Srinagar, તા. 19
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જો કે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી. અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે.
ગુરૂવારે સવારે સેના અને પોલીસને આ વિસ્તારમાં 4-5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાને લઈને દિલ્હીમાં બેઠક યોજી શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક હશે. તેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, સેનાના વરિષ્ઠ અધિકારીઓ, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પ્રશાસન, ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલય સામેલ હશે.
અગાઉ 16 જૂને પણ શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં તેણે અધિકારીઓને આતંકવાદને કચડી નાખવા અને આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
ડિસેમ્બરમાં એન્કાઉન્ટરની પ્રથમ ઘટના, નવેમ્બરમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની આ પ્રથમ ઘટના છે. ગયા મહિને નવેમ્બરમાં 10 દિવસમાં 9 એન્કાઉન્ટર થયા હતા. જેમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા.