New Delhi,તા.17
દેશભરની બેન્કો માર્ચ મહિનાના આ બે દિવસે બંધ રહી શકે છે. ઈન્ડિયન બેન્ક એસોસિએશનની સરકાર સાથે નિષ્ફળ બેઠક બાદ બેન્કના કર્મચારીઓએ દેશવ્યાપી 24 અને 25 માર્ચ, 2025ના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. જેના પગલે આગામી સોમવાર અને મંગળવારે બેન્કો બંધ રહેશે. દેશભરના ટોચના નવ બેન્કિંગ યુનિયન્સનું નેતૃત્વ કરતાં યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે આ હડતાળની જાહેરાત કરી છે.
બેન્કિંગ યુનિયનની તમામ માગ પૈકી સૌથી મહત્ત્વની માગ કામના દિવસ પાંચ કરવાની છે. હાલ સપ્તાહમાં છ દિવસ કામ કરવુ ફરિજ્યાત છે. જેનાથી બેન્કના કર્મચારીઓમાં કામનું પ્રેશર વધુ હોવાનો દાવો કરતાં બેન્કિંગ યુનિયને કામના દિવસ ઘટાડી પાંચ કરવાની માગ કરી છે. તદુપરાંત બેન્કોમાં સ્ટાફની અછત પણ સૌથી મોટો મુદ્દો છે. સ્ટાફની અછતના કારણે બેન્કમાં કામનુ પ્રેશર વધે છે અને તેનાથી કર્મચારીની કામની ગુણવત્તા પર અસર થાય છે.
બેન્કિંગ યુનિયને જણાવ્યું હતું કે, બેન્કોમાં નોકરીની સુરક્ષા, પર્ફોર્મન્સના આધારે પ્રોત્સાહનોનો અમે વિરોધ કરીએ છીએ. કારણકે, તે કર્મચારીઓમાં બિનજરૂરી તણાવ ઉભો કરે છે. વધુમાં અમે ગ્રાહકો દ્વારા થતાં શોષણ અને હુમલા વિરૂદ્ધ બેન્ક સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ પણ કરી છે. જે આજકાલ બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં વધી રહી છે.
બેન્ક યુનિયન કેન્દ્ર સરકારના આઈડીબીઆઈ બેન્કમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાનો પણ વિરોધ કરી રહ્યું છે. તેમણે સરકારને આઈડીબીઆઈ બેન્કમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો જાળવી રાખવાની માગ કરી છે. જ્યારે કેન્દ્ર સરકાર અને એલઆઈસી સાથે મળી આઈડીબીઆઈ બેન્કનો 61 ટકા હિસ્સો વેચી દેવાની જોગવાઈ ધરાવે છે. આ ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા આગામી ત્રણ-ચાર મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. વધુમાં સરકારની નીતિઓ સરકારી બેન્કોને નબળી બનાવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
આ હડતાળમાં બેન્કના લાખો કર્મચારી ભાગ લેશે, જેના લીધે આગામી સોમવાર અને મંગળવારે બેન્કિંગ સેવાઓ ખોરવાઈ શકે છે. ગ્રાહકોએ આ હડતાળને ધ્યાનમાં લેતાં બેન્કના કામકાજ એડવાન્સમાં પૂર્ણ કરવા સલાહ છે. કારણકે, જો યુનિયનની માગનો સ્વીકાર નહીં થાય તો તેઓ ભવિષ્યમાં હડતાળ લંબાવી પણ શકે છે.