Gondal તા.18
કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરવા આવેલા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડથી કાર મારફત ગોંડલ નાં નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી પર આવેલા પ્રસિધ્ધ રમાનાથધામ ખાતે પહોચી દર્શન કર્યા હતા.આ વેળા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા સહિત આગેવાનોએ હર્ષ સંઘવીને આવકારી સ્વાગત કર્યુ હતુ.
બાદ માં તેઓ કાર માં રાજકોટ રવાનાં થયા હતા.હાલ છેલ્લા દોઢ બે વરસ થી રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સિક્સલેન નું કામ મંથર ગતીએ ચાલી રહ્યુ છે.ક્યારે પુર્ણ થશે એ નક્કી નથી.હજારો રાહદારીઓ તથા વાહનચાલકો સિક્સલેન નાં આડેધડ ડાયવર્ઝન થી પરેશાન થઇ રહ્યા છે.અહી રોજબરોજ ચક્કાજામ ની પરિસ્થિતિ અને ટ્રાફિક જામ વચ્ચે નાનામોટા અકસ્માત પણ સર્જાઇ રહ્યા છે.
બે મહિના પહેલા લોકોનાં રોષને ખાળવા જિલ્લા કલેક્ટરે સિક્સલેન ની મુલાકાત લઇ કામ ઝડપી અને તુરંત પુરુ કરવા તાકીદ કરી હતી.બે દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા એ પણ રગસીયા ગાડા માફક ચાલતી કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી જડપી કામ કરવા સુચના આપી હતી.
તેમ છતા ઓવરબ્રિજની ધીમી કામગીરી માં કોઈ ફર્ક પડ્યો નથી.ત્યારે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડ થી નેશનલ હાઇવે પરથી કાર દ્વારા ગોંડલ પંહોચ્યા હતા.તેમને પણ સિક્સલેનની મંથરગતી સમી કામગીરીનો અનુભવ થયો હશે.પણ રમાનાથધામ ખાતે તેમણે પત્રકારો સાથે કોઈ વાત કરવાનું ટાળી દર્શન કરી રાજકોટ જવા નિકળી ગયા હતા.

