Junagadh,તા.15
પાવનકારી ગીરનારની 36 કી.મી.ની લીલી પરિક્રમામાં 42 કલાક વહેલી શરૂ થવા પામી હતી. ભારે ધસારાના કારણે વન વિભાગ અને વહીવટી તંત્ર મજબુર થઈને ગેઈટ ખોલી નાખવો પડયો હતો. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભારે વરસાદ થવા છતા સંખ્યા ઘટવા પામી છે જેમાં હાલ ખેતીની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. એક દિવસના દાડીયાની મજુરી 800થી 600 આપવા છતા મજુરો મળતા નથી.
મગફળી, કપાસ, સોયાબીનનો પાક ઉપણી લઈ રવિપાક (શિયાળુ)ના વાવેતર માટે પડા (જમીન) તૈયાર કરવા ખેડુતો રાત દિવસ ચેક કરી રહ્યા છે. જેથી પરિક્રમામાં આવવાનું ટાળતા ગત વર્ષ કરતા 6 લાખનો ઘટાડો થવા પામ્યો છે.
ગત વર્ષ 13.25 લાખ લોકોએ પરિક્રમામાં જોડાયા હતા. જે આ વર્ષે 6 લાખની વધુનો ઘટાડો થવા પામ્યો છે ગત રાત્રીથી ગીરનાર જંગલ ખાલીખમ થઈ જતા સફાઈની કામગીરી પુરજોશમાં શરૂ થવા પામી છે. લાખો લોકોએ પાંચ દિવસ જંગલમાં લીધેલ પ્રસાદ (જમણવાર) ચા પાણી નાસ્તો લોકોએ કરેલ સંડાસ બાથરૂમ હેઠવાડના કારણે જંગલ દુર્ગંધ મારતું જોવા મળી રહ્યું છે.
આજે વહેલી સવારથી ગીરનાર જંગલ ખાલીખમ થઈ જતા ભવનાથ જુનાગઢ શહેરના ગેસ્ટ હાઉસો ઉતારાઓ રેલ્વે સ્ટેશન બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જે વાહન હાથ લાગ્યુ તેમાં વતનની વાટ પકડી રહ્યા છે. મજેવડી દરવાજા દોલતપરા ગાંધીચોક કાળવા ચોકમાં માનવ કીડીયારૂ જોવા મળી રહ્યું છે.
અન્નક્ષેત્રોએ ગઈકાલ બપોર બાદ તેમના સમીયાણા સંકેલી લેવાની તૈયારીઓ કરી લીધી છે. ઉતારાઓ આટોપી લેવાયા છે. આજે આવક જાવકના ગેઈટ બંધ કરીને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. એકંદરે સાતેક લાખ ભાવિકોએ પુણ્યનું ભાથુ બાંધીને પરિક્રમા પૂર્ણ કરી વતનની વાટ પકડી લીધી છે.
સૌરાષ્ટ્રમાં ખેતીની સીઝન પુરબહારમાં ચાલતી હોય જેથી આ વર્ષ સૌરાષ્ટ્ર કરતા ઉત્તર દક્ષિણ ગુજરાતની સંખ્યામાં વધારો નોંધાયો છે ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ ભાવિકોની સંખ્યા આ વર્ષે સારી એવી ઘટવા પામી છે આમ કોઈપણ વિઘ્ન વિના જય ગિરનારીના નાદ સાથેની ગિરનારની 36 કી.મી.ની પાવનકારી પરિક્રમા 36 કલાક વહેલી પૂર્ણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું.