દેશભરના 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સરકારે ભલે 16 જાન્યુઆરી, 2025ના રોજ આ પંચની રચનાને મંજૂરી આપી હતી. પરંતુ હજી સુધી તેની ઔપચારિક રૂપે રચના કરવામાં આવી નથી. જાહેરાતને છ મહિના વીતિ ગયા હોવા છતાં અત્યારસુધી અધ્યક્ષ અને સભ્યની પણ નિમણૂક થઈ નથી. તેમજ તેના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) ફાઈનલ થયા નથી. જેથી આ પંચનું અમલીકરણ 1 જાન્યુઆરી,2026થી લાગુ થશે કે નહીં. તેના પર સવાલો ઉભા થયા છે.
ઐતિહાસિક ધોરણે વિવિધ પગાર પંચની જાહેરાત અને અમલીકરણ પર નજર કરીએ તો નવા પગાર પંચને લાગુ કરવા માટે સરકારને ઓછામાં ઓછા બેથી અઢી વર્ષનો સમય થયો છે. જેથી આ નવા આઠમા પગાર પંચને લાગુ કરવામાં પણ બે વર્ષનો સમય થઈ શકે છે.
છઠ્ઠા પગાર પંચની રચના 5 ઓક્ટોબર, 2006ના રોજ થઈ હતી. જેનો રિપોર્ટ 24 માર્ચ, 2008ના રોજ સોંપવામાં આવ્યો હતો. સરકારે 1 જાન્યુઆરી, 2006થી લાગુ કર્યુ હતું. પરંતુ ઓગસ્ટ, 2008માં તેને મંજૂરી મળી હતી. રિપોર્ટ તૈયાર કરવામાં જ દોઢ વર્ષનો સમય લાગ્યો અને મંજૂરી મળવામાં બીજા પાંચ મહિના થયા હતાં. જો કે, કર્મચારીઓને પગાર અને ભથ્થુ અમલીકરણની તારીખથી મળ્યુ હતું.
સાતમું પગાર પંચ
સાતમું પગાર પંચ 28 ફેબ્રુઆરી, 2014ના રોજ તૈયાર થયુ હતું. જેનો રિપોર્ટ 19 નવેમ્બર, 2015ના રોજ સોંપવામાં આવ્યો હતો. જેને 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવ્યું હતું. સરકારે જૂન, 2016ના રોજ તેને મંજૂરી આપી હતી. રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ 1 વર્ષ અને નવ માસ થયા હતાં. અને લાગુ કરવામાં સાત મહિનાનો સમય થયો હતો. જાન્યુઆરીથી જૂન, 2016 સુધી તેનું બાકી ચૂકવવામાં આવ્યું હતું.
આઠમું પગાર પંચ 2025ના અંત સુધી તૈયાર થવાની સંભાવના છે. જેનો રિપોર્ટ 2027 કે 2028 સુધી રજૂ થઈ શકે છે. જો મંજૂરી મળી તો 2028થી તે લાગુ કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કરવામાં ઐતિહાસિક ધોરણે દોઢથી બે વર્ષનો સમય ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. જો કે, હજી સુધી અધ્યક્ષની નિમણૂક થઈ ન હોવાથી તેમાં વધુ વિલંબની આશંકાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ
કર્મચારીઓને એરિઅર્સ મળશે
જો આઠમું પગાર પંચ 2025ના અંત કે 2026ની શરૂઆતમાં તૈયાર થાય અને તેનો રિપોર્ટ 2027 કે 2028 સુધીમાં સોંપવામાં આવે તો તેને લાગુ કરવામાં વધુ છથી આઠ મહિનાનો સમય થઈ શકે છે. જેથી નવો પગાર 2028માં લાગુ થશે. સરકાર તેને લાગુ 1 જાન્યુઆરી, 2026થી કરી શકે છે, જેથી કર્મચારીઓને તેનું એરિઅર્સ મળશે.
આઠમા પગાર પંચની સ્થિતિ
સરકારે અત્યારસુધી માત્ર 35 સ્ટાફના પદ માટે ડેપ્યુટેશન સર્ક્યુલર જાહેર કર્યું છે. પરંતુ અધ્યક્ષ, સભ્ય અને સચિવની જાહેરાત કરી નથી. ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) મુદ્દે વિચાર-વિમર્શ થઈ રહ્યા છે. જ્યાં સુધી તે તૈયાર નહીં થાય ત્યાં સુધી પંચની કામગીરી શરૂ થશે નહીં. કેન્દ્રીય કર્મચારીઓએ આઠમા પગાર પંચ પર અનેક ભલામણો સરકાર સમક્ષ રજૂ કરી છે.
કર્મચારીઓની માગ
- પાંચ સભ્યોના પરિવારના આધારે લઘુત્તમ પગાર નિર્ધારિત કરવામાં આવે
- પગાર લેવલનું મર્જર થાય
- દર પાંચ વર્ષે પેન્શનની સમીક્ષા કરવામાં આવે
- 12 વર્ષ બાદ ફરી પેન્શનની નવી પ્રણાલી લાગુ કરવામાં આવે
- 50 ટકા મોંઘવારી ભથ્થાને બેઝિક સેલેરી સાથે જોડવામાં આવે
પગાર કેટલો વધી શકે છે?
મોટાભાગની ચર્ચા ફિટમેન્ટ ફેક્ટર વિશે છે, જે નક્કી કરે છે કે વર્તમાન પગારમાં કેટલો વધારો થશે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.92x થી 2.86x વચ્ચે નક્કી કરવામાં આવે, તો વર્તમાન 18000 રૂપિયાનો લઘુત્તમ પગાર 51000 રૂપિયા સુધી વધારી શકાય છે. તેવી જ રીતે, પેન્શનર્સને મોંઘવારીમાં રાહત અને નવી પેન્શન યોજના હેઠળ વધારાના લાભ મળવાની શક્યતા છે. પરંતુ જ્યાં સુધી સરકાર કમિશનની રચના ન કરે અને ટીઓઆર નક્કી ન થાય ત્યાં સુધી બધી ફક્ત અટકળો છે.