જેપી મોર્ગને ભારત મુદ્દે કહ્યું છે કે, વિશ્વમાં ટ્રેડવૉરનો બીજો તબક્કો શરૂ થઈ શકે : આ સ્થિતિમાં પણ ભારત સુરક્ષિત
New Delhi તા. 20
ફાઈનાન્સિયલ સર્વિસ કંપની જેપી મોર્ગને ભારતની આર્થિક વૃદ્ધિની ગાડી પાટા પર હોવાનો દાવો કર્યો છે. જેપી મોર્ગને ટ્રેડવૉરના વાદળોમાં ભારતનું અર્થતંત્ર સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. જેપી મોર્ગનના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આગામી સમયમાં ભારત એક સુરક્ષિત ઈકોનોમી તરીકે ઉભરી આવશે તેમજ ઝડપી ગતિએ આગળ વધશે. સર્વેમાં સામેલ દેશોમાંથી ભારતનો જીડીપી સૌથી વધુ રહેવાનો અંદાજ છે. ઉભરતા બજારો અંગે પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા છે. માર્કેટ ઈક્વિટીનું રેટિંગ પણ ન્યૂટ્રલથી વધારી ઓવરરેટ કર્યું છે. જે ઉભરતા બજારમાં વિકાસની અનેક સંભાવનાઓ દર્શાવે છે. જેપી મોર્ગને ભારત મુદ્દે કહ્યું છે કે, વિશ્વમાં ટ્રેડવૉરનો બીજો તબક્કો શરૂ થઈ શકે છે. આ સ્થિતિમાં પણ ભારત સુરક્ષિત છે. ટેરિફ વૉરમાં મોટા દેશ એક-બીજા પર ટેરિફ વધારી શકે છે. આ સ્થિતિમાં રોકાણકાર સુરક્ષિત સ્થળની શોધ કરશે. જેમાં ભારત મજબૂત ફંડામેન્ટલ્સ અને સ્થિર નીતિઓના કારણે રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બની શકે છે. જેપી મોર્ગને ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ હોવાનું જણાવ્યું છે. ભારતની ઈકોનોમિક સાયકલ પોઝિટિવ રહેવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. જેમાં વ્યાજના દરોમાં ઘટાડો, ગ્રામીણ ક્ષેત્રોમાં માગમાં વધારો અને ટેક્સમાં ઘટાડો જેવા પરિબળો સામેલ છે. વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતા લોકોની ખરીદ શક્તિ વધશે. જેનો સીધો લાભ ઈકોનોમીને મળશે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ માગ વધવાથી ભારતનું અર્થતંત્ર વેગવાન બનશે. ટેક્સમાં ઘટાડાની માગ કરીએ તો લોકો અને કંપનીઓ પાસે ખર્ચ તથા રોકાણ કરવાની ક્ષમતા વધશે. જેનાથી દેશના અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.