રાજકીય પક્ષો જાતિની રાજનીતિ કરવાનું કદી ચૂકતા નથી. જાતિગત જનગણના વંચિતો, પીડિતોનાં ઉત્થાન માટે હોય તો, સોનામાં સુગંધ ભળે. નવી વસ્તી ગણતરી આગામી સપ્ટેમ્બરમાં શરૃ થાય એમ બને, સિવાય કે બીજી કોઈ એવી ઘટના બને ને પ્રજાનું ધ્યાન બીજી દિશાએ વાળવું પડે તો વાત જુદી છે. કોરોનાને કારણે વસ્તી ગણતરી ૨૦૧૧માં થઈ ન શકી ૩૦ એપ્રિલ, ૨૦૨૫ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયો. આ વખતે મૂળ વસ્તી ગણતરીમાં જાતિની ગણતરી પણ હશે.
જો વસ્તી ગણતરી થાય છે, તો આ વખતે મહત્ત્વ એ વાતે વધે એમ છે કે તે સ્ત્રી-પુરુષની સંખ્યાના આંકડા કે એસસી, એસટી જાતિ આધારિત ગણતરી પૂરતી સીમિત નહીં હોય, પણ આખા દેશની દરેક જાતિ, દરેક જ્ઞાાતિની ગણતરી પણ તેમાં હશે. જાતિનું ખાનું હવે અનિવાર્યપણે ભરવાનું થશે. કોંગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા વખતથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા હતા ને હવે કેન્દ્ર સરકારે તેના પર મંજૂરીની મહોર મારી છે. આ ગણતરી બે’ક વર્ષમાં પૂરી કરવાનો સરકારનો ઇરાદો છે. એના આંકડા ૨૦૨૭ની શરૃઆત સુધીમાં આવે એવી ધારણા છે. આવો પ્રયત્ન અંગ્રેજી શાસકોએ ૧૯૩૧માં કર્યો હતો, તે પછી સ્વતંત્ર ભારતમાં આ પહેલો પ્રયત્ન છે. ૨૦૧૧માં મનમોહનસિંહની સરકારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો હતો. ૨૫ કરોડ શહેરી અને ગ્રામીણ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, પણ કોઈક કારણસર તેના આંકડાઓ જાહેર ન થયા. કર્ણાટક, બિહાર જેવાં રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર થયા હતા.
સ્વતંત્રતા પછી નહેરુથી લઈને નરસિંહરાવની સરકારો આવી, પણ કોઈને જાતિ આધારિત જનગણનાનો વિચાર આવ્યો ન હતો. ત્યારે આગામી ઓકટોબર-નવેમ્બરમાં આવી રહેલી બિહારનીચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર સંભવતઃ આ ગણતરી કરાવશે તેવી રાજકીય ચર્ચા છે. જાતિ આધારિત ગણતરીનો લાભ કોઈ પણ પક્ષ જતો કરે એમ નથી, એટલે અન્ય જાતિઓની જેમ દરેકની જાતિ આધારિત ગણતરી થશે, તે એટલે કે ઘણી પછાત જાતિઓ છે તેની પણ ગણતરી થશે. આની આગળની વાત એવી થઈ શકે કે યોજનાઓનાં અમલીકરણ સંદર્ભે અનામતનો મુદ્દો સપાટી પર આવે. તે સાથે જ મહિલાઓ અંગે પણ વિચારવાનું આવે.
હવે બધી જ જાતિઓની ગણતરીના આંકડાઓ બહાર પડે તો અનામતની માંગ વધે એમ બંને. કોર્ટે આરક્ષણની મર્યાદા ૫૦ ટકા સુધી સીમિત રાખી છે, તો એની ઉપરવટ જવા જેવું ખરું? આ પ્રશ્ન સામે બહુ સ્પષ્ટ છે કે ને બધાંને માટે એ વ્યવસ્થા થાય જ એની ખાતરી નથી. ભાજપ સરકાર એક તબક્કે જાતિગત વસ્તી ગણતરી માટે તૈયાર ન હતી. જોકે, બિહારમાં ભાજપે જાતિગત વસ્તી ગણતરીને ટેકો આપ્યો હતો. હવે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને, વિપક્ષનું પોતે પણ સાંભળે છે એમ બતાવીને હાથ ઉપર રાખી શકે. બાકી, આ જ એનડીએએ કોંગ્રસ અને અન્ય વિપક્ષો પર જાતિગત વસ્તી ગણતરી દ્વારા દેશને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો. જાતિગત ગણતરીનો ભાજપને વાંધો હોય તો પણ, ચૂંટણીમાં ટિકિટ ફાળવવાથી માંડીને ખાતાંની વહેંચણીઓમાં જાતિ ન જોવાઈ હોય એવું અપવાદરૃપે ભાજપમાં તો શું, કોઈ પક્ષમાં બન્યું નથી. ૨૦૧૧ની જનગણના મુજબ દેશમાં ૪૬ લાખ જેટલી જાતિ, ઉપજાતિઓ છે. આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અને લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત લોકોના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.