છેલ્લા બે અઠવાડિયામાં ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો થયો છે. ૨૬ મે, ૨૦૨૫ના રોજ સક્રિય કોવિડ કેસો ડિસેમ્બર ૨૦૨૩ બાદ પહેલી વાર એક હજારને પાર પહોંચી ગયા. આ સમયે દેશભરમાંથી રોજ કોવિડ-૧૯ના લગભગ સો કેસો સામે આવી રહ્યા છે. સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ અને દિક્ષણ કોરિયા જેવા પડોશી દેશોમાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. કોવિડ-૧૯નો હાલનો નાનો વેરિયન્ટ જેએન.૧, ઓમિક્રોન વેરિયન્ટ (બીએ.૧.૫૨૯)નો જ વંશજ છે. અસલમાં ઓમિક્રોન ચિંતાનો અંતિમ વેરિયન્ટ છે, જે નવેમ્બર ૨૦૨૧માં પહેલી વાર મળ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો વાયરસમાં એટલું પરિવર્તન નથી થયું કે તેના કોઈ ઉપ-રૂપને ચિંતાનો વિષય માની શકાય. જેએન.૧ સૌથી પહેલાં લક્ઝમબર્ગમાં ઓગસ્ટ ૨૦૨૩માં મળ્યો હતો અને ભારતમાં તે નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૨૩માં મળવો શરૂ થયો હતો. જેએન.૧ જેને પિરોલા વેરિયન્ટ પણ કહે છે, મોટાભાગે દિક્ષણ એશિયાઇ દેશો અને દુનિયાના અન્ય હિસ્સામાં કોવિડ-૧૯નો સામાન્ય રીતે પ્રસારિત થનારો વેરિયન્ટ છે. જોકે જેએન.૧ના કેટલાક નવા ઉપવંશજ, જેમ કે એલએફ.૭ અને બીએન.૧.૮ પણ મળ્યા છે. જોકે આ કેસોમાં કોઈ મોટો ચિકિત્સકીય બદલાવ નથી આવ્યો.
સાથે જ ૨૦૨૫ના મધ્યની સ્થિતિ પાંચ વર્ષ પહેલાંની તુલનામાં બિલકુલ અલગ છે. ભારતમાં તમામ ઉંમર વર્ગના લોકો સાર્સ સીઓવી-૨ અને ઓમિક્રોન સહિત કોરોનાના વિભિન્ન વેરિયન્ટના સંપર્કમાં આવી ચૂક્યા છે. મોટાભાગના વયસ્ક બે કે તેથી વધારે કોવિડ રસી લઈ ચૂક્યા છે. તેથી ભારતીય લોકોમાં પ્રાકૃતિક અને રસીને કારણે પ્રતિરોધક ક્ષમતા છે. મોટાભાગના લોકો ડિસેમ્બર ૨૦૨૨ અને જાન્યુઆરી ૨૦૨૩માં ઓમિક્રોન વેરિયન્ટના સંપર્કમાં આવ્યા હતા. હાલના જેએન.૧ વેરિયન્ટ ઓમિક્રોન પરિવારનો જ હિસ્સો છે, તેથી લોકોની પ્રતિરોધક ક્ષમતા જળવાઈ રહેવાની સંભાવના છે.
સવાલ એ થાય છે કે આખરે કોરોનાના કેસો વધી કેમ રહ્યા છે? તેનો જવાબ ત્રણ વૈજ્ઞાનિક તથ્યોમાં સમાયેલો છે. પહેલું, એ સર્વવિદિત છે કે જ્યારે કોઈ વાયરસ લોકોમાં પ્રવેશ કરે છે તો તે તેમની વચ્ચે જ રહે છે. સાર્સ સીઓવી-૨ ભારત અને અન્ય સ્થળોએ હજુ પણ મોજૂદ છે, તેમ છતાં સંક્રમણનો દર ઘણો ઓછો છે. એવું લાગે છે કે એક પેટર્ન ઉભરી રહી છે, જે અંતર્ગત કોરોના ભારતમાં આઠ કે નવ મહિનામાં ઉભાર નોંધાવે છે. પૂરતી સંભાવના છે કે આ વખતે પણ આ મોસમી પેટર્નને કારણે વધી રહ્યો છે. બીજું, સાર્સ સીઓવી-૨ આરએનએ વાયરસો જેવો છે, જે અન્ય પ્રકારના વાયરસોની તુલનામાં સતત ઉત્પરિવર્તન અને આનુવંશિક પરિવર્તનો માટે ઓળખાય છે. જોકે મુખ્ય વેરિયન્ટ જેએન.૧ જ બનેલો છે, તે ઉપરાંત કેટલીક નવી વંશાવલિઓ પણ સામે આવી છે જે વૃદ્ઘિનું કારણ બની રહી છે. ત્રીજું, ગત સપ્તાહે ભારત અને અન્ય દેશોમાં કેસોની વૃદ્ઘિ થતાં કોવિડ-૧૯ની તપાસ વધારી દેવામાં આવી છે. તેથી આપણે જે ઉછાળ જોઈ રહ્યા છીએ, તે કોવિડ-૧૯ પરીક્ષણ અને નિરીક્ષણમાં વૃદ્ઘિને કારણે છે એટલે કે મોટાભાગના લોકોની તપાસને કારણે તેમનામાં સંક્રમણની જાણ થઈ રહી છે.
સવાલ છે કે જો આપણી અંદર પ્રાકૃતિક સંક્રમણ અને રસીને કારણે પ્રતિરોધક ક્ષમતા છે અને આ વાયરસ પણ નવો નથી, છતાં તેમાં વૃદ્ઘિ કેમ થઈ રહી છે? અસલમાં ના તો પ્રાકૃતિક સંક્રમણ અને ના રસીથી પ્રેરિત પ્રતિરોધકતા સંક્રમણથી બચાવે છે. આ કેસો કેટલીક હદ સુધી એવો સંકેત કરે છે કે લોકો પોતાના નાક અને ગળામાં કોરોના વાયરસ લઈને ચાલે છે! જોકે પ્રતિરોધક કવચ એ સુનિશ્ચિત કરે છે કે માણસ બીમાર ન હોય કે પછી કમ સે કમ ગંભીર બીમારીથી તો બચી રહે. હાલના પુરાવા અનુસાર, અત્યાર સુધી ગંભીર બીમારીનો કોઈ કેસ સામે નથી આવ્યો.