New Delhi,તા.13
જીએસટી વિભાગે છેતરપિંડી કરનારાઓને રોકવા માટે જીએસટી રિટર્નના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. તાજેતરમાં જીએસટી વિભાગે જીએસટીઆર યુબીસી ડેટામાં ફેરફાર ન કરવાનો નિયમ જાહેર કર્યો હતો.
આ પછી, એક નવા ફેરફાર મુજબ, વેપારીઓ 3 વર્ષથી વધુ જૂના રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. જીએસટી વિભાગનાં આ નિર્ણયને કારણે છેતરપિંડી કરનારા વેપારીઓ પર લગામ લાગશે, જ્યારે ઘણાં વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ગુમાવવી પડી શકે છે.
જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘણાં વેપારીઓ જીએસટી ભરવા માંગતાં ન હતાં અથવા છેતરપિંડીમાં સંડોવાયેલાં હતાં, આવાં વેપારીઓ રિટર્ન ભરતા ન હતાં. આ કારણે સરકારને મોટી રકમ ગુમાવવી પડી હતી.
આ મામલો દેશભરમાં મોટા પાયે સામે આવ્યાં બાદ સરકારે મોટું પગલું ભરતાં નિર્ણય કર્યો છે કે, હવેથી જૂના 3 વર્ષ પહેલાં જીએસટીના રિટર્ન ભરી શકાશે નહીંતેનો અમલ જુલાઈ મહિનાથી કરવામાં આવશે.
સરકારને નુકસાન થઈ રહ્યું હતું :-
ઘણાં વેપારીઓ બદઇરાદાથી રિટર્ન ભરતા ન હતાં. આ કારણે સરકારને જીએસટી ન મળી રહ્યો હતો, આના પર કડક કાર્યવાહી કરતાં જીએસટી વિભાગે 3 વર્ષ જૂના રિટર્ન ફાઇલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ થશે નહીં :-
જણાવવામાં આવી રહ્યું છે કે, બોગસ બિલિંગ કે છેતરપિંડી કરનારા ધંધાર્થીઓએ જાણીજોઈને રિટર્ન ફાઈલ કર્યા ન હતાં અને જ્યારે પણ તપાસ શરૂ કરવામાં આવતી ત્યારે તેઓ રિટર્ન ફાઈલ કરતાં હતાં.
આ રીતે તે પોતાનાં હેતુ માટે મનસ્વી રીતે રિટર્ન ફાઇલ કરતાં હતા. સરકાર આના નુકસાનને સહન કરી રહી હતી, પરંતુ નવા નિર્ણયો અનુસાર, 3 વર્ષ જૂના રિટર્ન હવે ફાઇલ કરી શકાશે નહીં. જે વેપારીઓએ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની બાકી છે તેમને નુકસાન થઈ શકે છે.