Junagadh, તા.13
જય ગીરનારીના ગગનભેદી ઘોષ વચ્ચે ગીરનારની 36 કી.મી.ની પાવનકારી લીલી પરિક્રમા ગત રાત્રીના 12 કલાકે બંદુકના અવાજે વિધીવત ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં સાધુ સંતો વહીવટી તંત્રના અધિકારીઓ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ લાખોની સંખ્યામાં યાત્રીકોની હાજરી જોવા મળી હતી. પૂજન અર્ચન બાદ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તે પહેલા ત્રણ લાખથી વધુ પ્રવાસીઓએ જંગલ પાર કરી બોરદેવીના રસ્તેથી નીચે ઉતરી પૂર્ણ કરી લીધી છે. નળ પાણીની ઘોડી પાસે હૈયે હૈયુ દળાય તેટલી માનવ મેદનીથી માનવ કીડીયારૂ ઉભરાઈ રહ્યું છે. સંપૂર્ણ જંગલનો માર્ગ પ્રવાસીઓથી હકડેઠઠ જોવા મળી રહ્યો છે.
પ્રવેશદ્વારથી હવે યાત્રીકોનો અંદર જવાનો માર્ગ હવે ખાલીખમ જોવા મળી રહ્યો છે. જંગલમાં હજુ સાતેક લાખ લોકો પ્રવેશી ચૂકયા છે. સાંજ સુધીમાં 5 લાખથી વધુ ઉતાવળીયા યાત્રીકો તળેટીમાં આવી જવાનો અંદાજ છે. જય ગીરનારી બમ બમ ભોલેના નાદ સાથે ઠેર ઠેર ઉતારાઓમાં હરીનો નાદ સંભળાઈ રહ્યો છે. ગરમા ગરમ શીરો, પુરી, લાડવા, બુંદી, ગાંઠીયા, ભજીયા, દાળ, ભાત, શાક રોટલા-રોટલી યાત્રીકોને અન્નક્ષેત્રો દ્વારા પીરસવામાં આવી રહ્યા છે. હાથ પકડી પકડી પ્રસાદ લેતા જાઓના નાદ ગુંજી રહ્યા છે. પ્રવેશદ્વારથી હવે માનવીઓનો પ્રવાહ લગભગ આજે ગણ્યો ગાંઠયો જોવા મળી રહ્યો છે.
42 કલાક પહેલા વહેલી શરૂ કરેલી પરીક્રમાથી જંગલમાં માનવીઓ ભજન,ભોજન, ભકિતનો આનંદ માણી રહ્યા છે. આવતીકાલે લગભગ જંગલ ખાલી થઈ જશે. આમ દોઢ દિવસ વહેલી ગીરનારની પરિક્રમા પૂર્ણ થઈ જશે. લાખો માનવીઓએ અગાઉ શરૂ કરેલી પરિક્રમાના કારણે બાથરૂમ સંડાસ તેમજ પ્રવાસીઓએ કરેલા ભોજન નાસ્તા ચા પાણીના કારણે ચોતરફ કચરાના ઢગ પડયા છે તેમને ઉપાડવાની કામગીરી ધીમે ધીમે શરૂ થઈ રહી છે. ગંદકીની વાસ પ્રથમ પડાવથી વધુ આવી રહી છે.
►પ્લોટની હરરાજી
ગીરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે તળેટીમાં પ્લોટની હરરાજી મનપા દ્વારા કરવામાં આવે છે. બહારથી તેમજ સ્થાનિક ધંધાર્થીઓ હરરાજીમાં પ્લોટ ખરીદ કરતા હોય છે. કુલ 62 પ્લોટમાંથી માત્ર 15 પ્લોટનું જ વહેંચાણ થવા પામ્યું હતું. જેના કારણે મનપાની આવકમાં ગાબડુ પડયું છે. ધંધાર્થીઓ બૂટ, ચપલ, રમકડા, મોતીની ચીજ વસ્તુઓ, માળા, ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી રોજગારી મેળવવા અહીં આવે છે. 57 એકર જમીનમાં 85 પ્લોટમાંથી 23 પ્લોટ વિવિધ સરકારી વિભાગોને કામગીરી અર્થે અપાય છે. બાકીના 62 પ્લોટની હરરાજી કરવામાં આવેલ તેમાં માત્ર 15 પ્લોટનું જ આ વેચાણ થવા પામ્યું હતું. તેની 2,85,718ની આવક થઈ છે. 47 પ્લોટ ખાલી રહ્યા હતા. ગત વર્ષે 25 પ્લોટના વહેચાણમાં 4.26 લાખની આવક થઈ હતી. 2022માં 27 પ્લોટની આવકમાં 4.36 લાખની આવક થવા પામી હતી. ગત વર્ષની સરખામણીમાં 1.40 લાખનું ગાબડુ પડયું છે.
