ભારત દ્વારા સિંધુ જળ સંધિ સ્થગિત કરાયા બાદ પાકિસ્તાન તરફથી ’પ્રતિક્રિયા’ આવવી શરૃ થઈ ગઈ છે. સિંધમાં પ્રદર્શનકારીઓએ ગૃહ મંત્રી જિયાઉલ હસન લંજારનું ઘર જ આગને હવાલે કરી દીધું. આ તો માત્ર શરૃઆત છે. ભારતનું ’જળાસ્ત્ર’ ભવિષ્યમાં ઘાતક મિસાઇલોથી પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. પાકિસ્તાનના પંજાબી શાસકો જાણે છે કે આજે નહીં તો કાલે, વિરોધ અને નફરતની આધારશિલા પર ઊભેલું તેમનો દેશ તૂટી જશે. એટલે તેઓ પોતાના પ્રાંત માટે અગાઉથી બધી વ્યવસ્થા કરવા માગે છે. તેઓએ હંમેશા સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાની અવગણના કરી છે. તેઓ સિંધુ નદી પર કેનાલ બાંધવાનો પ્રયાસ એ માટે કરી રહ્યા છે કે જેથી સિંધના અધિકાર છીનવી શકાય. પાકિસ્તાનમાં સિંધ અને પંજાબ વચ્ચેનો સંઘર્ષ ખૂબ જૂનો છે. પંજાબી સૈન્ય અને નેતાઓની એકપક્ષીયતા લીધે સિંધુદેશની માંગ ઊભી થતી રહી છે. આ વખતે સિંધની પ્રજાએ જે રીતે વિરોધ નોંધાવ્યો, એ તેમનો પુણ્યપ્રકોપ છે. આ દરમ્યાન જે નારેબાજી થઈ, તેમાં પણ સિંધુદેશની માંગ ઉઠાવવામાં આવી હતી. જેના કારણે ઈસ્લામાબાદ અને રાવલપિંડીના શાસકો ચિંતિત થઈ ગયા છે. જો સિંધમાં સ્વતંત્રતાની લહેર જોર પકડે છે, તો તેને દબાવવી પાકિસ્તાની સેના માટે ખૂબ મુશ્કેલ થઈ જશે. સિંધની સીમા ભારત સાથે જોડાયેલી છે. જો ભવિષ્યમાં પાકિસ્તાની સેના સિંધના લોકો પર મોટા પાયે દમન ચલાવે અને લોકો આંતરરાષ્ટ્રીય સરહદ સુધી મદદ માટે પહોંચી જાય (જેમ ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં થયું હતું), તો ભારત તેમાં હસ્તક્ષેપ કરી શકે છે.
સિંધના અનેક વિસ્તારોમાં રહેતા લોકો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટા પોસ્ટ કરીને જણાવી રહ્યા છે કે ત્યાં નદીમાં પાણી બહુ ઓછું રહી ગયું છે. ઘણી જગ્યાએ તો દુકાળ જેવી સ્થિતિ છે. તેઓ સમજી રહ્યા છે કે આ માટે સૌથી વધુ જવાબદાર જનરલ આસિમ મુનીર છે. ભારતે ક્યારેય પાણી બંધ ન કર્યું હતું, ત્યાં સુધી કે યુદ્ધ દરમિયાન પણ સિંધુનું પાણી વહેતું રહ્યું હતું. હવે મોદી સરકારે ખૂબ કડક નિર્ણય લીધો છેઃ પાણી અને લોહી સાથે વહી ન શકે. આ એવો નિર્ણય છે, જે પાકિસ્તાનની આખું અસ્તિત્વ ખતમ કરી શકે છે. એક વર્ષમાં પાકિસ્તાનમાં અનાજ, દાળ, શાકભાજી, દૂધ, ઘી અને અન્ય ચીજોની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે. સિંધુને પાકિસ્તાનની ’જીવન રેખા’ એમ જ નથી કહેવાતી. પાકિસ્તાનના દુરાચરણોને નિયંત્રિત કરવા માટે ભૂતકાળની સરકારોએ આવો નિર્ણય લેવો જોઈએ હતો. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ ગંભીર દબાણ હેઠળ છે. જો સિંધુનું પાણી અટકાવવામાં આવે, તો તે કેટલાં મહિના ટકી શકે? ત્યાં માત્ર એક મહિનામાં જ મોંઘવારી આસમાને આંબી છે. બજારથી લઈને ઘર સુધી તેની અસર દેખાઈ રહી છે. જેમ જેમ સ્થિતિ વધારે વિકટ બનશે, તેમ તેમ પાકિસ્તાન તરફથી ધમકીઓ પણ વધી જશે. તે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓને બોલાવીને તેમની સામે રોદણાં રડશે. તેના નેતાઓ આવી સંસ્થાઓના મંચ પર ભાષણો કરીને વિનંતી કરશે કે અમારું દેવું માફ કરો અને ભારત પર દબાણ કરો. સોશિયલ મીડિયા પર ખોટા ફોટા પોસ્ટ કરીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે. દૂષ્પ્રચારના નવા-નવા હથિયારો અજમાવાશે. એ સમયે ભારત સરકારે અને ભારતના નાગરિકોએ દૃઢતા દાખવવી પડશે. આતંકવાદ સામેની આ લડત લાંબી ચાલશે, પરંતુ પરિણામો ઠોસ આવશે.