Rajkot,તા.09
શહેરની વાલકેશ્વર સોસાયટી મેઇન રોડ પર સ્થિત શ્રીનગર સોસાયટી શેરી નં. ૩માં એકલા રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.૭૦)ની બે દિવસ પહેલાં મોડી સાંજે ઘરમાં ઘૂસી, છરીના ઘા ઝીંકી, હત્યા કરી, સોનાના દાગીનાની લૂંટ ચલાવાયાની ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી લઇ બે આરોપી કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.૨૨, રહે. હાલ કારડિયા રાજપૂત છાત્રાલય, જૂની ધરમ સિનેમા સામે, મૂળ સતાપર, તા. જામજોધપુર) અને તેની મિત્ર સ્નેહલબા પ્રતાપસિંહ ગોહીલ (ઉ.વ.૨૨, રહે. હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર, બ્લોક નં. ૩૩૩, કોઠારિયા સોલવન્ટ, મૂળ છાત્રા, તા. તળાજા)ને ઝડપી લઇ લૂંટી લીધેલા સોનાના દાગીના સહિત કુલ રૂા. ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને આરોપી અગાઉ ફલીપકાર્ટમાં ડિલીવરી બોય અને ગર્લ તરીકે નોકરી કરતાં હતા. પાર્સલ ગયા હોવાથી મૃતક એકલા રહેતા હોવાની અને દાગીના પહેરવાના શોખીન હોવાની જાણ હતી. જેને કારણે તેના દાગીના લુંટવા હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ભક્તિનગર પોલીસ મથકમાં મૃતકના નાનાભાઇ રમઝાભાઈએ ફરિયાદ નોંધાવી હતી. ભક્તિનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની ટીમો પણ તપાસ કરતી હતી. આખરે સીસીટીવી કેમેરાના આધારે ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી લીધા હતાં.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખૂલ્યા મુજબ આરોપી કિશન અને સ્નેહલબા ફલીપકાર્ટના ડો. યાજ્ઞિાક રોડ પર આવેલા વેર હાઉસમાં ડિલીવરી બોય અને ડિલીવરી ગર્લ તરીકે નોકરી કરતા હતાં. જેના કારણે એક-બીજા સાથે મિત્રતા થઈ હતી. કિશને થોડા સમય પહેલાં જ નોકરી મૂકી દીધી હતી. ત્યાર પછી સ્નેહલબાએ પણ નોકરી મુકી દીધી હતી. નોકરી કરતી હતી ત્યારે એકાદ વર્ષ પહેલા તે મૃતક બરકતભાઇના ઘરે પાર્સલ આપવા ગઇ હતી. જેને કારણે તેની સાથે પરિચયમાં આવી હતી. તે સાઇડમાં ગોલ્ડ લોનનું પણ કામ કરતી હતી. જેથી તેનું પેમ્ફલેટ પણ આપ્યંુ હતું.
ત્યાર પછી બીજી વખત પણ પાર્સલની ડિલીવરી કરવા ગઇ હતી. હાલમાં કિશન અને સ્નેહલબાને પૈસાની જરૂરિયાત હતી. સ્નેહલબા મૃતક બરકતભાઈને ઓળખતી હોવાથી તેને ખબર હતી કે તે સોનાના દાગીના પહેરવાના શોખીન છે. હંમેશા બંને હાથની આઠ આંગળીમાં વીંટીઓ પહેરે છે, આ ઉપરાંત ગળામાં સોનાનો ચેન અને સોનાની લક્કી પણ પહેરે છે. આ સંજોગોમાં તેને લૂંટી લેવાની યોજના બનાવી હતી.
યોજનાના ભાગરૂપે બંને ત્રણેક દિવસ પહેલા મૃતક બરકતભાઈના ઘરે ગયા હતા. તે વખતે કિશને તેની સાથે સિગરેટ પણ પીધી હતી. ઘરની આ મુલાકાત દરમિયાન બંનેએ ખાતરી કરી લીધી હતી કે મૃતક બરકતભાઈ એકલા જ રહે છે. ઘરમાં સીસીટીવી કેમેરા પણ નથી. જેથી બે દિવસ પહેલાં એક્ટિવા ઉપર બંને તેના ઘરે બધી તૈયારી સાથે યોજનાને અંજામ આપવા ગયા હતા.
સામાન્ય વાતચીત થયા બાદ કિશન ઉભો થયો હતો. તે સાથે જ તેણે પાછળથી મૃતક બરકતભાઈનું મોઢુ દબાવી, તેના ગળામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી મૃતક બરકતભાઈ તરફડીયા મારવા લાગ્યા હતાં. આમ છતાં તેણે પ્રતિકાર કરી છરી પડાવી લીધી હતી. તે સાથે તેની પાસેથી છરી પડાવવા કિશન અને સ્નેહલબાએ ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન સ્નેહલબાના હાથમાં છરી આવી જતાં તેણે પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.
આ રીતે તેની હત્યા કરી આઠ આંગળીમાં પહેરેલી વીંટીઓ, સોનાનો ચેન, લક્કી અને ઘરમાં પડેલી ચારેક ઘડિયાળો લૂંટી લીધી હતી. બંનેના કપડા લોહીવાળા થઇ ગયા હોવાથી ત્યાં જ સાથે લાવેલા કપડા બદલી બહાર નીકળી, એક્ટિવા ઉપર ભાગી, પોતપોતાના ઘરે જતા રહ્યા હતાં. લૂંટી લીધેલા દાગીના કિશન પોતાની સાથે લઇ ગયો હતો. તે સ્નેહલબા સાથે પોતાના વતન સતાપર જવાની ફિરાકમાં હતો. પરંતુ તે પહેલા જ બાતમી મળી જતાં ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો. ત્યાર પછી સ્નેહલબાને પણ ઝડપી લીધી હતી.
ક્રાઇમ બ્રાંચે લૂંટી લીધેલા રૂા. ૬.૯૫ લાખના દાગીના, ગુનામાં વપરાયેલુ એક્ટિવા અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી, બંને આરોપીઓનો કબજો ભક્તિનગર પોલીસને સોંપી દીધો હતો.