પહેલગામમાં થયેલ નૃશંસ આતંકવાદી હુમલાના બે દિવસ બાદ વડાપ્રધાન મોદીએ એમ કહીને આતંકીઓને અને આ હુમલાનું કાવતરું ઘડનારા લોકોને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મળશે, જનતાના આક્રોશને સ્વર આપવાની સાથે જ કાશ્મીર સહિત આખા દેશના લોકોને આશ્વસ્ત કરવાની કોશિશ તો કરી છે, આંતરરાષ્ટ્રીય સમુદાયને સંકેત અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે ભારત હવે કોઇપણ કિંમત પર આતંકવાદને સહન નહીં કરે. આ એ તાકાતો માટે સીધો સંદેશ છે, જે ભારતને અસ્થિર કરવા માગે છે – ચાહે તે સીમા પાર બેઠી હોય કે દેશની અંદર છૂપાયેલી હોય. પહેલગામમાં આતંકીઓએ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીન જે રીતે નફરત અને વિભાજનનું ષડયંત્ર રચ્યું અને એક આતંકીું પર્યટકને એમ કહેવું કે ‘જાવ, તમારી સરકારને જણાવી દો’, દર્શાવે છે કે આ હુમલો દેશના નેતૃત્વને પડકારવાની કોશિશ હતી.
તેના જવાબમાં વડાપ્રધાને યોગ્ય રીતે જ દેશની એકજુટતા પર બળ આપતાં તેને આખા ભારતનું દુઃખ ગણાવ્યું. સરકારે આ હુમલાના જવાબમાં જે કડક અને ત્વરિત પગલાં ભરવાની ઘોષણા કરી છે, તેનું દબાણ પાકિસ્તાન પર પડવાનું જ હતું, જે તેની ગભરાટભરી પ્રતિક્રિયામાં દેખાઈ પણ રહ્યું છે. અસલમાં સિંધુ જળ સંધિને અટકાવવી તેના માટે મોટો ઝાટકો છે, કારણ કે સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓનું પાણી, જે સંધિ અંતર્ગત પાકિસ્તાનને મળે છે, તેના પંજાબ અને સિંધ પ્રાંતોની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. ભારતનું આ પગલું, જોકે તાત્કાલિક પ્રભાવથી પાણીનો પૂરવઠો ભલે ન રોકે, કારણ કે તેના માટે મોટા બુનિયાદી માળખાની જરૂર પડશે, પરંતુ આ પાકિસ્તાન પર મનોવૈજ્ઞાનિક અને રણનીતિક દબાણ બનાવવા માટે પૂરતું છે. અમેરિકા, રશિયા અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોએ જે રીતે હુમલાની નિંદા કરી છે અને ભારત પ્રત્યે એકજૂટતા દેખાડી છે, તે પણ પાકિસ્તાનના કૂટનીતિક અલગાવને વધારશે જ, ખાસ કરીને એ મુસ્લિમ દેશો સાથે, જે હવે ભારત સાથે મજબૂત આર્થિક અને રણનીતિક સંબંધ બનાવી રહ્યા છે. હવાઇ ક્ષેત્રને બંધ કરવું અને વેપાર બરતરફ કરવાનો નિર્ણય પાકિસ્તાનની વિકલ્પહીનતા જ દર્શાવે છે, જે તેની પહેલેથી જ ખસ્તાહાલ અર્થવ્યવસ્થાને વધુ નુક્સાન પહોંચાડશે. પાકિસ્તાનનું તો જે થવાનું હશે તે થશે, ભારત માટે જરૂરી છે કે સરકાર આ હુમલા પાછળની ગુપ્તચર નિષ્ફળતાઓ અને સુરક્ષા ચૂકોની ગહન તપાસ કરે. સાથે જ આ હુમલાનો જવાબ આપતી વખતે આપણે એ ધ્યાન રાખવું પડશે કે આતંકીઓનો મકસદ નફરત અને વિભાજન ફેલાવવાનો છે અને આપણે તેમના આ મનસૂબાને નિષ્ફળ બનાવવો પડશે. ભારત ક્યારેય યુદ્ઘના પક્ષમાં નથી રહ્યું, તેથી તેની કોશિશ અન્ય ઉપાયો અજમાવવાની રહી છે. સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરવી, સીમા પાર આવાજાહી રોકવી જેવાં પગલાં ભારતે ઉઠાવ્યાં છે. પાકિસ્તાને પણ ભારતની નકલ કરતાં કેટલાંક કડક પગલાં ભર્યાં છે. જોકે ખુદ પાકિસ્તાનમાં બેઠેલા વિશેષજ્ઞો કહી રહ્યા છે કે પાકિસ્તાનને ભારત સાથે શત્રુતાથી નુક્સાન જ થશે. આતંકવાદને પોષનારા પાકિસ્તાને ખુદને બરબાદ કરી દીધું છે, હજુ પણ સમય છે તે પોતાના વિકાસમાં સમય આપે, પડોશીના વિનાશમાં નહીં.