ગરમ દૂધની તપેલી માથે પડતા બાળક દાઝી જતા મોત
Rajkot,તા.૦૧
શહેરમાં બે બનાવમાં આકસ્મિક રીતે બે માસુમ બાળકોના મોત નિપજ્યા છે. જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટીમાં મણિભદ્ર એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં રમતી વેળાએ પાંચ વર્ષની બાળા પર લોખંડનો ડેલો પટકાતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. જયારે દૂધ સાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં ચારેક દિવસ રમતા રમતા ત્રણ વર્ષનો બાળક ગરમ દૂધની તપેલી ઉપર પડતા દાઝી જવાથી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ જીવ બચી શક્યો નહતો.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં મણિભદ્ર એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારી કરતા મૂળ નેપાળના પરિવારની પાંચ વર્ષની પુત્રી સ્વરા શંકરભાઈ રાય ગઈકાલે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી હતી ત્યારે અચાનક લોખંડનો દરવાજો માથે પડતા અવાજ આવવાથી તેની માતા સહિતના દોડી ગયા હતા અને બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી ક્રાઈષ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ દ્વારા ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો. એકની એક પુત્રીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
અન્ય બનાવમાં પ્રાપ્ત માહિતી અનુસાર, દૂધ સાગર રોડ પર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા કૃણાલભાઈ તિવારીનો ત્રણ વર્ષનો પુત્ર મિહિર ગત તા.27ના ઘરે સેટી ઉપર રમતો હતો ત્યારે સેટી ઉપરથી છલાંગ લગાવતા નીચે જમીન પર ગરમ કરેલા દૂધની તપેલી રાખવામાં આવી હોઈ તેના ઉપર પડતા શરીરે દાઝી જવાથી પ્રથમ જિનેસિસ હોસ્પિટલ અને ત્યાંથી સિવિલમાં ખસેડાતા ગત રાત્રીના આંખ મીંચી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃતક મિહિર એક ભાઈ બહેનમાં મોટો હતો અને કૃણાલભાઈ એચ.જે.સ્ટીલ કારખાનામાં નોકરી કરે છે. પરિવાર મૂળ યુપીના અયોધ્યાનો રહેવાસી છે. બનાવના પગલે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.