Maharashtra,તા.11
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ હાર માટે ઈવીએમમાં ગરબડીનો આરોપ લગાવ્યો હતો. જેના સંદર્ભમાં ચુંટણીપંચે જે તે પક્ષના ઉમેદવારોની હાજરીમાં 1440 વીવીપેટ સ્લીપ અને ઈવીએમ વોટોની મેળવણી કરવામાં આવી હતી જેમાં કોઈ ગરબડી બહાર નહોતી આવી અને ઈવીએમ ખરું ઉતર્યું હતું અને એમવીએ (મહારાષ્ટ્ર વિકાસ અઘાડી)ના આરોપો ખોટા નીકળ્યા હતા.
ભારતીય ચૂંટણી પંચે આરોપોને ફગાવીને જણાવ્યું હતું કે, રાજયમાં વીવીપેટની ગણતરીમાં કોઈ ખામી બહાર નથી આવી. ચુંટણીપંચે જણાવ્યું હતું કે નિયમો મુજબ દરેક વિધાનસભા ક્ષેત્રના પાંચ પોલિંગ સ્ટેશનોના ઈવીએમ વોટોના વીવીપેટ સાથે મેળવણી કરવી જરૂરી હોય છે.
આ પાંચ પોલીંગ સ્ટેશનોની પસંદગી લોટરીના માધ્યમથી થાય છે અને વીવીપેટ અને ઈવીએમના વોટોની મેળવણી દરમિયાન ચુંટણી પંચના ઓબ્ઝર્વર અને દરેક ઉમેદવારના પ્રતિનિધિ હાજર હોય છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 23 નવેમ્બર 2024ના મત ગણતરીના દિવસે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો માટે 1440 પોલીંગ સ્ટેશનથી વીવીપેટ સ્લીપની મેળવણી કરાઈ હતી. જેમાં કોઈ ગરબડ નહોતી બહાર આવી. આ પુરી પ્રક્રિયાનું રેકોર્ડીંગ સુરક્ષિત રખાયુ છે.