Prayagraj, તા.7
અભિનેત્રી ઇશિકા તનેજાએ મહાકુંભમાં સ્નાન કરીને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહી દીધું છે. 2017 ની ફિલ્મ ’ઇન્દુ સરકાર’ માં પોતાની ભૂમિકા માટે ઓળખ મેળવનાર ભૂતપૂર્વ બ્યુટી ક્વીન ઇશિકા તનેજાએ પ્રયાગરાજ 2025 ના મહાકુંભમાં ગત તા. 29 જાન્યુઆરીએ પવિત્ર ડૂબકી લગાવીને સનાતન ધર્મનું પાલન કર્યું અને પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહ્યું હતું.
ઇશિકા તનેજા મધ્યપ્રદેશના જબલપુરમાં તેમના ગુરૂ દીક્ષા સમારોહમાં હાજરી આપી શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પાસેથી આધ્યાત્મિક દીક્ષા પણ મેળવી હતી. આ અંગે ઇશિકા તનેજાએ કહ્યું, હું સાધ્વી નથી. હું ગર્વિત સનાતની છું. હું સેવાની ભાવના સાથે જોડાયેલી છું.
મહાકુંભમાં દૈવી શક્તિઓ રહેલી છે. મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ એ છે કે મને શંકરાચાર્યજી પાસેથી ગુરૂ દીક્ષા મળી છે. એક માર્ગદર્શક હોવાથી મને જીવનમાં દિશા મળી છે. તેણીએ શોબિઝથી આધ્યાત્મિકતા સુધીની પોતાની સફરને ‘કામચલાઉ’ ગણાવી અને કહ્યું કે, વર્ષો સુધી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યા પછી તે આખરે ’ઘરે પાછી ફરી’ છે.
વધુમાં કહ્યું કે, તે ભવિષ્યમાં ફિલ્મો બનાવવા માટે તૈયાર છે પણ અભિનય નહીં કરે. 2016 માં, તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઇશિકાને 100 મહિલા સિદ્ધિઓ શ્રેણીમાં રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરી હતી. તેણીએ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ “હધ” માં કામ કર્યું છે અને માત્ર 60 મિનિટમાં 60 મોડેલો પર એરબ્રશ મેકઅપ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.