Ahmedabad,તા.7
નાણાંકીય વર્ષની સમાપ્તિને આડે બે મહિના પણ બાકી રહ્યા નથી ત્યારે એકશનમાં આવેલા ઈન્કમટેકસ દ્વારા આજે જામનગર, અમદાવાદ, માળીયા તથા ગાંધીધામમાં ટોચના મીઠા ઉદ્યોગ ગ્રુપ પર દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા ફફડાટ સર્જાયો છે. કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે, અમદાવાદ-જામનગરમાં ઓફીસ-રહેણાંક તથા માળીયામાં ફેકટરી ધરાવતા દેવ સોલ્ટ પર આજે સવારથી દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.દેવ સોલ્ટના દેવેન્દ્રસિંહ એસ.ઝાલા તથા હિરેનસિંહ ઝાલાના અમદાવાદ-જામનગરનાં નિવાસસ્થાન-ઓફીસ પર અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી.
આ સિવાય ગાંધીધામની ઓફીસ તથા માળીયામાં આવેલી કંપનીની ફેકટરીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. એમ જાણવા મળ્યુ છે કે, મીઠાના વ્યવસાયની સાથે કંપનીના સંચાલકો જામનગરમાં પંચવટી ખાતે હોટેલ પણ ધરાવે છે અને તેમાં જ ઓફીસ છે. જયાંથી સમગ્ર વહીવટ કરવામાં આવે છે.ત્યાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
સંચાલકો મુળ જામનગરનાં છે અને કેટલાંક વખતથી અમદાવાદમાં વસવાટ કરે છે અને મુખ્ય ઓફીસ ધરાવે છે. અમદાવાદના રહેણાંક ઓફીસને પણ દરોડા કાર્યવાહીમાં આવરી લેવામાં આવ્યા છે.
સુત્રોના કહેવા પ્રમાણે દરોડાની પ્રાથમીક કાર્યવાહીમાં જ મોટી રકમના બિનહિસાબી વ્યવહારો દર્શાવતાં દસ્તાવેજાહે મળી આવ્યા હતા. બેંક લોકરો પણ સીલ કરવામાં આવ્યા હતા અન્ય ક્ષેત્રોમાં રોકાણનાં વ્યવહારો ખુલવાની પણ ચર્ચા છે. સર્ચ કાર્યવાહી બે-ત્રણ દિવસ ચાલુ રહેવાનું મનાય છે.
આવકવેરા વિભાગ દ્વારા 2025 માં સૌરાષ્ટ્રનાં ઉદ્યોગ જુથને સાંકળતુ પ્રથમ દરોડા ઓપરેશન હાથ ધરાયું છે. વહેલી સવારમાં જ દરોડાની વાત પ્રસરતા વેપાર ઉદ્યોગકારો જુથ પર તે હોવાનું ખુલતા બિલ્ડર સહિતના જુથોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.