Surendranagar,તા.16
ધ્રાંગધ્રાના કચ્છનું નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ્યમાં વિદેશી પક્ષી તેમજ ઘુડખરને જોવા હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. ત્યારે હાલ ચોમાસાની સીઝન દરમ્યાન ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પીરીયડ હોવાથી કોઈ ખલેલ ન પડે તે માટે આગામી તા.૧૫ ઓક્ટોબર સુધી વન વિભાગ દ્વારા ઘુડખર અભ્યારણ્યને બંધ કરવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચો.કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે ત્યારે રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. જેને જોવા માટે સમગ્ર રાજ્ય સહિત દેશમાંથી હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. હાલ ચોમાસાની સીઝનનો પ્રારંભ થયો છે ત્યારે ઘુડખર પ્રાણીઓ સહિતની પ્રજાતિઓના બ્રીડીંગ પીરીયડ દરમ્યાન કોઈ અડચણ તેમજ વિક્ષેપ ન પડે તેવા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી વન વિભાગ દ્વારા ચોમાસાના ચાર મહિના દરમ્યાન માટે પ્રવાસીઓ માટે ઘુડખર અભ્યારણ્ય બંધ કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ તા.૧૫ જુનથી ૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્ય બંધ કરવામાં આવતા પ્રવાસીઓને ચાર મહિના સુધી રાહ જોવી પડશે.