જીવથી શું ભૂલ થઇ રહી છે કે જેનાથી તેને નિત્ય પ્રાપ્ત પરમાત્માસ્વરૂપ પરમધામનો અનુભવ થતો નથી તેનું વર્ણન કરતાં ભગવાન શ્રીમદ ભગવદ ગીતા(૧૫/૭)માં કહે છે કે..
મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતન
મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ..
આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ સનાતન અંશ છે અને તે પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે,પોતાની માની લે છે.જેમની સાથે જીવની તાત્વિક અથવા સ્વરૂપની એકતા નથી એવી પ્રકૃતિ અને પ્રકૃતિનાં કાર્યમાત્રનું નામ લોક છે.આત્મા પરમાત્માનો અંશ છે પરંતુ પ્રકૃતિનાં કાર્ય શરીર ઇન્દ્રિયો પ્રાણ મન વગેરે સાથે પોતાની એકતા માનીને તે જીવ થઇ ગયો છે.આ જીવપણું વાસ્તવિક નહી પરંતુ બનાવટી છે.નાટકમાં કોઇ પાત્ર બનવાની જેમ જ આ આત્મા જીવલોકમાં જીવ બને છે.
ભગવાન જીવને પોતાનો માને છે.ભગવાન વાસ્તવિકતા પ્રગટ કરતાં કહે છે કે જીવ ફક્ત મારો જ અંશ છે તેમાં પ્રકૃતિનો સહેજપણ અંશ નથી.જેવી રીતે સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં ભળીને પોતાને ઘેટું માની લે એવી જ રીતે જીવ શરીર વગેરે જડ પદાર્થોની સાથે ભળીને પોતાના અસલી ચેતન સ્વરૂપને ભુલી જાય છે.
શરીર વગેરે પદાર્થોને આપણે પોતાની સાથે લાવ્યા નથી, ઇચ્છાનુસાર તેમાં પરીવર્તન કરી શકતા નથી, પોતાની પાસે સ્થિર રાખી શકતા નથી, તેઓની સાથે હંમેશાં રહી શકતા નથી, તેઓને પોતાની સાથે લઇ જઇ શકતા નથી છતાંપણ તેઓને પોતાના માનીએ છીએ આ આપણી કેટલી મોટી ભૂલ છે.ભગવાનમાં ફક્ત મન-બુદ્ધિ જોડવાની અપેક્ષાએ પોતાની જાતને ભગવાનમાં જોડવી એ શ્રેષ્ઠ છે આમ કરવાથી મન-બુદ્ધિ આપોઆપ સુગમતાપૂર્વક ભગવાનમાં જોડાઇ જાય છે.
ભગવાન દ્વારા મળેલી સ્વતંત્રતાનો દુરઉપયોગ કરીને જીવ ભગવાનથી વિમુખ થયો છે.જેવી રીતે સોનાનું ઘરેણું તત્વતઃ સોનાથી અલગ નથી તેવી રીતે જીવ પણ તત્વતઃ પરમાત્માથી ક્યારેય અલગ થઇ શકતો નથી.જ્યારે મનુષ્ય ભગવાનની આજ્ઞાનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરે છે ત્યારે તેઓ તેની એટલી ઉન્નતિ કરી દે છે કે જીવન સફળ થઇ જાય છે અને જન્મ-મરણરૂપી બંધન સદાયના માટે દૂર થઇ જાય છે.જ્યારે મનુષ્ય ભૂલથી કોઇ નિષિદ્ધ આચરણ-પાપ કરી બેસે છે ત્યારે ભગવાન દુઃખોને મોકલીને તેને ચેતવે છે,જૂના પાપો ભોગવાવીને તેને શુદ્ધ કરે છે અને નવા પાપોમાં પ્રવૃત્ત થતાં રોકે છે.
જીવ જેટલું પણ નાશવાન પદાર્થોને મહત્વ આપે છે તેટલો જ તે પતન તરફ જાય છે અને જેટલું પણ અવિનાશી પરમાત્માને મહત્વ આપે છે તેટલો જ તે ઉંચે ચઢે છે કારણ કે જીવ પરમાત્માનો અંશ છે. અંશ હોવાથી સદાય ભગવાનમાં સ્થિત રહે છે.મન અને ઇન્દ્રિયો પ્રકૃતિમાં સ્થિત છે તેમને પોતાનાં માનવાં, તેમની સાથે પોતાનો સબંધ માનવો એ જ તેમને આકર્ષિત કરવાં કહેવાય છે.મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે સબંધ જોડીને જ જીવ બંધાય છે તેથી શરીર ઇન્દ્રિયો મન અને બુદ્ધિને સંસારને અર્પણ કરી દેવાં જોઇએ એટલે કે સંસારની સેવામાં જોડી દેવાં જોઇએ અને પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દેવી જોઇએ.
