કેશુબાપાના જીવનસંઘર્ષ પર પુસ્તકનું વિમોચન અને શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવશે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને નામ સાથે જોડવાનો ઠરાવ કરવામાં આવશે
Rajkot, તા.24
સમગ્ર ભારતમાં વસતા કૂર્મી પટેલોની સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિના ઉદેશ્યથી નવગઠિત સામાજિક સંગઠન “આંતરરાષ્ટ્રીય કુર્મી સેના” દ્વારા ગુજરાત રાજ્યમાં તેનો સૌ પ્રથમ કાર્યક્રમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભા તાં.27 ને રવિવારે રાત્રે 8 કલાકે બાપાસીતારામ ચોક, મવડી- રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ બાબતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” સંસ્થાપક સદસ્યો જિજ્ઞેશ કાલાવડિયા, ચિરાગ પટેલ(અમદાવાદ )અને ચિરાગ કાકડીયા એ કાર્યક્રમની વિગતો જણાવી હતી. ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી અને પદ્મભૂષણ કેશુભાઈ પટેલ ની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકીય – સામાજિક મહાનુભાવો તથા 10 થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહિ સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કાર્યક્રમના આયોજનને લઈને આયોજકો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં સર્વે સમાજને આમંત્રણ આપવાનું કામ ચાલી રહ્યું છે.
સ્વ.કેશુભાઈ પટેલની આ સ્મરણાંજલિ સભામાં તેમના સમગ્ર જીવનસંઘર્ષ ની સફરને ઉજાગર કરતું પુસ્તક “ધરતીપુત્ર કેશુભાઈ”નું વિમોચન કરવામાં આવશે. સ્મરણાંજલિ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ કેશુભાઈ પટેલના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે. કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા, દાદુભાઇ ગઢવી સહિતના કલાકારો દ્વારા સરદાર પટેલ અને સ્વ.કેશુભાઈ પટેલના જીવન પર તેમની આગવી શૈલીમાં રજૂઆત કરવામાં આવશે. સરદાર પટેલ , છત્રપતિ શિવાજીના તથા સ્વ .કેશુભાઈ પટેલના વિશાળ કટ આઉટ મેદાનમાં નજરે ચડશે. સ્વ .કેશુભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીકાળ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજા માટે જે આયોજનો કરવામાં આવ્યા હતા તેની ઝલક પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. સ્વ . કેશુભાઈ પટેલ દ્વારા નર્મદા ડેમ નું પાણી પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડી ગામડાઓ અને શહેરોને પીવાના પાણીની સમસ્યાથી મુક્ત કર્યા હતા, ગોકુળ ગ્રામ યોજના , જ્યોતિ ગ્રામ યોજના સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હજારો ચેકડેમ બનાવીને પાણીનું તળ ઊંચું લાવી ખેતી અને ખેડૂતોને અનન્ય ભેટ આપી હતી. તે હેતુથી કેશુભાઈ પટેલ સ્મૃતિ સંસ્થાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેની ઘોષણા કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.સ્વ .કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભામાં ઉપસ્થિત સામાજિક મહાનુભાવો અને જનમેદની ની હાજરીમાં રાજકોટ ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નું નામ “સ્વ . કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ” આપવામાં આવે તેવો ઠરાવ પણ કરવામાં આવશે અને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે તેવું પણ આયોજન “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આપણા સૌના કેશુભાઈ પટેલને ભવ્યાતિ ભવ્ય શ્રદ્ધાંજલિ આપીએ તે હેતુથી ભાઈઓ-બહેનો- માતાઓ વડીલોને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા આયોજકો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.