Junagadh, તા. 20
ગિરનારમાં માઁ પાર્વતીના ઉદરનો ભાગ પડયો હતો તે જગ્યાએ માઁ અંબાજીનું મંદિર 5000ના પગથીયે પૌરાણીક આદિ કાળથી આવેલું છે. આ જગ્યાના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં બ્રહ્મલીન થયા હતા તેઓ ભીડભંજન મહાદેવ મંદિર, માઁ અંબાજી મંદિર અને દત્ત શિખરના મહંત હતા.
ગઇકાલે તેમનો પાર્થિવદેહ હજુ પડયો હતો, સમાધિ અપાઇ ન હતી ત્યાં તેમની ગાદીને લઇને વિવાદ સર્જાયો છે.
વિવાદમાં એક બાજુ ભવનાથ મંદિરના મહંત હરિગીરી રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુ તનસુખગીરી સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઇ વગેરે છે તેમની સામે ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી અને અન્ય સંતો છે બંને પક્ષે ગાદી અંગે વિવાદ વકર્યો છે.
વિવાદ એટલી હદે વકર્યો હતો કે ત્રણ વખત બાપુની સમાધિ કાર્યક્રમમાં ફેરફાર થવા પામ્યો હતો. આખરે મહેશગીરી પાલખી યાત્રા છોડીને જવું પડયું હતું. તેઓ સમાધિ વિધિમાં સામેલ થયા ન હતા સમાધિ ભીડભંજન મહાદેવ મંદિર તેમના ગુરૂ દત્તગીરીજીની બાજુમાં આપવામાં આવી હતી.
વિવાદ પહેલા પાલખીયાત્રાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે હરિગીરી, ઇન્દ્રભારતી, મહેશગીરી સહિતના સંતો હાજર હતા ત્યારે તનસુખગીરીના ખાસ સેવક યોગેશભાઇ અને કિશોરભાઇને હરિગીરીએ કહ્યું કે, તમો મને ફોનમાં જે વાત રી હતી તે જાહેરમાં બોલો ત્યારે આ બંને સેવકોએ કહ્યું કે રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યારે મહેશગીરી અને અન્ય સંતોએ આવી અંગુઠાના નિશાન અમુક કાગળ ઉપર લઇ લીધા હતા.
ત્યારે તેઓ ઉપરના રૂમમાં સુતા હતા તેમને અચાનક જાણ થઇ કે આઇસીયુ રૂમમાં કંઇક ગરબડ ચાલી રહી છે તેઓ આવ્યા ત્યાં સુધીમાં અંગુઠાના નિશાન લઇ લેવાયા હતા બાદ હરિગીરીજી એક પછી એક સવાલ પુછી રહ્યા હતા ત્યારે મહેશગીરી કંઇ બોલ્યા ન હતા અને ઇન્દ્રભારતીજીએ મીડીયા સમક્ષ જણાવેલ કે સત્ય શું છે, કોણે શું કર્યુ છે તે અંગે સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરીશુ.
આ અંગે કમંડળ કુંડ, ભુતનાથના મહંત મહેશગીરીએ જણાવ્યું છે કે તનસુખગીરી બાપુને કોઇ સીધો ચેલો નથી સન્યાસ પરંપરામાં સુખડ પરંપરા હોય છે. જેમાં સીધો ચેલો નથી દત્તક લેવામાં આવે છે. તનસુખગીરીએ મારી ચોટી કાપી હતી અને મને દત્તક લીધો હતો ત્યારે હરિગીરી મહારાજ ન હતા મારી દીક્ષા થઇ રાણપુર ગામ સાક્ષી હતું. સહી સિકકાની વાત છે તો જયારે તનસુખગીરી સ્વસ્થ હતા ત્યારે મને ધ્યાન રાખવાનું કહ્યું હતું. સહી સિકકાની વાતમાં સીસીટીવી કેમેરાની સામે થયા છે.
કિશોરભાઇને મેં બોલાવ્યો હતો હું તેને લઇ ગયો હતો યોગેશને લઇ ગયો હતો. બધાની હાજરીમાં સહી સિકકા થયા હતા ત્યારે નકકી થયું હતું કે જે નકકી થાય તેમ મહેશગીરીની સાથે રહીશું. બાદમાં લાલચમાં તેઓ બદલાય ગયા લાગે છે જેમણે તનસુખગીરીને ભવનાથમાંથી હાંકી કાઢયા તેમના ખોળે બેસી ગયા છે. તળેટીમાં કેટલીક જગ્યાના વીલ થઇ ગયા છે.
પોતાના લોકોને બેસાડી દીધા છે. હું પાલખી યાત્રા છોડીને આવ્યું છું હું સંકલ્પ કરૂ છું જયાં સુધી ભવનાથમાંથી હરિગીરીને નહીં કાઢુ ત્યાં સુધી સમાધિને શ્રધ્ધાંજલી આપીશ નહી. હરિગીરી સામે હવે સીધી લડાઇ લડીશ, અખાડામાં હરિગીરી છે, હરિગીરી અખાડો નથી, હું પુરાવા કરીશ ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ગિરનાર, સનાતન ધર્મ સત્ય, ગુરૂ પરંપરાને બચાવવા જેની સામે લડવું પડે તો લડીશ. ગીતામાં કહ્યું છે કે હકક માટે રડવાનું ન હોય લડવાનું હોય છે.