Haryana, તા.૨૮
હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ માટે ૭ ગેરેન્ટી બાદ હવે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો (Manifesto) ‘હાથ બદલેગા હાલાત’ જાહેર કર્યો છે. ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમની સાથે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પૂર્વ શિક્ષણ મંત્રી ગીતા ભુક્કલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાન પણ હાજર રહ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે જીરૂન્ કેનાલ વિવાદ ઉકેલવાનો વાયદો કર્યો છે. ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ૭૦૦થી વધુ શહીદ ખેડૂતોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે. હિમાચલની તર્જ પર હરિયાણામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો વાયદો પણ હરિયાણા કોંગ્રેસે કર્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસે હરિયાણા માટે એક સંકલ્પ પત્ર જારી કર્યો હતો. જેમાં રાજ્યના લોકોને ૭ ગેરેન્ટી આપવામાં આવી હતી. લગભગ એક અઠવાડિયા પહેલા રોહતકમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, અજય માકન, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, ટીએસ સિંહદેવ, ચૌધરી ઉદયભાન અને ગીતા ભુક્કલે આ ગેરેન્ટી લોન્ચ કરી હતી. કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્રને ’૭ વાદે પક્કે ઈરાદે’ નામ આપ્યું હતું, જેમાં સમાજના દરેક વર્ગ પર ફોકસ કરી ગેરેન્ટી આપવામાં આવી હતી.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
– રાજસ્થાન સરકારની તર્જ પર ૨૫ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી
– સસ્તું શિક્ષણ
– મહિલાઓની સમસ્યા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ
– વિદ્યાર્થીનીઓ માટે ફ્રી પિંક મિની બસ અને પિંક ઈ રિક્ષાની સુવિધા
– ખેડૂતો માટે કિસાન આયોગની રચના
– MSPની કાનૂની ગેરેન્ટી
– ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતોને શહીદનો દરજ્જો મળશે, સિંઘુ બોર્ડર પર સ્મારક બનાવવામાં આવશે
– એસવાયએલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાગુ કરીશુ
– બે લાખ સરકારી નોકરી
– હરિયાણા કૌશલ રોજગાર નિયમ બંધ કરીશું
– પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
– આખા વર્ષનું ભરતી કેલેન્ડર જારી કરવામાં આવશે
– હરિયાણા વિદેશી રોજગાર બોર્ડની રચના
– ઓબીસી માટે ક્રિમી લેયર ૧૦ લાખ કરીશું
– ૧૮થી ૬૦ વર્ષ સુધી મહિલાઓને દર મહિને ૨ હજાર રૂપિયાની આર્થિક સહાય
– વંચિતોને ૧૦૦-૧૦૦ યાર્ડનો મફત પ્લોટ
– હરિયાણામાં જૂની પેન્શન યોજના લાગુ
કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે, અમે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, કોંગ્રેસ સરકાર બનાવશે. આ ચૂંટણી ઢંઢેરા પર નિયમિત રૂપે ધ્યાન આપવામાં આવશે અને તમામ વાયદા પૂરા કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.