Jammu, તા.૧૨
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah શુક્રવારે આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા અને સંચાલન તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ વર્ષે, અમરનાથ યાત્રા ૩ જુલાઈથી શરૂ થવાની છે, અને સુરક્ષા એજન્સીઓ અને વહીવટ વ્યાપક તૈયારીઓમાં રોકાયેલા છે.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સીઆરપીના ડિરેક્ટર જનરલ જી.પી. સિંહ અને ઘણા વરિષ્ઠ સુરક્ષા અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ ૫૭ દિવસની યાત્રા હિમાલયમાં સમુદ્ર સપાટીથી આશરે ૩,૮૮૦ મીટર ઉપર સ્થિત બાબા બર્ફાનીની પવિત્ર ગુફામાં સમાપ્ત થાય છે. યાત્રા દરમિયાન, યાત્રાળુઓ પરંપરાગત ૪૮ કિલોમીટર લાંબા પહેલગામ રૂટ અને મુશ્કેલ ૧૪ કિલોમીટર લાંબા બાલતાલ રૂટનો ઉપયોગ કરશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સલામત અને સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા માટે આધુનિક સર્વેલન્સ ટેકનોલોજી, ગુપ્તચર પ્રણાલીઓ અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનને મજબૂત બનાવવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે, જમ્મુ અને કાશ્મીર પોલીસે પોર્ટેબલ આરસીઆઇઇડી જામર, ડીપ-સર્ચ મેટલ ડિટેક્ટર, વિસ્ફોટક શોધ ઉપકરણો,સીસીવીટી સિસ્ટમ્સ અને અન્ય વિશિષ્ટ સુરક્ષા ઉપકરણો સહિત અત્યાધુનિક શોધ અને તોડફોડ વિરોધી ઉપકરણો તૈનાત કર્યા છે.
પોલીસે યાત્રા માર્ગ પર કામ કરતા કામદારો અને વિક્રેતાઓની ચકાસણી કરવા માટે ઊઇ કોડ આધારિત ’પહેચાન એપ’ પણ શરૂ કરી છે. આ એપ કામદારો અને વેપારીઓનું ડિજિટલ વેરિફિકેશન સક્ષમ બનાવશે, જે સુરક્ષા અને જવાબદારી વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત, ભાડૂઆત ચકાસણી ડ્રાઇવ, રહેઠાણ કેન્દ્રોનું નિરીક્ષણ અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાની પ્રવૃત્તિઓને પણ તીવ્ર બનાવવામાં આવી છે.
અમરનાથ યાત્રાની સુરક્ષામાં મુખ્ય ભૂમિકા ભજવતા સીઆરપીએફએ તેની તૈયારીઓની વ્યાપક સમીક્ષા હાથ ધરી છે.સીઆરપીએફના ડિરેક્ટર જનરલ જી.પી. સિંહે તાજેતરમાં બાલટાલ રૂટ અને બેઝ કેમ્પ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે કાશ્મીર ખીણની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને તકેદારી વધારવા અને તમામ એજન્સીઓ વચ્ચે વધુ સારું સંકલન જાળવવા નિર્દેશ આપ્યો હતો.
અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે યાત્રા સંપૂર્ણપણે સલામત અને વ્યવસ્થિત રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળો, વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત એજન્સીઓ વચ્ચે સતત સંકલન સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે.

