આગળના અંકોમાં કરીશું. આપણા આ તમામ લેખનો ઉદ્દેશ માત્ર અને માત્ર જાગૃતિ ફેલાવવાનો છે. કોઈ ખોટી છેતરપિંડી કે ખોટી યોજનાઓમાં ફસાઈ અને નાણા ગુમાવે નહીં.