Rajkot , તા. 15
Rajkotના Mayor નયનાબેન પેઢડીયાના સત્તાવાર કારમાં પ્રયાગરાજના પ્રવાસનો મુદ્દો અને વિવાદ ભડકાની જેમ સળગાવવાનો પ્રયત્ન થયો છે ત્યારે ગઇકાલે મેયરે મહિલાની ગરીમા દુભાઇ હોવાની લાગણી દુ:ખ સાથે વ્યકત કરી હતી. આ દરમ્યાન આ મામલે પાટીદાર સમાજને આગળ ઢસડવા પ્રયાસ થતા ભાજપના પદાધિકારી અને સંઘ સમર્પિત પરિવારના સદસ્ય તરીકે નયનાબેન આગળ આવ્યા છે.
તેમણે આ વિવાદ અને વાત હવે પૂર્ણ કરવાની તરફેણ કરીને આ મુદ્દાને સામાજીક ન બનાવવા જાહેર અપીલ કરી છે. તો ગાડીનું પ્રતિ કિ.મી. ભાડુ રૂા.બે હોવાની ચેરમેેન કરેલી વાતમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેની ભુલ હોવાનું ખુદ તેમણે લેખિતમાં આપતા ચેરમેન અને પોતાની વચ્ચે કોઇ વિવાદ ન હોવાની પણ સ્પષ્ટતા કરી છે.
છેલ્લા ચાર દિવસથી મેયરે કરેલા કુંભ પ્રવાસનો મુદ્દો ઉછળ્યો છે. મેયરે સત્તાવાર કારમાં પ્રવાસ કરીને સરકારી સુવિધાનો દુરૂપયોગ કર્યાના મેસેજ એકાએક વાયરલ થતા હોબાળો થયો હતો. આ બાદ તે જ દિવસે બપોરે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે પ્રતિ કિ.મી. માત્ર રૂા.બેના ભાડાથી પદાધિકારીઓ મંજૂરી લઇને આવા પ્રવાસ કરતા હોવાની વાત કરવા સાથે છેલ્લે સુધારેલુ આવેલુ ભાડુ લાગુ કરવા ઠરાવ કરવામાં આવશે તેવો ખુલાસો કર્યો હતો.
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં અંતે રૂા.બેનું ભાડુ આવી ગયું હતું. પરંતુ અધિકારીની ગેરસમજણના કારણે આ ઇસ્યુ લંબાઇ ગયાનું હવે દેખાયુ છે. દરમ્યાન આજે પાટીદાર સમાજના નેતા દિનેશ બાંભણીયાએ એક ટવીટ કરીને જણાવ્યું હતું કે રાજકોટના મેયરના ટ્રાવેલિંગના નામે હવે વધુ એક નેતાને વિવાદમાં લાવીને ખત્મ કરવાનો સીલસીલો યથાવત રહ્યો છે. તેનું કારણ માત્ર પાટીદારની દિકરી છે એ જ.. મારૂ કામ માત્ર ધ્યાન દોરવાનું.. જોવાનું સમાજે.. અને મતદારોએ..
આ રીતે આ વિવાદ સમાજ લેવલે લઇ જવા પ્રયાસ થતા મેયર નયનાબેન પેઢડીયાએ આજે આ વિવાદ જાતે ઠંડો પાડવા પ્રયાસ કર્યો છે. ગઇકાલે મેયરે દુ:ખ સાથે કહ્યું હતું કે પ્રયાગરાજ ખાતે તેમની પાછળ માણસો દોડાવવામાં આવ્યા હતા. તેમના ફોટા પ્લાન મુજબ વાયરલ કરવામાં આવ્યા છે. મહિલા તરીકે પણ તેમની ગરિમા જળવાઇ નથી.
કેટલાક લોકો આ ષડયંત્ર પાછળ હોવા વિશે તેઓ યોગ્ય સમયે પાર્ટી સમક્ષ સંપૂર્ણ ચર્ચા કરશે. આ બાદ આજે તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ પ્રશ્નમાં પાટીદાર સમાજ કક્ષાએ લઇ જવા જેવી કોઇ સ્થિતિ નથી. તેઓ રાષ્ટ્રીય સેવક સમિતિના સેવક અને સંઘ સમર્પિત પરિવારના સભ્ય છે. ભાજપે જ તેમને મેયર બનાવ્યા છે. સમાજના કોઇ મોભીને પણ આ વિવાદથી દુ:ખ થયું હોય તેવું બન્યું હશે પરંતુ પોતાને આ અંગે કોઇ સત્તાવાર જાણ નથી.
સમાજમાં તેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યાની કોઇ વાત નથી. સ્ટે.ચેરમેન જયમીન ઠાકર તેમના નાના ભાઇ છે અને હવે આ વિવાદ પુરો કરવા જેવો છે.
Rajkot અને સમગ્ર સમાજના વિકાસ માટેના અનેક કામો રહેલા છે. સૌએ આવી વાતો ભુલીને હવે તમામ લોકો અને રાજકોટના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. લોકો પણ આવા વિવાદ સમયે ભુલી જતા હોય છે.
એટલે આપણે પણ મુખ્ય કામ પર ધ્યાન વાળવું જોઇએ. આવા વિવાદોને આગ લગાડવાનું કામ પણ કોઇએ કરવું ન જોઇએ. સૌના કર્યા સૌ ભોગવશે. પાર્ટીના કોઇ પ્રશ્ન હોય તો પરિવારની જેમ તે બેસીને ઉકેલવામાં આવશે.
દરમ્યાન શહેર BJPથી માંડી પ્રદેશ BJP સુધી આ મુદ્દો પહોંચ્યો હતો. આથી Rajkot BJPને આવા વિવાદ તાત્કાલીક પૂરા કરવા સીનીયર નેતાઓએ સૂચના પણ મોકલ્યાનું જાણવા મળ્યું હતું.