સરકારી હોસ્પિટલમાં લાવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણ પાંખેરૂ ઉડી જતા ફરજ પરના ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો
Jetpur ,તા.22
રાજકોટના જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં ગતરોજ માથાકૂટ થઈ હતી જેમાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે, આ બનાવ બનતાની સાથે પોલીસે બે મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લીધા છે. મૃતકને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો સાજીદ હાજીભાઇ શેખને ગતરોજ ગોંડલ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં માથાકૂટ થયેલ હતી. જેમાં તેને હાથ પગ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જેમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ આવેલ હતો. જ્યાં તેણે પ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસ તેનું નિવેદન નોંધવા આવે તે પૂર્વે તે હોસ્પિટલથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આજે સવારે તે શહેરના ફૂલવાડી વિસ્તારમાં શેરી નંબર કે-૪માં ઇજાગ્રસ્ત હાલતમાં બેઠેલો હતો. ત્યારે સમીર નામનો યુવાન સાજીદને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લાવતા સારવાર મળે તે પૂર્વે જ તેનું પ્રાણ પાંખેરૂ ઉડી જતા ફરજ પરના ડોકટર તેને મૃત જાહેર કર્યો હતો.
બીજીબાજુ સીટી પોલીસે મૃતક સાજીદના પિતાની ફરીયાદ પરથી ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સુનિલ કટારીયા તેની પત્ની શર્મિલા, પિતા કરશનભાઈ, માતા જયાબેન, પિતરાઈ ભાઈ મુકેશ કટારીયા અને ધવલ દેગડા વિરુદ્ધ બીએનએસ ૧૦૩(૨) પાંચ કરતા વધારે વ્યક્તિઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી મોત નિપજવાની હેઠળ ફરીયાદ આરોપીઓની ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતાં. મૃતક સાજીદ વિરુદ્ધ પ્રોહિબીશન, મારામારી સહિતના અસંખ્ય ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલ છે. જેમાં ફરીયાદમાં જેનું આરોપી તરીકે નામ છે તે સુનીલ કટારીયા ઉપર એક વર્ષ પહેલાં તલવાર વડે હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. અને હજુ પાંચ મહિના પૂર્વે જ મૃતકની પાસા હેઠળ અટકાયત કરી હતી.