New Delhi,તા.૨૪
સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસ હતો.જેમાં ખૂબ જ હંગામો થયો. આ કારણે સંસદને વારંવાર મુલતવી રાખવું પડ્યું છે. પરંતુ આ ચર્ચા પાછળ એક વાસ્તવિક ખર્ચ છુપાયેલો છે. સંસદના સક્રિય કલાકો દરમિયાન દરેક એક મિનિટ માટે ૨.૫ લાખ રૂપિયા. વર્તમાન સત્ર સોમવારથી શરૂ થયું. આ સત્રમાં બે મુખ્ય મુદ્દાઓ હતા, જેના કારણે બન્ને ગૃહોમાં ઘણો હોબાળો થયો – રાજ્યસભા કરતાં લોકસભામાં વધુ હોબાળો થયો છે. બિહારમાં મતદાર યાદીઓનું વિશેષ સઘન પુનરાવર્તન, જેને વિપક્ષે શાસક ગઠબંધનને મદદ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ ઉપરાંત વિપક્ષી પક્ષો દ્વારા ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરવામાં આવી રહી છે.
સંસદના દરેક ગૃહમાં દરરોજ છ કલાક સુધી પ્રોડક્ટિવ હોવું જોઈએ, એક કલાકના લંચ બ્રેક સિવાય. પૂર્વ સંસદીય બાબતોના મંત્રી પવન બંસલના મતે, સત્ર દરમિયાન સંસદને એક મિનિટ ચલાવવા માટે રૂ. ૨.૫ લાખનો ખર્ચ આવે છે, અથવા લોકસભા અને રાજ્યસભા માટે રૂ. ૧.૨૫ લાખનો ખર્ચ થાય છે. જો કે, આ આંકડા એક દાયકા જૂના છે. પરંતુ નવા ડેટાના અભાવે અમે વધુ ગણતરી માટે તેનો ઉપયોગ કરીશું.
ચોમાસુ સત્ર શરૂ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે, એટલે કે દરેક ગૃહમાં ૧૮ કલાક કામ કરવું જોઈતું હતું. જો કે, બિન-લાભકારી સંસ્થા પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના ડેટા અનુસાર, મુલતવી રાખવાને કારણે રાજ્યસભાએ ૪.૪ કલાક અને લોકસભાએ માત્ર ૦.૯ કલાક અથવા ૫૪ મિનિટ કામ કર્યું. આનો અર્થ એ થયો કે વિક્ષેપોને કારણે, કરદાતાઓને રાજ્યસભા માટે રૂ. ૧૦.૨ કરોડનું નુકસાન (૮૧૬ મિનિટનું નુકસાન, રૂ. ૧.૨૫ લાખથી ગુણાકાર) અને લોકસભા માટે રૂ. ૧૨.૮૩ કરોડનું નુકસાન (૧,૦૨૬ મિનિટનું નુકસાન, રૂ. ૧.૨૫ લાખથી ગુણાકાર) થયું છે. આમ, માત્ર ત્રણ દિવસના વિક્ષેપોને કારણે કરદાતાઓને રૂ. ૨૩ કરોડનું નુકસાન થયું છે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષની ટીકા કરી અને તેના પર કરદાતાઓના રૂપિયા બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લોકસભામાં કહ્યું કે, “વિપક્ષના બધા નેતાઓ અહીં હાજર છે. મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવશે અને એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો હતો. બધા મુદ્દાઓ પર એકસાથે ચર્ચા થઈ શકતી નથી. છતાં પણ સહકાર આપવાને બદલે, તેઓ પ્લેકાર્ડ લઈને આવ્યા અને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો,” તેમણે પૂછ્યું કે, “તેઓ પ્લેકાર્ડ લઈને વિરોધ કરી રહ્યા છે -જ્યારે તેમણે આવું ન કરવા સંમત થયા હતા. આ સ્વીકાર્ય નથી. જો તેઓ ચર્ચા ઇચ્છતા હતા અને અમે તૈયાર હતા, તો તેમણે ગૃહને કેમ વિક્ષેપિત કર્યું?”
આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ સરકાર પર સંસદને કાર્યરત ન થવા દેવાનો અને ચર્ચાઓ ન થવા દેવાનો આરોપ લગાવ્યો. તેમણે બુધવારે કહ્યું કે, ‘બિહારના ૫૨ લાખ લોકોના મત કાપવામાં આવી રહ્યા છે. શું આ લોકશાહીને ખતમ કરવાનું કાવતરું નથી? આ દર્શાવે છે કે આ સરકાર આ દેશમાં લોકશાહીને ખતમ કરવા માંગે છે. અમે ફક્ત આના પર ચર્ચા ઇચ્છીએ છીએ.’