સુરત,તા.30
ચાતુર્માસ નજીક આવી રહ્યા છે ત્યારે દેશભરમાં જૈન સાધુ-સંતો તેમના જ્યાં ચાતુર્માસ નિર્ધારિત થયા છે એ સ્થાનકો-ઉપાશ્રયોમાં પહોંચવા માટે દૂર-દૂરથી પગપાળા ચાલીને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી રહ્યા છે. એ સાથે જ આ સાધુ-સંતોના રોડ-અકસ્માતોના બનાવોની પણ શરૂઆત થઈ જતાં જૈન સમાજ આ સાધુ-સંતોના સુરક્ષાના મુદ્દે ચિંતિત થઈ ગયો છે.
હજી બુધવારે રાજસ્થાનના પાલી પાસે એક જૈન આચાર્યના રોડ-અકસ્માતના શોકમાંથી જૈન સમાજ બહાર આવ્યો નથી ત્યાં ગઈ કાલે ગુજરાતના સુરત અને બારડોલી વચ્ચે હાઇવે પર એક જૈન સાધુના અકસ્માતના સમાચારથી દેશભરમાં જૈન સમાજો શોકમાં ડૂબી ગયા છે.
અભિનંદન મુનિ મહારાજસાહેબ અને તેમની સાથે બીજાં 11 સાધુ-સાધ્વીઓ ગઈ કાલે સવારે છ વાગ્યાની આસપાસ તેમના અનુયાયી અશોક મહેતાની કડોદરા બારડોલી રોડ પર આવેલી ફેક્ટરીથી વિહાર કરીને બારડોલી જઈ રહ્યાં હતાં ત્યારે ફેક્ટરીથી ચાર કિલોમીટર દૂર આવેલા દસ્તાન બ્રિજ પર ફુલ સ્પીડે આવેલી એક ટ્રક અભિનંદન મુનિ મહારાજસાહેબને 100 ફુટ સુધી ઘસડીને લઈ ગઈ હતી.
આ બાબતની માહિતી આપતાં અશોક મહેતાએ કહ્યું કે ‘અભિનંદન મુનિ અને અન્ય સાધુ-સાધ્વીઓએ હાઇવે પર આવેલી મારી ફેક્ટરીમાં બુધવારે રાતના રાતવાસો કર્યો હતો. મારી ફેક્ટરી સાથે અમે વિહારધામ બનાવ્યું છે જેમાં બધાં રોકાયાં હતાં. ગઈ કાલે સવારે તેઓ બારડોલી જવા નીકળ્યાં હતાં. તેમની સાથે વિહાર ગ્રુપના સ્વયંસેવકો પણ હતા.
હાઇવેને લીધે બધાં છૂટાં ચાલી રહ્યાં હતાં ત્યાં અચાનક દસ્તાન બ્રિજ પાસે ફુલ સ્પીડમાં એક ટ્રક આવીને અભિનંદન મુનિને 100 ફુટ દૂર સુધી ઘસડી ગઈ હતી. ત્યાર પછી તેમના બન્ને પગ પર ટ્રકનાં ટાયરો ફરી વળ્યાં હતાં જેમાં મુનિશ્રીના બન્ને પગ કચડાઈ ગયા હતા.
સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા. સાહેબનો એક પગ તો સાવ જ કચડી નાખવામાં આવ્યો હતો. અકસ્માત કરીને ટ્રક-ડ્રાઇવર ભાગી ગયો હતો. મુનિશ્રી સાથે તેમનો અંગત સેવક પણ હતો. જોકે તે યુવાન સાહેબથી થોડા અંતરમાં ચાલતો હોવાથી બચી ગયો હતો.’
સાહેબના અકસ્માતથી હોહા મચી જતાં વિહાર ગ્રુપના સ્વયંસેવકો અને સાધુ-સંતો ત્યાં જમા થઈ ગયા હતા એમ જણાવતાં અશોક મહેતાએ કહ્યું હતું કે ‘અભિનંદન મુનિ તો ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા છતાં અમે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે અમને હોસ્પિટલના સ્ટાફે કહી જ દીધું હતું કે મુનિશ્રી/બચવાના કોઈ જ ચાન્સ નથી.
ટ્રક-ડ્રાઇવરને શોધવા બારડોલી પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ દોડાદોડી શરૂ કરી દીધી છે, પરંતુ ગઈ કાલે રાત સુધી તેઓ કોઈની પણ ધરપકડ કરી શક્યા નથી. મુનિશ્રીનો યુવાન સેવક તેની સામે જ આ કારમી દુર્ઘટના જોઈને જબરદસ્ત ફફડી ગયો છે.’
ગઈ કાલે સાંજના ચાર વાગ્યે અને બારડોલી જૈન સંઘના નેજા હેઠળ અભિનંદન મુનિની પાલખીયાત્રા કાઢી હતી.મુનિશ્રીની પાલખીયાત્રા મહાવીર ભવન, ગાંધી રોડ, બારડોલીથી ધુલિયા રોડ પર આવેલા કેદારેશ્વર મંદિર લઈ ગયા હતા જ્યાં મુનિશ્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુનિશ્રીના ચાતુર્માસ મહારાષ્ટ્રમાં થવાના હતા.’
જૈન સમાજના ક્રાન્તિકારી આચાર્ય વિમલસાગર સૂરીશ્વરજી મહારાજસાહેબે -બે દિવસથી બની રહેલા સાધુ-સંતોના રોડ-અકસ્માત સામે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જૈન સમાજ આવી દુર્ઘટનામાં વિદ્વાન, હોનહાર અને પ્રભાવશાળી સાધુઓને ખોઈ રહ્યો છે . આ ખૂબ જ ચિંતાનો વિષય છે. જૈન સાધુ-સંતો માટે વિહાર કરવો અનિવાર્ય છે. એને વાહનોમાં પરિવર્તિત કરવો અશક્ય છે.
અકસ્માતોના ડરથી સાધુ-સંતો માટે વાહનોમાં વિહાર કરવો સાધુચારના આચારમાં આવતો નથી. પાસે હાઇવે સાધુ-સંતો અને પગપાળા તીર્થોમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે અલગ કેડીની માગણી કરવામાં આવી છે. સરકાર તૈયાર હોવા છતાં એના પર અમલીકરણ થતું નથી જે પણ અત્યંત દુ:ખની વાત છે.’