૨૭મી એપ્રિલે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવશે
Bengaluru, તા.૨૬
ભારતની સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થા – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઇસરો)ના પૂર્વ ચેરમેન કે.કસ્તુરીરંગનનું શુક્રવારે સવારે નિધન થયું છે. એ ૮૪ વર્ષના હતા. તેમણે બેંગલુરુમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૨૭મી એપ્રિલે તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવશે. કસ્તુરીરંગનને બે વર્ષ પહેલા હાર્ટએટેક આવ્યો હતો. ત્યાર પછી બીમારીનો સામનો કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કસ્તુરીરંગન ૧૯૯૪થી ૨૦૦૩ સુધી ઈસરોના ચેરમેન રહ્યા હતા. તેમના નેતૃત્વમાં ઇસરોએ ચંદ્રયાન જેવા મોટા મિશનની યોજના તૈયાર કરવાની કામગીરી શરુ કરી હતી. એ ન્યુ એજ્યુકેશન પોલીસીના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન પણ હતા.કસ્તુરીરંગને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ચાન્સેલર અને કર્ણાટક નોલેજ કમિશનના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. એ ૨૦૦૩થી ૨૦૦૯ના રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન કસ્તુરીરંગને પ્લાનિંગ કમિશનના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું.કસ્તુરીરંગન એપ્રિલ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી બેંગલુરુ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટીઝના ડાયરેક્ટર હતા. તેમણે કેન્દ્ર સરકારની કેટલીયે કમિટીઓનું નેતૃત્વ કર્યું અથવા કમિટીઓમાં સામેલ રહ્યા. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી અને પર્યાવરણ સહિતના મુદ્દાઓ પર સરકારને સલાહ પણ આપી છે.૧૯૯૪માં ઇસરોના ચીફ બનતાં પહેલાં તેઓ ઇસરોના સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર હતા. અહીં તેમણે ન્યુ જનરેશનના સ્પેસક્રાફ્ટ, ઈન્ડિયન નેશનલ સેટેલાઈટ(ઇનસેટ-૨) અને દેશના સૌપ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ આઈઆરએસ-૧એ અને આઈએરએસ-૧બીની ડિઝાઈન, ડેવલપમેન્ટ અને લોન્ચિંગ પર કામ કર્યું હતું.