મનુષ્ય ભૂલથી શરીર સ્ત્રી પૂત્ર ધન મકાન માન-મોટાઇ વગેરે નાશવાન વસ્તુઓને પોતાની અને પોતાના માટેની માનીને દુઃખી થાય છે.સંસારની ચીજ સંસારને આપી દે અને પરમાત્માની ચીજ પરમાત્માને આપી દેવી એ ઇમાનદારી છે.આ ઇમાનદારીનું નામ જ મુક્તિ છે.સ્થૂળ-સુક્ષ્મ અને કારણ શરીરની સાથે પોતાનો સબંધ માની લેવો એ જ અનર્થનું કારણ છે.જીવ શરીરને પોતાની તરફ ખેંચે છે, પોતાનું માને છે પરંતુ જે વાસ્તવમાં પોતાના છે તે પરમાત્માને પોતાના માનતો નથી તે જીવની ભૂલ છે.
જીવ નિર્ગુણ બ્રહ્મનો નહી પરંતુ સગુણ ઇશ્વરનો અંશ છેઃઇશ્વર અંશ જીવ અવિનાશી.(રામાયણ) કારણ કે બ્રહ્મ તો ચિન્મય સત્તા માત્ર છે તેથી તેમાં અંશ-અંશીભાવ થઇ શકતો નથી.જીવની બ્રહ્મ સાથે એકતા છે એટલે કે અનેક રૂપથી તે જીવ છે તે જ એક રૂપથી બ્રહ્મ છે.શરીરની સાથે સબંધ થવાથી તે જીવ છે અને શરીર સાથે સબંધ ન થવાથી તે બ્રહ્મ છે.
આપણો સબંધ પરમાત્માની સાથે છે તેથી આપણે પરમાત્મામાં સ્થિત છીએ પરંતુ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિનો સબંધ અપરા પ્રકૃતિની સાથે છે તેથી તે બધાં પ્રકૃતિમાં સ્થિત છે.શરીર સાથે માની લીધેલા સબંધનો ત્યાગ કરવા માટે ત્રણ વાતો માનવી પડશેઃશરીર મારૂં નથી કારણ કે તેના ઉપર મારૂં કોઇ નિયંત્રણ નથી, મારે કશું જ જોઇતું નથી અને મારે પોતાના માટે કશું કરવું નથી.ભગવાન સાથે નિત્ય સબંધ રહે તે માટે ત્રણ વાતો માન્ય રાખવી જોઇએઃજોઇએઃભગવાન મારા છે, હું ભગવાનનો છું અને સર્વ કાંઇ ભગવાનનું જ છે.
મનુષ્યમાં ત્રણ ઇચ્છાઓ હોય છેઃભોગની-તત્વની અને પ્રેમની ઇચ્છા.ભોગની ઇચ્છા કામના, તત્વની ઇચ્છા જીજ્ઞાસા અને પ્રેમની ઇચ્છા અભિલાષા કહેવાય છે.ભોગની કામના શરીરના સ્તરે,તત્વની જીજ્ઞાસા સ્વરૂપના સ્તરે અને પ્રેમની પિપાસા પરમાત્માના સ્તરે થાય છે.શરીરને પોતાનું માનવું એ ભૂલ છે કારણ કે શરીર પ્રકૃતિનો અંશ છે અને જીવ પરમાત્માનો સનાતન અંશ છે.
આ શ્લોક સમજવા જેવો છે.જીવ ઈશ્વરનો અંશ છે.અંશનો અર્થ કપાયેલો ટુકડો નહિ જેમકે સમુદ્રનો અંશ તેનું બિંદુ નહિ.અગ્નિનો અંશ તેનો તણખો નહિ.આવો અંશ-અંશીભાવ સમજવાનો નહિ.સમુદ્રમાંથી બિંદુ અલગ કરી શકાય છે કારણ કે સમુદ્ર સાવયવ છે.બ્રહ્મમાંથી જીવને અલગ ન કરી શકાય કારણ કે બંને નિરવયવ છે.બ્રહ્મ વ્યાપક છે.વ્યાપકનો ટુકડો ન કરી શકાય કારણ કે જ્યાં બ્રહ્મ ન હોય ત્યાં ટુકડો મૂકી શકાય તેવું તો છે નહિ તેથી અંશનો અર્થ સામર્થ્યઅંશ સમજવાનો છે.
