Jamkhambhaliya, તા. 16
દેવભૂમિ દ્વારકાથી સોમનાથ સુધીના આશરે 250 કિલોમીટર જેટલા વિશાળ નેશનલ હાઈ-વેને વિશાળ અને મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને રળિયામણો બનાવવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકાથી સોમનાથ વચ્ચેનો હાઈ-વે માર્ગ ખૂબ જ રમણીય અને દરિયાકિનારો ધરાવતો રસ્તો હોય, અહીંથી પસાર થતા મોટી સંખ્યામાં વાહન ચાલકો દરિયા સાથેના રસ્તાની સુંદરતાને માણે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એન.જી.ઓ. સાથે એમ.ઓ.યુ. કરીને આ નેશનલ હાઈવેને વધુ હરિયાણો અને રળિયામણો બનાવવાનું આયોજન કર્યું છે. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ તથા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ માર્ગ પર વિશાળ વૃક્ષોના રોપાઓ વાવવા તેમજ તેનો ઉછેર કરવાનો એમ.ઓ.યુ. કરવામાં આવ્યો છે.
દ્વારકાથી સોમનાથ સુધીના નેશનલ હાઈ-વેની બંને તરફ 40,000 ઘટાદાર વૃક્ષના છોળોનું વૃક્ષારોપણ કરીને ત્રણ વર્ષ સુધી તેની માવજત તથા ઉછેર કરવામાં આવશે. ત્રણ વર્ષ પછી આ તમામ વૃક્ષો મોટા થતા સમગ્ર માર્ગ ઘટાદાર વૃક્ષોથી છવાઈ જશે.
આ માટે સદભાવના વૃદ્ધાશ્રમના સંચાલકો તથા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા દ્વારા તાજેતરમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેને અનુસંધાને આગામી દિવસોમાં વૃક્ષારોપણ કામગીરી પણ શરૂ થઈ જશે. આ બાબતે લોકોમાં આવકાર સાથે પ્રશંસા થઈ રહી છે.