દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે વસંત ઋતુમાં ફૂલગુલાબી ઠંડીનું હવામાન હોય છે, પરંતુ હવે ઉત્તર ભારતમાં કમ સે કમ બપોરના સમયે તો આકરો તડકો લાગી રહ્યો છે. દિલ્હીમાં અધિકતમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે પટનામાં અધિકતમ તાપમાન અત્યારથી જ ૩૦ ડિગ્રી સેલ્સિયસના માપદંડને પાર કરી ગયું છે. ન્યૂનતમ તાપમાનમાં પણ ગત દિવસોમાં વૃદિ્ઘ થઈ છે અને ઉત્તર ભારતમાં જો વ્યાપકતામાં જોઇએ, તો લોકોને આકરી ઠંડીથી છૂટકારો મળી ગયો છે. ન્યૂનતમ તાપમાન જ્યારે ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે ત્યારે જ ઠંડી અનુભવાય છે. ફેબ્રુઆરીનો મહિનો અડધાથી વધુ વીતી ગયો છે અને હવે લાગે છે કે શિયાળો પણ વીતી ગયો છે અને આગામી મહિને હોળી સુધી સૂર્યદેવતા ખૂબ તપશે. અનેક વાર એવું થયું છે કે હોળી સુધી ઠંડી ખેંચાઈ છે. જોકે આશંકા એ પણ છે કે વરસાદ થશે અને ફરી એક વખત ઠંડી પાછી આવશે, પરંતુ આ બાબત કશું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ જોવાઈ રહ્યો છે. ક્યાંક વધારે વરસાદ થાય ત્યારે જ મોસમનો મિજાજ ઠંડી તરફ આવી શકે.
જોકે હવામાનના આવેલ બદલાવ અચરજની વાત નથી. વિભિન્ન કારણોસર તાપમાનની માત્રા નક્કી થાય છે અને હાલમાં જે સંકેત દેખાઈ રહ્યા છે, તેનાથી એવું લાગે છે કે આવનાર દિવસોમાં તાપમાન વધતું જશે. એવું નથી કે માત્ર ઉત્તર ભારતમાં ગરમી લોકોને સતાવવા લાગી છે, દક્ષિણમાં પણ હવામાને પ્રતિકૂળ વલણ લીધું છે. આખું વર્ષ સારા હવામાન માટે મશહૂર બેંગલુરુના તાપમાનમાં અણધાર્યો ઉછાળો છે, જેનાથી નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારત હવામાન વિભાગ અનુસાર બેંગલુરુમાં હાલમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની તુલનામાં વધારે ગરમી પડી રહી છે. ઠંડા હવામાનવાળા ગંતવ્ય રૂપે બેંગલુરુની પ્રતિષ્ઠા ખતરામાં છે. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બેંગલુરુએ અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધ્યો છે. ત્યાં તાપમાન ૩૫.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. મતલબ બેંગલુરુથી વધારે સારું હવામાન તો પટના અને દિલ્હીમાં કહી શકાય. બેંગલુરુમાં ગરમી માર્ચમાં શરૂ થાય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ ગઈ છે. અત્યારથી જ જો ગરમી પડી તો રાહત માટે તેણે ત્રણ મહિના અને દિલ્હીએ ચાર મહિનાની રાહ જોવી પડશે. ધ્યાન રહે, ચોમાસું ૧ જૂનની આસપાસ ભારત ભૂમિનો સ્પર્શ કરે છે. સમયથી પહેલાં શરૂ થયેલ ગરમી પાછળ જળવાયુ પરિવર્તન જેવું એક મોટું કારણ છે, પરંતુ હાલમાં આપણા માટે તેની અસર વધારે મહત્ત્વપૂર્ણ છે. દેશમાં અડધાથી વધારે જળસ્રોતોમાં નામ માત્રનું પાણી બચ્યું છે. અનેક જળસ્રોત સંપૂર્ણ રીતે સૂકાઈ ચૂક્યા છે. એવામાં લોકોએ જળસંકટનો સામનો કરવો પડી શકે છે. ગરમીના દિવસો જેટલા વધારે હશે, જળસંકટ પણ એટલું જ વધી જશે. તેથી પહેલો બોધપાઠ તો એ કે પાણીનો સદુપયોગ અત્યારથી જ શરૂ કરી દેવો જોઇએ. પાણીની બરબાદી રોકવી લોકોની જ નહીં, બલ્કે સરકારની પ્રાથમિકતા પણ હોવી જોઇએ. ગરમી વધતાં સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડશે. એક નવા અધ્યયનમાં ખબર પડી છે કે સમય પહેલાં આવેલી ગરમી આપણા ગુસ્સાને પણ વધારી રહી છે. તેેથી આપણે વિના વિલંબે હવામાનને અનુરૂપ પોતાના ખાનપાન અને જીવનશૈલીનો તાલમેલ બેસાડવો જોઇએ.