મદનલાલ માને છે કે કોહલીનો જુસ્સો, ફિટનેસ અને નેતૃત્વ ક્ષમતા હજુ પણ ટીમ ઇન્ડિયા માટે અમૂલ્ય છે
New Delhi, તા.૧૬
ભારત લોર્ડ્સમાં હારી ગયું અને તે પણ ફક્ત ૨૨ રનથી. આ હારથી ભારતીય ચાહકોની સાથે સાથે દિગ્ગજો પણ નિરાશ થયા છે. એવામાં ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા અને ઓલરાઉન્ડર મદન લાલે ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ કરી છે. મદનલાલ માને છે કે કોહલીનો જુસ્સો, ફિટનેસ અને નેતૃત્વ ક્ષમતા હજુ પણ ટીમ ઇન્ડિયા માટે અમૂલ્ય છે.
એક ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલી વિશે વાત કરતાં પૂર્વ દિગ્ગજ ખેલાડી મદનલાલ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે, ’ભારતીય ક્રિકેટ પ્રત્યે વિરાટ કોહલીનો જુસ્સો અજોડ હતો. મારી દિલથી ઇચ્છા છે કે તે નિવૃત્તિ પછી ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરે. વાપસી કરવામાં કંઈ ખોટું નથી. જો આ સીરિઝમાં નહીં, તો આગામી સીરિઝમાં, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરવું જોઈએ. મારા મતે, તેણે નિવૃત્તિનો પોતાનો નિર્ણય બદલવો જોઈએ કારણ કે તે હજુ પણ એક કે બે વર્ષ સરળતાથી ભારત માટે રમી શકે છે. આ તમારા અનુભવને યુવાનો સુધી પહોંચાડવા વિશે છે. તું હમણાં જ ગયો છે. હજુ મોડું થયું નથી. કૃપા કરીને પાછો આવી જા.’
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ બે મહિના પહેલા જ એટલે કે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેમના નિર્ણય બાદ, ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ તેને નિવૃત્તિ પર પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. બીસીસીઆઈએ પોતે કોહલીને નિવૃત્તિ ન લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બન્યું નહીં.
લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ૨૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ જસપ્રીત બુમરાહ અને પછી મોહમ્મદ સિરાજ સાથે અંત સુધી લડત આપી, તેમ છતાં ઇંગ્લૅન્ડ જીતી ગયું. જાડેજાએ ૧૮૧ બોલનો સામનો કર્યો અને ૬૧ રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. તેણે બુમરાહ-સિરાજ સાથે કુલ ૨૧૨ બોલ રમ્યા.
જાડેજા લાંબા સમય સુધી ઇંગ્લૅન્ડ સામે મજબૂત રીતે ઊભો રહ્યો. પરંતુ બીજા છેડેથી અન્ય બેટર્સનો સહયોગ ન મળવાને કારણે, જાડેજા ટીમ ઇન્ડિયાની હાર રોકી શક્યો નહીં. લોર્ડ્સમાં મળેલી જીત સાથે ઇંગ્લૅન્ડે સીરિઝમાં ૨-૧ની લીડ પણ મેળવી લીધી છે.