Haryana,તા.01
આજથી ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરુ થઈ છે.આજથી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હાઇડ્રોજન ટ્રેનને પહેલા જીંદ રૂટ પર જ ચલાવવામાં આવશે, ત્યારબાદ તેને દેશના અન્ય ઘણા નાના રૂટ પર ચલાવવામાં આવશે.
હાઇડ્રોજન ટ્રેન એ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી પર આધારિત છે. આ ટ્રેન પરંપરાગત ડીઝલ અથવા ઈલેક્ટ્રિક ટ્રેનોને બદલે હાઇડ્રોજન ગેસનો ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે. આ ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો સમાવેશ થાય છે, જે હાઇડ્રોજન ગેસ અને ઑક્સિજનની રાસાયણિક પ્રક્રિયામાંથી વીજળી ઉત્પન્ન કરે છે.
આ પ્રક્રિયા બાય પ્રોડક્ટ તરીકે માત્ર પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તેને પર્યાવરણ માટે ખૂબ જ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવે છે. હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ વધુ છે, ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની સ્પીડ 110 હશે, જે સામાન્ય પેસેન્જર ટ્રેન કરતાં વધુ હશે. જો કે તે રાજધાની, વંદે ભારત અને શતાબ્દી જેવી ટ્રેનો કરતાં ઓછી ઝડપે દોડશે.
હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર આજથી શરુ થનારી આ ટ્રાયલ ભારતીય રેલવે માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ 89 કિલોમીટરના રૂટ પર ટ્રેનની ટેકનિકલ ક્ષમતા, સલામતીના ધોરણો અને ઓપરેશનલ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળ પરીક્ષણ બાદ તેને નિયમિત કામગીરીમાં લાવવાની યોજના છે. આ ટ્રેનનું નિર્માણ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), ચેન્નાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને તે સ્વચ્છ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપશે.
રેલ્વે મંત્રાલય ’હાઇડ્રોજન ફોર હેરિટેજ’ પ્રોજેક્ટ હેઠળ 35 હાઇડ્રોજન ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે, જેના માટે 2800 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ માર્ગો પર હાઇડ્રોજન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ. 600 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ હેરિટેજ અને ડુંગરાળ માર્ગો પર સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો તેમજ આ માર્ગોને નવી ઓળખ આપવાનો છે.