►સંખ્યામાં ઘટાડો
ગીરનારની લીલી પરિક્રમા આ વર્ષે યાત્રીકોનો ઘટાડો મોટો થવા પામ્યો છે. ગત વર્ષની સરખામણીએ 35થી 40 ટકાનો ઘટાડો થયાનો અંદાજ છે. તેના મુખ્ય કારણોમાં ખેતીની સીઝન હાલ પુરબહારમાં ચાલી રહી છે. મગફળી ઉપાડવાની કામગીરી રવિ પાકની તૈયારીઓ કપાસ વીણવા સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ખેતરોમાં રૂા.800થી 900ના ભાવે પણ મળતા નથી. શિયાળુ પાક સારા વરસાદના કારણે વાવેતર આ વર્ષે વધવાની આશા છે. જેથી ખેડુતો મજુરો ખેતરોમાં રાત દિવસ કામગીરી કરી રહેતા હોવાથી સંખ્યામાં મોટો ઘટાડો થવા પામ્યો છે. ઉપરાંત પ્લાસ્ટીકના પ્રતિબંધના અમલના કારણે પણ યાત્રીકોમાં ઘટાડો થવા પામ્યાનું અનુમાન જોવા મળી રહ્યું છે. આ વર્ષે સારૂ વર્ષ વરસાદ પુરતા 200 ટકા જેટલો હોવા છતા યાત્રીકોમાં ઘટાડો થવા પામ્યો છે.કચરો પ્રથમ વખત પ્લાસ્ટીક મુકત પરિક્રમા થાય તે માટે તંત્રએ કડક વલણ અપનાવતા તેની અમલવારી શરૂ કરી છે. પ્રવેશદ્વારથી જ વન વિભાગે ચેકીંગ હાથ ધરી ઈટવા ગેઈટથી જ પ્લાસ્ટીક કબ્જે કરી રહી છે. જાંબુડી ચેકપોસ્ટ સરકડીયા ચેક પોસ્ટ ઉપર ચેકીંગ કરીને પ્રવેશ અપાય છે. અંદાજીત 7 ટનથી વધુ પ્લાસ્ટીક વન વિભાગે એકત્ર કર્યુ છે પ્લાસ્ટીક સાથે જંગલમાં યાત્રીકો પકડાય તો દંડ વસુલવામાં આવે છે.
►ભવનાથ ખાલીખમ
આજે સવારે યાત્રીકોનો પ્રવાહ બંધ થઈ જતા ભવનાથનો ગીરનાર પરિક્રમા રૂટ ખાલીખમ થઈ જવા પામ્યો છે. આ વર્ષે 8 લાખનો અંદાજ યાત્રીકોનો કરવામાં આવ્યો છે. પાન માવા સીગરેટના પ્રતિબંદ હોવાથી યાત્રીકોમાં ઘટાડાનું કારણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
લીલી પરિક્રમામાં રાજકોટના ચાર યાત્રિકોનાં હૃદય બેસી ગયા
કુલ મૃત્યુ આંક નવ નોંધાયો; મૃતકોમાં તમામ પુરૂષોનો સમાવેશ: ચાલુ યાત્રાએ શોક
ગીરનારની 36 કી.મી.ની પાવનકારી લીલી પરીક્રમામાં આવેલા પરીક્રમાર્થીઓના બે દિવસમાં કુલ નવ મોત નોંધાયા છે ગઈકાલે વધુ ચાર મોત થવા પામ્યા હતા. તમામ મોત પુરૂષોના થવા પામ્યા છે. જય ગીરનારીના ગગનભેદી નાદ સાથે શરૂ થયેલી પરિક્રમામાં શરૂઆતના 5 મોત બાદ ગઈકાલે વધુ ચાર યાત્રીકોના મોત થવા પામ્યા છે. ગઈકાલે નોંધાયેલ મોતમાં મુળ દેવડા સુત્રાપાડાના મોડાસા પાસેની સિધ્ધી સિમેન્ટ ફેકટરીના રસીકભાઈ ભોવાનભાઈ ભરવાડ પરીવાર સાથે ગીરનારની પરીક્રમામાં આવેલ ઈટાવા ઘોડીના ચઢાણમાં ચડતા હાર્ટનો હુમલો આવી જતા મોત નોંધાયું હતું.
રાજકોટના જસદણના રહીશ પરસોતમભાઈ જગદીશભાઈ ભોજાણી (ઉ.50) પરીક્રમામાં આવેલ બસ સ્ટેશન સામે છાતીમાં દુ:ખાવો ઉપડતા હાર્ટનો હુમલો આવી જતા મોત નોંધાયું હતું. આગલા દિવસે મૃત્યુ પામેલાઓમાં મુળજીભાઈ રૂડાભાઈ લોખીલ (ઉ.65) રે. ભારતીનગર ગાંધીગ્રામ રાજકોટ, હમીરભાઈ સોદાભાઈ લમકા (ઉ.65) રે.અમરસર, મનસુખભાઈ મોહનભાઈ (ઉ.70) રે. રાજકોટ, આલાભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.50) રે.ગાંધીગ્રામ રાજકોટ, અરવિંદભાઈ ડાયાભાઈ સીંધવ (ઉ.54) રે. સોરઠીયા પ્લોટ, રાજકોટ, મૃતકોની ઉંમર 50થી 70 વર્ષ વચ્ચેની હોય અને છાતીમાં દુ:ખાવાના કારણે મોત નોંધાયા હતા.