Jamnagarતા.13
જામનગરની જી.જી.હોસ્પિટલમા દૈનિક 2500થી વધુની ઓપીડી હોવાથી દર્દીઓની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલી ટોકન સીસ્ટમ ફેઈલ ગઈ છે. દર્દીઓને કેશ કઢાવવા માટે લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે.
જી.જી.હોસ્પિટલમાં દૈનિક સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી અને સવારમાં જ દર્દીઓનો ઘસારો વધી જતાં લાંબી કતારો લાગી જાય છે. કેશ બારી ઉપર પણ 7 જેટલા કર્મચારીઓ કેશ કાઢતા હોય છે. તેમ છતાં દર્દીઓને લાંબો સમય કતારમાં ઉભા રહેવું પડે છે. જેથી દર્દીઓને કતારમાં ઉભા રહેવું ન પડે તે માટે વર્ષ 2016- 17માં જી.જી.હોસ્પિટલ તંત્ર દ્વારા ટોકન સીસ્ટમ લાગુ કરવામાં આવી હતી.
જેમાંથી દર્દીએ એક બારીએથી ટોકન લઈને કેશ બારીની સામે રાખેલ ખુરશી ઉપર બેસી જવાનું રહે છે અને કેશ બારીની ઉપર સ્ક્રીન રાખવામાં આવી હતી. જેથી એક પછી એક ટોકનના નંબર સ્ક્રીન ઉપર મુકવામાં આવે તે નંબરના દર્દીએ કેશ કઢાવવા બારીએ આવવાનું રહેતું હતું. પરંતુ આ લાખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલી ટોકન સીસ્ટમ ફેઈલ ગઈ છે અને છેલ્લા સાતેક વર્ષથી આ સીસ્ટમ ધુળ ખાય છે. જે હવે જી.જી.હોસ્પિટલના સત્તાધીશોને પણ ભુલાઈ ગયું છે અને આવી કોઈ સીસ્ટમ લાગુ કરવામાં આવી હતી.
તે પણ ખબર નથી. કઈ કારણોસર આ સીસ્ટમ બંધ થઈ તે અંગે પણ સ્પષ્ટ કરી શકતા નથી. હાલ તો આ લાખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલી ટોકન સીસ્ટમ ફેઈલ જતાં પ્રજાના ટેક્સમાંથી મળેલા લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે.જી.જી.હોસ્પિટલમાં હાલ પણ દૈનિક 2500થી વધુ દર્દીઓની ઓપીડી રહે છે અને કેશ કઢાવવા માટે લાંબો સમય કતારમાં ઉભા રહેવું પડે છે.
જી.જી.હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધર્મેન્દ્ર વસાવડાએ જણાવ્યું છે કે, લાંબા સમયથી આ સીસ્ટમ બંધ છે. આમ પણ ઈમર્જન્સીમાં આ સીસ્ટમ મહત્વની નથી હોતી. ઈજાગ્રસ્ત કે તકલીફવાળા માણસ મહત્વના હોય છે. સવારે ઓપીડી માટે સીસ્ટમ મહત્વની છે. તેથી આગામી સમયમાં ચાલુ કરવા તૈયારી છે.