હાલમાં જ ભારતીય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણનું એક ચોંકાવનારું નિવેદન આવ્યું કે ઓપરેશન સિંદૂર દરમ્યાન સેનાની પંદર ટકા ઊર્જા ભ્રામક માહિતીઓ અને ફેક ન્યૂઝ સામે ઝઝૂમવામાં ખર્ચાઇ. આ નિવેદન ચિંતાજનક અને પરેશાન કરનારું છે. એમ તો વિશ્વ યુદ્ઘો દરમ્યાન પણ ઘાતક અને ભ્રામક માહિતીઓના યુદ્ઘ પરંપરાગત યુદ્ઘ સાથે લડવામાં આવ્યા, પરંતુ હાલનાં વર્ષોમાં માહિતી ક્રાંતિ અને ડિજિટલ યુગમાં આ પડકાર બેહદ જટિલ થઈ ગયો છે. આ વખતે ‘ઓપરેશન સિંદૂર’ માં ભારતે ત્વરિત અને સચોટ કાર્યવાહીથી પાકિસ્તાનમાં મોટા આતંકી ઠેકાણાં ધ્વસ્ત કર્યાં બલ્કે પાક વાયુસેનાને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. જ્યારે આપણે હવાઇ હુમલાની રશિયન પ્રતિરોધક પ્રણાલી અને સ્વદેશી રક્ષા કવચથી પાકિસ્તાનના મિસાઇલ અને ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા. તેમ છતાં ભ્રામક માહિતીઓ દ્વારા પાકિસ્તાની જનમાનસને છેતરવામાં આવ્યું કે જીત પાકિસ્તાનની થઈ છે. બાકાયદા વિજય સરઘસો કાઢવામાં આવ્યાં, મીઠાઇઓ વહેંચવામાં આવી. એટલું જ નહીં આકરી હાર બાદ સેના પ્રમુખને ફીલ્ડ માર્શલ બનાવી દેવાયો! ભ્રામક-ફેક ન્યૂઝનું પૂર બહાર અને ભીતર બંને તરફ હતું. દેશની જનતા અસમંજસમાં રહી કે વાસ્તવિકતા શું છે. સમાચારોની તાર્કિકતા માટે સેનાએ પણ જહેમત કરવી પડી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાની સાથે સેનાના અધિકારીઓએ તથ્યોની તાર્કિકતા સાથે પોતાની વાત મૂકી.
બીજી તરફ પાકિસ્તાને પોતાના મિત્રો અને દુનિયાના અન્ય દેશોને ખોટી માહિતી આપીને ભરમાવવાનો પ્રયાસ કર્યો. આ દિશામાં તમામ રાજકીય પક્ષોના ભારતીય સાંસદોએ વિભિન્ન દેશોમાં પહોંચીને ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો. ત્યારબાદ જ કોલંબિયાએ પાકિસ્તાનના પક્ષમાં આપેલું નિવેદન પાછું લેવા મજબૂર થવું પડ્યું. હવે સમય પાકી ગયો છે કે પરંપરાગત યુદ્ઘ સાથે નેરેટિવ અને ભ્રામક માહિતી યુદ્ઘની પણ તૈયારી કરવામાં આવે. ઝડપી માહિતી તંત્ર અને સોશ્યલ મીડિયાના દોરમાં કેવા કેવા સમાચારો સ્વાર્થી તત્ત્વો દ્વારા ઘડવામાં આવે છે, આ આપણે ઓપરેશન સિંદૂર દરમ્યાન જોઈ. એઆઇની મદદથી કાલ્પનિક વૃત્તાંત તૈયાર કરીને જૂઠ્ઠાણાને સત્ય ગણાવવાની કવાયત કરવામાં આવી. અસલમાં આઇટી ક્રાંતિએ માહિતીના પ્રસારને અભૂતપૂર્વ ગતિ આપી છે. આ કામ પાકિસ્તાન આ દરમ્યાન કરતું રહ્યું છે. અડધો ડઝન ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના દાવા પાક કરતું રહ્યું તો ચીનનું સરકારી મીડિયા પાકિસ્તાનના મનસૂબાને હવા આપતું રહ્યું. આ ઘટના ક્રમ આપણને સચેત કરે છે કે આવનાર સમયમાં ભારતે આક્રમક માહિતી યુદ્ઘના મુકાબલાને ફૂલપ્રુફ તંત્ર વિકસિત કરવું પડશે. આવી ભ્રામક માહિતીઓ સૈન્ય અભિયાનોના માર્ગમાં તો અવરોધ પેદા કરે જ છે, સાથે જ દેશની જનતાનું મનોબળ પણ તોડે છે. આ એક રીતે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ પડકાર છે. ઓપરેશન સિંદૂર બાદ દેશમાં પાકિસ્તાન માટે જાસૂસીના કેટલાય મામલા પ્રકાશમાં આવ્યા. આ પણ એક પ્રકારનું માહિતી યુદ્ઘ જ હતું. બીજી તરફ ભ્રામક માહિતીઓ આંતરરાષ્ટ્રીય જનમતને પણ પ્રભાવિત કરે છે. એ જ કારણ છે કે આસન્ન સંકટને જોતાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણે માહિતી યુદ્ઘના મુકાબલા માટે સેનાની એક નવી વિંગ બનાવવાની જરૂર પર ભાર મૂક્યો. અસલમાં યુદ્ઘ જેવી સ્થિતિઓમાં ભ્રામક માહિતીઓને તરત કારગત રીતે તથ્યો દ્વારા મુકાબલો કરવાની સખત જરૂર હોય છે. જેટલા જલ્દી આપણે આ નવા પ્રકારના યુદ્ઘ માટે ખુદને તૈયાર કરી લઈએ એટલી જ સરસાઈ આપણે યુદ્ઘ દરમ્યાન લઈ શકીએ છીએ.