આજના યુગમાં ખેતી માટે જમીન હોવી જરૂરી નથી. વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિના સહારે હવે તમે તમારા ઘરની દીવાલો પર જ ખેતી કરી શકો છો. ફળો અને શાકભાજી ઉગાડી શકાય તેવી આ પદ્ધતિ પર્યાવરણ માટે પણ લાભદાયક છે અને ઓછી કિંમતમાં વધુ નફો મેળવવાનો સારો વિકલ્પ છે. દેશભરમાં અનેક ખેડૂતો એવા છે, જેમને પોતાની ખેતીની જમીન નથી, છતાં તેઓ ખેતી દ્વારા વધુ આવક મેળવી રહ્યા છે. આ ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. વર્ટિકલ ફાર્મિંગ એ આવી પદ્ધતિ છે કે જેના થકી તમે જમીન વિના પણ સરળતાથી ખેતી કરી શકો છો. ઘરની દીવાલ પર ગમલા દ્વારા છોડ ઉગાડવામાં આવે છે. આ ગમલાને ખાસ રીતે લગાવવામાં આવે છે જેથી તે સલામત રીતે ટકી રહે. પાણી આપવાની વ્યવસ્થા માટે પિવીસી પાઇપ કે બાંસની પાતળી પાઇપ વાપરવામાં આવે છે. આ પદ્ધતિની શરૂઆત ઇઝરાયેલમાં થઈ હતી, જ્યાં 60 ટકા વિસ્તાર રણપ્રદેશ છે અને ખેતી માટે જમીન મળવી મુશ્કેલ છે. ત્યાંના નાગરિકોએ શહેરોમાં રહીને પણ ઘરની દીવાલો પર ખેતી શરૂ કરી છે. આજે ઇઝરાયેલમાં અનેક લોકો ઘરની દીવાલો પર આ ટેકનિકથી શાકભાજી ઉગાડી રહ્યા છે. વર્તમાન સમયમાં ખાસ કરીને શહેરોમાં રહેતા લોકો માટે આ પદ્ધતિ ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ઉનાળામાં ઘરની દીવાલો ઠંડી રહે છે અને સાથે નફાકારક ખેતી પણ થાય છે. આ રીતે વર્ટિકલ ફાર્મિંગ ખેતીનું ભવિષ્ય બની શકે છે.
–મિત્તલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)