જીવ અને ઈશ્વર બંને સચ્ચિદાનંદ છે એટલે કે બંને સત ચિત અને આનંદરૂપ છે.બંનેની પોતાની સનાતન સત્તા હોવાથી સત છે.બંને જ્ઞાનરૂપ હોવાથી ચિદૃ છે.બંને આનંદરૂપ હોવાથી આનંદ છે.આ રીતે બંને સચ્ચિદાનંદનંદરૂપ છે પણ બંનેમાં સામર્થ્યભેદ છે.જીવ સચ્ચિદાનંદ છે.જયારે ઈશ્વર સચ્ચિદાનંદ આનંદઘન છે.આ ઘન શબ્દને સમજવા જેવો છે.જળનું બિંદુ પણ જળ છે અને સમુદ્ર પણ જળ છે પણ બિંદુ ઘન નથી.તેની ક્ષમતા ઓછી છે.સમુદ્રમાં સ્ટીમરો તરી શકે છે બિંદુમાં નહિ.સમુદ્રમાં હજારો મગર મચ્છો ફરી શકે છે.બિંદુમાં નહિ.આવી રીતે જીવનું સામર્થ્ય અલ્પ હોવાથી તે અલ્પ શક્તિમાન છે.ઈશ્વરનું સામર્થ્ય અમાપ હોવાથી તે સર્વશક્તિમાન છે પણ છે બંને સચ્ચિદાનંદ છે તેથી અંશ-અંશીભાવ બતાવ્યો છે.
અંશનો અર્થ એવો કરવાનો નથી કે ઈશ્વરમાંથી નાના-નાના રાઇના દાણા જેવા ટુકડા થયા અને જીવ થયો અથવા ઈશ્વરમાં માયા કે અવિદ્યાની ઉપાધિ આવવાથી જીવ થયો.ઉપાધિ દૂર કરો એટલે જીવ શિવ જ છે આવું માનવાનું નથી.ચૈતન્યને ઉપાધિ ન હોય. હોય તો ચૈતન્ય બિચારૂં થઈ જાય. જીવ એ જીવ જ છે અને ઈશ્વર એ ઈશ્વર જ છે તેથી તેને સનાતન કહ્યો છે અનાદિ કહ્યો છે.
મનુષ્યના કર્મના ચૌદ સાક્ષી
મનુષ્યના કર્મના ચૌદ સાક્ષીઓ છેઃસૂર્ય ચંદ્રમા અગ્નિ રાત-દિવસ સંન્ધ્યા દિશાઓ આકાશ વાયુ પૃથ્વી જળ ઇન્દ્રિયો કાળ અને ધર્મ..સૂર્ય રાત્રે રહેતા નથી અને ચંદ્રમા દિવસમાં રહેતા નથી,સળગતી અગ્નિ પણ દરેક સમયે રહેતી નથી પરંતુ રાત-દિવસ અને સંન્ધ્યામાંથી કોઇ એક તો દરેક સમયે રહે છે.દિશાઓ આકાશ વાયુ પૃથ્વી જળ હંમેશાં રહે છે.મનુષ્ય તેને છોડીને ક્યાં ભાગી શકતો નથી,તેનાથી સંતાઇ શકતો નથી.મનુષ્યની ઇન્દ્રિયો કાળ અને ધર્મ પણ હંમેશાં તેની સાથે રહે છે.કોઇપણ કર્મ કોઇને કોઇ ઇન્દ્રિય દ્વારા કોઇને કોઇ સમયે થાય છે.તે કર્મનો પ્રભાવ મનુષ્યના ગ્રહો-નક્ષત્રો તથા પંચમહાભૂતો ઉપર પડે છે.મનુષ્ય જ્યારે કોઇ ખરાબ કર્મ કરે છે તો ધર્મદેવ તે ખરાબ કર્મની સૂચના આપે છે અને તેનો દંડ મનુષ્યનો અવશ્ય ભોગવવો પડે છે.
આલેખનઃવિનોદ માછી નિરંકારી