Junagadh,તા.૧
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પાછલા ૧ વર્ષ કરતાં વધુ સમયથી ખાલી જોવા મળે છે. આ સમય દરમિયાન અનેક રાજ્યોમાં સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ હતી. પરંતુ વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ સુધી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ ભાજપ સમય અને સંજોગો જોયા બાદ જ વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડવા માટે મન બનાવે ત્યાર બાદ ચૂંટણીની જાહેરાતની શક્યતાઓ જોવાઈ રહી છે.
પાછલા ૧ વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પ્રતિનિધિ વગર ખાલી જોવા મળે છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાય તે પૂર્વે જ અહીંથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીભડીયાએ રાજીનામું આપીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયાએ ફરી એક વખત વિસાવદર વિધાનસભા બેઠક પર ઝંપલાવ્યુ હતું.
ઘણા વર્ષો બાદ વિસાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ જોવા મળ્યો. જેમાં ભાજપના હર્ષદ રીબડીયા કોંગ્રેસના કરસનભાઈ વાડદોરીયાને હરાવીને આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી જાયન્ટ કિલર સાબિત થયા હતા અને વિસાવદર વિધાનસભા બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. ચૂંટણી જીત્યા બાદ આપના ધારાસભ્ય વિધાનસભાના મતદારોની સમસ્યાને ધ્યાને લેશે તેવો દાવો કર્યો હતો. પરંતુ ૧ વર્ષનો સમયગાળો પૂરો થતાં જ તેમનો આ દાવો ખોખલો સાબિત થયો. ભુપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું ત્યારથી આ બેઠક ખાલી જોવા મળે છે.
આજે વિસાવદર વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ તો પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાની સાથે ભુપત ભાયાણી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ૨ વખત લડી ચૂકેલા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલની સાથે અનેક દાવેદારો વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે. પરંતુ કોઈ કારણોસર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાતી નથી. વર્ષ ૨૦૨૨માં ચૂંટણીનું પરિણામ આવ્યું. ત્યાર બાદ ભાજપના ઉમેદવાર તરીકે હારેલા હર્ષદ રીબડીયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણી પર ચૂંટણીમાં ગડબડ કરીને જીત મેળવી છે, તે પ્રકારની રીટ રાજ્યની વડી અદાલતમાં દાખલ કરી છે. જેને કારણે પણ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે.
પાછલા ૩ દસકાથી વિસાવદર વિધાનસભા બેઠક જીતવી ભાજપ માટે એકદમ કઠિન માનવામાં આવી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુ પટેલના સમયથી વિસાવદર વિધાનસભા બેઠક ભાજપ માટે દરેક ચૂંટણીમાં જીતવી મુશ્કેલ બની રહી છે. જેને કારણે પણ ભાજપ હર્ષદ રીબડીયા દ્વારા કરવામાં આવેલી રીટ પિટિશન પરત ખેંચવાને લઈને પક્ષ માંથી કોઈ કામગીરી કરતી નથી. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે જીતવી મુશ્કેલ છે. જેને કારણે પેટા ચૂંટણીનું કોઈ મુહૂર્ત હજુ સુધી નીકળ્યું નથી. આગામી દિવસોમાં જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. ત્યારબાદ ભાજપ તરફી વાતાવરણ યોગ્ય બને તો પેટા ચૂંટણી થવાની શક્યતા પણ જોવાઈ રહેલી છે. પરંતુ હાલના સમયમાં ૨ થી ૩ મહિના સુધી પેટા ચુટણી યોજાઈ તેવી એક પણ શક્યતા નથી.