New Delhi,તા.21
કોંગ્રેસના વરિષ્ઠ તથા લોકસભામાં વિપક્ષના નેતાનું સ્થાન ધરાવતા રાહુલ ગાંધીએ તેમની વધુ એક વિદેશયાત્રામાં વિવાદ સર્જયો છે. બે દિવસની અમેરિકા મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીએ બોસ્ટનની બ્રાઉન યુનિ.માં ભારતના ચુંટણી પંચની તટસ્થતા સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા અને મહારાષ્ટ્રમાં મતદાન બંધ થયા બાદ પણ 65 લાખથી વધુ લોકોએ મતદાન કર્યુ.
તે મુદો ફરી ઉઠાવીને કહ્યું કે, ભારતના ચુંટણી પંચે ‘સમાધાન’ કરી લીધુ છે. શ્રી ગાંધીએ અહી વિદ્યાર્થીઓ સમક્ષ કહ્યું છે. 5.30 થી 6.30 વચ્ચે 65 લાખ મતો પડયા જે અશકય છે. જો એક મતદારને મત આપવામાં 3 મીનીટ ગણીએ તો પણ રાત્રીના 2 વાગ્યા સુધી મતદાન થયું જોઈતું હતું પણ તેમ થયું નથી.
ઘરઆંગણે નેશનલ હેરલ્ડ સહિતના મુદે ઘેરાયેલા રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો કે મતદાન પ્રક્રિયાની વિડીયોગ્રાફી થઈ નથી તે ખુદ ચુંટણીપંચે અમોને કહ્યું છે. તેઓએ હવે કાનૂન પણ બદલી નાખ્યો છે કે આ પ્રકારે વિડીયોગ્રાફી થઈ શકે નહી. આથી એ સ્પષ્ટ થાય છે કે ચુંટણીપંચે પણ સમાધાન-સમજુતી કરી લીધી છે. પ્રક્રિયામાં ઘણી ખામી છે પણ તેને સુધારવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં ગત વર્ષે યોજાયેલી ચુંટણી સમયે આ વિવાદ ચગ્યો હતો પણ ચુંટણીપંચે તમામ આક્ષેપ નકાર્યા હતા. શ્રી ગાંધીએ ચુંટણીપંચના ઈરાદા સામે જ પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્રમાં યુવાનોની કુલ સંખ્યા કરતા તેમનુ વધુ મતદાન થયું. આમ તેઓએ જે રીતે અમેરિકામાં પ્રશ્ન ઉઠાવ્યા છે તેનાથી હવે ઘરઆંગણે વિવાદ વધશે.