Junagadh,તા. 30
જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપના નિરીક્ષકો જુનાગઢ આવીને ગાંધીનગર અહેવાલ સાથે માંગણીદારોની રજુઆત અને તેઓના ફોર્મ મોવડી મંડળને પહોંચાડી દેશે.
અગાઉ ચાર ચૂંટણીઓમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે તફાવત રહ્યો ન હતો ગત ચૂંટણીમાં સૌથી વધુ તફાવત જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં ચાર ચૂંટણીઓ આવી તેમાં 2009થી 2014માં કોંગીનું પાંચ વર્ષનું શાસન હતું જેના મેયર તરીકે સ્વ. લાખાભાઇ પરમાર અને સ્વ. સતિષ વીરડા અઢી અઢી વર્ષ માટે મેયર રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી પૂર્વ કેબીનેટ મંત્રી, સાંસદ, ધારાસભ્યોને કોર્પોરેશન ચૂંટણીમાં ઉતર્યાા હતા તેઓ માત્ર ચૂંટણીમાં પોતાની સીટ જીતી શકયા હતા પરંતુ સતા મેળવી શકયા ન હતા.
જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢની સતા મેળવવા જાતે કમાન સંભાળી હતી. ભાજપના ધુરંધરોને ફોન કર્યા હતા. અમુક આગેવાનોની ઇચ્છા ન હોવા છતાં પાર્ટીને જરૂરત હોય જેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલીયા, પૂર્વ સાંસદ અને ગુજરાતના પૂર્વ મંત્રી મો.લા.પટેલ સહિતનાઓ એ વોર્ડની ચૂંટણી લડી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સહિતના મોટા માથાઓ ચૂંટણી જીતી લીધી હતી.
પરંતુ સતા કોંગ્રેસ પાસે રહી હતી.કુલ 51 સભ્યોમાંથી કોંગ્રેસને 26 ભાજપને 21 બસપાને ત્રણ એક અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. વિપક્ષ નેતા તરીકે મહેન્દ્ર મશરૂએ સબબ ભૂમિકા ભજવી અનેક વખત રૂમાલ પાથરી આંદોલનો કર્યા હતા.
વર્ષ 2002માં મનપા બની ત્યારે બે વર્ષ સુધી વહીવટદારનું શાસન હતું તે દરમ્યાન વોર્ડની રચના સીમાંકન ની કામગીરી પૂર્ણ થતા વર્ષ 2004માં ભાજપે સતા મેળવી હતી. ત્યારે કોંગીના સતીષ કેપ્ટન સહિતનાઓને ભાજપમાં લીધા હતા. પ્રથમ મેયર મહેન્દ્ર મશરૂ બાદ અઢી વર્ષની મુદત માટે જયોતિબેન વાછાણી મેયર બન્યા હતા. ફરી વાંધો પડતા સતીષ વીરડા સહિતના કોંગીના ઘરવાપસી કરી ગયા હતા.
વર્ષ 2009થી 2014 સુધી લાખાભાઇ પરમાર, સતિષ વીરડા મેયર બન્યા બાદ ફરી 2014થી 2019 દરમ્યાન ભાજપે કોંગીના ગીરીશ કોટેચા સહિતના ભાજપમાં લઇ આવી ભાજપે સતા હાંસલ કરી હતી. જેમાં મેયર તરીકે જીતુભાઇ હીરપરા બીજી ટર્મમાં આધ્યાશકિતબેન મજમુદાર મેયર બન્યા હતા.
ફરી 2019ની ચૂંટણીમાં ભાજપને સતા મેળવવી મુશ્કેલ બનતા વિદેશ ગયેલા ધીરૂભાઇ ગોહેલને પરત બોલાવી તેમના નેજા નીચે મેયર તરીકેનું નામ જાહેર કરી તેના નામે જંગી બહુમતીથી જીત મેળવી 54 સીટ (60માંથી) હાંસલ કરી હતી. કોંગ્રેસના અંદરોઅંદરના વિખવાદમાં એક જ સીટ મળી હતી ત્રણ એનસીપીને ફાળે ગઇ હતી.
એક અપક્ષને મળી હતી. મોટા તફાવત કોંગીના અંદરોઅંદરના દુ:ખના કારણે ભાજપને તેનો મોટો લાભ મળ્યો હતો. આ છેલ્લી ચૂંટણીને બાદ કરતા ભાજપને 40 ટકાથી વધુ લોકો ઇચ્છતા નથી તે ભાજપ કોંગીના મત પરથી નકકી થતું હોય છે.