New Delhi,તા.19
રાજકીય પક્ષોના નાણા કયાંથી આવે છે અને કયાં જાય છે તેમાં કોઈ પોલીટીકલ પાર્ટી પારદર્શક બની રહી નથી. દર વર્ષે હજારો કરોડનું ભંડોળ મેળવીને પછી ચુંટણી સહિતના તોતીંગ ખર્ચ કરતા આ પક્ષો નથી માહિતીના અધિકાર હેઠળ આવતા નહી. તેઓને કોઈ ઈન્કમટેકસ ભરવો પડતો.
જેથી રાજકીય પક્ષો અને કાળા નાણાનું એક જે અર્થતંત્ર જેમાં ભ્રષ્ટાચારનું ઈંધણ હોય છે તે સતત ચાલ્યા કરે છે અને છતા બધા ખુદને નૈતિક- ખાવા દેતો નથી ના દાવા કરે છે.
છેલ્લા 20 વર્ષમાં દેશના રાજકીય પક્ષોને રૂા.10700 કરોડનું ભંડોળ અજ્ઞાત-સ્ત્રોત એટલે કે કોણે આપ્યું તે કોઈ માહિતી વગર જ મળ્યુ છે અને ચુંટણીપંચ પણ આંખો મીચીને રાજકીય પક્ષો જે કહે છે તે સ્વીકારી લે છે.
ચુંટણીપંચ સમક્ષ રાજકીય પક્ષોએ તેમના જે સાચા-ખોટા હિસાબો રજૂ કર્યા તેના પરથી આ માહિતી મળી છે. આ પ્રકારનું ભંડોળ મેળવવામાં 2023/24માં માર્કસવાદી સામ્યવાદી પક્ષ રૂા.82.07 કરોડ સાથે પ્રથમ ક્રમે છે તો કોંગ્રેસ રૂા.72.72 કરોડ ભાજપ રૂા.37.60 કરોડ આમ આદમી પાર્ટી 0.93 કરોડ અને એનસીપી રૂા.0.2 કરોડ સાથે ટોપ પાંચમાં છે.
રૂા.20000 કે તેથી ઓછું ભંડોળ જો કોઈ રાજકીય પક્ષને આવે તો તેમાં કોઈ નામની જરૂર નથી. રાજકીય પક્ષો આ પ્રકારે કૂપન બહાર પાડે છે અને જે તે ભંડોળ આપનારને પ્રી-પ્રેન્ટેડ કૂપન આપી દે છે. આમ જેને સામાન્ય ભાષામાં રામભરોસે કહેવાય છે.
તેવું આ ભંડોળ છે અને કાનૂન પણ રાજકીય પક્ષોને આ રીતે રૂા.20000થી મોટી રકમ આપવામાં કોઈ માહિતી ન મેળવે તો તેને માન્ય ગણે છે. જો કે ચૂંટણી બોન્ડ એ આ વ્યવસ્થાનુ છેતરામણું સ્વરૂપ હતું.
જેમાં દાન કોણે કયા રાજકીય પક્ષને કેટલુ આપ્યુ તે કદી જાહેર થતુ ન હતુ અને આ વ્યવસ્થા કાનૂની પણ છે. ચૂંટણીબોન્ડ પણ ફકત ડિજીટલ હોવાથી પારદર્શક બનતા નથી તે સુપ્રીમકોર્ટે નિશ્ચિત કર્યુ છે.