ફેબ્રુઆરીના અંતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં થયેલ નાટકીય ટકરાવ બાદ, જેણે અમેરિકા-યુક્રેનના રાજદ્વારી સંબંધોને લગભગ ખતરામાં મૂકી દીધા હતા, બંને પક્ષો દ્વારા આખરે બુધવારે વોશિંગ્ટનમાં ઐતિહાસિક ખનિજ સમજૂતી પર હસ્તાક્ષર કરવા આ દેશોના હિતોની દૃષ્ટિએ મહત્ત્વનું છે, પરંતુ તેની પાછળ છૂપાયેલા ભૂરાજકીય સંકેત પણ એટલા જ ધ્યાન આપવા યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ અમેરિકા સાથે દુર્લભ ખનિજો પર સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે અમેરિકાએ પણ એના પર સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. પ રંતુ હાલમાં જ ટ્રમ્પે પોતાનું વલણ બદલતાં કહ્યું કે તેમને લાગે છે કે પુતિન શાંતિ વાર્તા પ્રત્યે પોતાના દૃષ્ટિકોણમાં ઇમાનદાર નથી.
જોકે ટ્રમ્પ ઝેલેન્સ્કી પર પણ તાનાશાહ હોવાનો આરોપ લગાવી ચૂક્યા છે, પરંતુ આ સમજૂતી તેમના કીવ પર નરમ પડતા વલણનો સંકેત માની શકાય છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન એક ખનિજ સમૃદ્ઘ દેશ છે, જ્યાં અમેરિકી ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા મહત્ત્વપૂર્ણ શ્રેણીમાં વર્ગીકૃત ૫૦માંથી ૨૨ ખનિજોના ભંડાર છે. તેમાં એ દુર્લભ ખનિજ પણ સામેલ છે, જે ઇલેક્ટ્રોનિક્સ, સ્વચ્છ ઊર્જા ટેકનિકો અને કેટલીક હથિયાર પ્રણાલીઓના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ છે.
હાલમાં ચીન મહત્ત્વપૂર્ણ ખનિજોના વૈશ્વિક પૂરવઠા શૃંખલા પર હાવી છે, જે દુર્લભ ખનિજોના ઉત્પાદન અને શોધનના ૫૦ થી ૭૫ ટકા હિસ્સા પર નિયંત્રણ ધરાવે છે. આ ખનિજો માટે અમેરિકા ચીન પર નિર્ભર છે અને એટલે જ દુર્લભ ખનિજોના પૂરવઠામાં અમેરિકા પોતાનો હિસ્સો વધારવા અને ચીન પર નિર્ભરતા ઓછી કરવા માગે છે. સમજૂતી અંતર્ગત અમેરિકા-યુક્રેન પુનર્નિર્માણ નિવેશ કોષની સ્થાપનાની પરિકલ્પના કરવામાં આવી છે, જે બાબતે ટ્રમ્પ પ્રશાસને કહ્યું છે કે આ કોષ યુદ્ઘની શરૂઆતથી અત્યાર સુધી યુક્રેનને આપવામાં આવેલી સહાયતાની ચૂકવણી કરશે.
ખાસ વાત એ છે કે યુક્રેનને ભવિષ્યમાં અપાનારી કોઈપણ અમેરિકી સૈન્ય સહાયતા સંયુક્ત કોષમાં અમેરિકાના યોગદાનમાં ગણવામાં આવશે. જોકે સમજૂતીના તાત્કાલિક પ્રભાવને બહુ વધારી-ચડાવીને ન જોઈ શકાય, કારણ કે યુક્રેનમાં ખનિજ ખાણોને વ્યાવસાયિક રૂપે સંચાલિત કરવા માટે મોટા રોકાણ અને સમયની જરૂર પડશે, જે યુદ્ઘની વચ્ચે પડકારજનક રહેશે. બીજી તરફ, રશિયા તેને પોતાના માટે ખતરા તરીકે જોઈ શકે છે, અને આ કારણે યુક્રેન પર પોતાના સૈન્ય હુમલા વધારી શકે છે. એ જોવું મહત્ત્વપૂર્ણ રહેશે કે આ સમજૂતી યુદ્ઘ અને ક્ષેત્રીય સ્થિરતા પર શી અસર કરે છે. જોકે, તેનાથી યુદ્ઘ પ્રભાવિત યુક્રેનને રાહત તો મળી જ છે.