Morbi તા.19
જિલ્લામાં કથળી ગયેલ કાયદો વ્યવસ્થા માટે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે ગૃહમંત્રીને કરી રજૂઆત,તા.19
મોરબી જીલ્લામાં છેલ્લા 10 દિવસમાં પાંચ મર્ડર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીમાંથી મિરજાપુર બની જાય તે પહેલા ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જીલ્લામાં કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા ગૃહમંત્રીને મોરબી જિલ્લાની કથડેલી કાયદો વ્યવસ્થા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેમ લાગી રહયું છે. છેલ્લા 10 દિવસમાં જીલ્લામાં પાંચ મર્ડર થયેલ છે જેથી આ જિલ્લો જાણે બિહારમાં પરિવર્તિત થઈ રહયો હોય તેવું લોકોને લાગી રહયું છે.
મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનું પ્રમાણ ખુબ જ પ્રમાણમાં વધી ગયેલ છે. અને પોલીસની અસરકારક કામગીરી ન હોવાથી આવા લોકોને જાણે કે પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ છે કે, જીલ્લામાં મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનો ધંધો રાજકીય ઓથ હેઠળ જોરશોરથી ચાલી રહયો છે. જેમાં રાજકીય નેતાઓ તથા પોલીસ ખાતુ મદદગાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જો આવી જ પરિસ્થતિ રહેશે તો મોરબીમાંથી મિરજાપુર થતાં વાર નહીં લાગે અને મોરબીની જનતાનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠી જશે. જેથી આ બાબતની ગંભીર નોંધ લઈ પ્રમાણીક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની નિમણુંક મોરબી જીલ્લામાં કરવામાં આવે અને ગુન્હાહિત પ્રવૃતિઓમાંથી જિલ્લાને મુક્ત કરીને ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર અને જીલ્લાના લોકો વતી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગ કરી છે.