Jetpur,તા.27
બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને સોનાના દાગીના-રોકડ મળી રૂ.૮.૧૪ લાખની મતા ઉસેડી ગયાં હતાં. ટ્રાન્સપોર્ટરને રાજકોટમાં ધંધો હોય જેથી પરીવાર સાથે દિવાળી પૂર્વે જેતપુરમાં આવેલ મકાન બંધ કરી રાજકોટ નિલકંઠપાર્કમાં રહેવાં આવતાં રહેલ હતાં. ત્યારે ગઈ તા.ર૩ ના મોડી રાતે બાઇકમાં આવેલ બેલડીએ ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જેતપુરમાં જુના રાજકોટ રોડ પર દાતાર તકિયા સામે ધારેશ્વરમાં રહેતાં મહેબુબભાઈ હુશેનભાઈ સુમરા (ઉ.વ.૨૩) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના નવાગામમાં દિપક રોડવેઝ નામનુ ટ્રાન્સપોર્ટ ચલાવે છે. તેઓ દરરોજ સાંજના ચાર વાગ્યે રાજકોટ જાય છે અને રાત્રીના ત્રણ વાગ્યે જેતપુર ઘરે પરત આવતો રહે છે. રાજકોટ નિલકંઠ પાર્કમાં પણ તેમનું પોતાનુ મકાન આવેલ છે. ગઈ તા. ૨૧/૧૦ ના સાંજના પાંચેક વાગ્યાની આસપાસ તે તેમના પિતા હુશેનભાઈ માતા રોશનબેન સાથે દિવાળીના તહેવારમાં ટ્રાન્સપોર્ટનુ કામ વધારે હોય અપડાઉનમાં મોડુ થઈ જતુ હોય જેથી બે ત્રણ દિવસ રોકાવવા માટે રાજકોટમાં આવેલ મકાને ગયેલ હતા. તેમના પત્ની તે સમયે પાંચ દિવસથી રાજકોટ તેના માવતરે આટો મારવા રોકાવા ગયેલ હતી. ગઈ તા. ૨૩/૧૦/૨૦૨૪ ના ઘરની સામે રહેતા તેમનાર સગા મામા ફિરોજભાઈએ તેમની માતાના મોબાઈલમાં ફોન કરી ચોરી થયેલની જાણ કરેલ હતી. બાદમાં તેઓ પરીવાર સાથે જેતપુર ઘરે દોડી આવી જોયુ તો મકાન અંદર જવાનો મેઇન દરવાજાના તાળા ટુટેલ હતા, દરવાજો ખુલ્લો હતો. મકાનમાં નીચે ત્રણ રૂમના દરવાજા ખુલ્લા હતા અને કબાટ પણ ખુલેલ હાલતમાં જોવામાં આવેલ હતાં.
અંદર સરસામાન વેરવિખેર પડેલ હતો. પહેલા માળે આવેલ રૂમનો દરવાજો પણ ખુલેલ અને અંદર રૂમમાં કબાટ ખુલેલ અને સરસામાન વેરવિખેર પડેલ હતો. તિજોરીના ખાના પણ ખૂલેલ હાલતમા હતા. એક વર્ષ પહેલા ફરિયાદીના લગ્ન થયેલ હોય અને તેમની પત્નીને તેના માવતરે કરીયાવરમાં આપેલ સોના દાગીનાના ઘરેણા તેણીએ લાકડાના કબાટમાં દાગીના રાખવાના બોક્ષમાં રાખેલ હતાં. જે બોક્ષ ખાલી નીચે પડેલ હતા. જેમાં સોનાનો હાર નં.૧, સોનાના કાનના બુટીયા નં.૨, સોનાના હારના લોકનો ચેઇન નં. ૧, સોનાની વિંટી નં.૪, સોનાની સર નં.૨, મળી કુલ રૂ.૭.૬૫ લાખના દાગીના અને રોકડ રૂ. ૪૭ હજાર મળી કુલ રૂ.૮.૧૪ લાખનો મુદામાલ કબાટના ખાનામાં રાખેલ તે જોવામાં આવેલ ન હતો. જે કોઈ અજાણ્યાં તસ્કરો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતુ કે, નજીકમાં આવેલ સીસીટીવી કેમેરા જોતા તેમાં બે શખ્સો બાઇકમાં આવી ચોરીને અંજામ આપી ભાગી છૂટતાં નજરે પડ્યાં હતાં. બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે અરજીના આધારે તપાસ કર્યા બાદ તસ્કરોની કોઈ ભાળ ન મળતાં અંતે ફરીયાદ નોંધી હતી અને રૂરલ એલસીબી સહિતની ટીમોએ પણ તપાસમાં જંપલાવ્યું છે.